મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

સુદામા નું દ્વારિકા ગમન – પ્રેમાનન્દ

ઋષિ સુદામો સાંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ત્યાગી વેરાગી વિપ્રને છે ભક્તનો શણગાર.

ભાલ તિલક ને માળા કંઠે, ‘રામ’ ભણતો જાય;
મૂછ- કૂછની જાળ વાધી, કદરૂપ દીસે કાય.

પવન-ઝપટથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ;
થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળ ગોટાગોટ.

ઉપાન–રેણૂએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય!
જે પથિક મારગમાં મળે તે જોઇ વિસ્મે થાય.

કૌપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન;
ભાગ્ય-ભાનુ ઉદે થયો, કરશે કૃષ્ણજી આપ સમાન.

– પ્રેમાનન્દ ( કડવું પાંચ – સુદામા ચરિત )

સુદામા દ્વારિકા ના પંથે નીકળે છે તેનું વર્ણન. જે જમાનામાં કથા, આખ્યાનો, ભવાઇ જેવાં જૂજ મનોરંજનો જ પ્રજા પાસે હતાં તે જમાનામાં, માણના ટકોરા સાથે પ્રેમાનન્દ જાતે આ આખ્યાન કરતા હશે, ત્યારે કથારસ કેવો જામતો હશે, તે આ રચના પરથી કલ્પી શકાય છે.

4 Comments »

  1. ગુજરાતી સારસ્વત પરિચય » પ્રેમાનન્દ said,

    August 16, 2006 @ 8:54 AM

    […] # રચના […]

  2. ધવલ said,

    August 16, 2006 @ 8:16 PM

    કલાગુરુ રવિશંકર રાવળે કરેલું પ્રેમાનંદનુ ચિત્ર ( http://dhavalshah.com/Pictures/premanand.jpg ) મારા મતે એમની સર્વોત્તમ કૃતિઓમાંથી છે. ગામેગામ ફરી પ્રેમાનંદ પોતાની કૃતિઓ લોકોને માણ ઉપર વીંટીઓથી તાલ આપી સંભળાવતા – એ દ્રશ્યને અદભૂત રીતે ચિત્રમાં રજું કર્યુ છે. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તક પર આ ચિત્ર હજુ આજે પણ સ્થાન પામે છે.

  3. amit said,

    August 17, 2006 @ 3:40 AM

    સુંદર !

    અને સાચી વાત છે આજે પણ ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તક પર માણભટ નુ ચિત્ર જોવા મળે છે.

  4. amit said,

    August 17, 2006 @ 4:00 AM

    કહે શુક્રજોગી : ‘સાંભળો, રાયજી ! ફરી ફરી પ્રેમદા લાગે પાય જી ;
    વિપ્ર સુદામો આપ વિચારે જી: ‘નિશ્વે જાવું પડશે મારે જી. ‘

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment