ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……

6 Comments »

  1. Suresh Shah said,

    June 17, 2013 @ 3:41 AM

    ભક્તકવિ નરસિંહ મહેતા ને લયસ્તરો નું માધ્યમ મળ્યું હોત તો?

    કવિએ આદિકાળમાં જીવનના સત્યો કેવી સુંદર રીતે રજૂ કર્યાં છે!

    વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……
    ખૂબ જ સાચુ કહ્યું તમે.

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. Harshad said,

    June 17, 2013 @ 9:04 PM

    Bhakt Shri Narsinh Mehata is the gaurav of Gujarati bhasha. I do not think another Narsinh Mehata will born again. Millions of salute for this rachana will not be enough.

  3. M.D.Gandhi, U.S.A. said,

    June 18, 2013 @ 1:07 AM

    નરસિંહ મહેતાના ભજનો અલૌકિક છે. એમના બધા ભજન બહુ સરળ ભાષામાં હોય છે એટલે મોઢે ઝટ થઈ જાય છે. જોકે આ ભજનમાં થોડા શબ્દો અઘરા છે, પણ “ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
    અંતે તો હેમનું હેમ હોયે …” આ શબ્દો તો અતિ પ્રખ્યાત થઈ ગયા છે. સુંદર ભજન છે.

  4. Pravin Shah said,

    June 18, 2013 @ 10:00 AM

    સાત સાત જન્મો સુધરી જાય જો આ એક જ ગીત સમજાય.
    જય હો જુનાગઢ નર !

  5. pragnaju said,

    June 18, 2013 @ 10:09 AM

    આનંદ આનંદ
    હવે તો…
    નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે

  6. Ramesh Patel said,

    June 18, 2013 @ 12:19 PM

    બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને
    સંતકવિના આત્મ સાક્ષ્તાકાર સાથે દિવ્ય અનુભૂતિ પછીની , માનવ જીવનને એ પરમ ચૈતન્યના સમીપે લઈ જતી , આ રચના પંડિતાઈની ચરમ સીમા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment