શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.
વિવેક ટેલર

વ્યથા – શેખાદમ આબુવાલા

હે, વ્યથા !  હે,  વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. –  હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા !  …

– શેખાદમ આબુવાલા

વ્યથાને સંબોધીને લખાયેલી આ રચના શ્રી. હરિહરને શ્રી. અજિત શેઠના સ્વરાંકનમાં અત્યંત ભાવવાહી રીતે ગાઇ છે. વ્યથાનું ગૌરવ ગાતી આ રચનામાં માધુર્યની સાથે જીવનની એક મહાન ફિલસુફી પણ કવિએ તેમની આગવી શૈલીમાં વણી લીધી છે.
કોના જીવનમાં વ્યથાનો વાસ નથી હોતો? પણ એ વ્યથાના ગાણાં ગાવાં અને રડતાં રહેવા કરતાં તેને ભીતર જ શમાવી શકીએ તેવી આરજુ આ ગીતમાં સાંભળી એક નવું જ બળ આપણા કણ-કણ માં પ્રસરી જાય છે.

Leave a Comment