હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પરાજિત ડાભી/ તમન્ના આઝમી

પરાજિત ડાભી/ તમન્ના આઝમી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રાખ ઊડે શ્વાસની – પરાજિત ડાભી, તમન્ના આઝમી

કેમ હું સાગર તરી શકતો નથી ?
ને કિનારે આછરી શકતો નથી.

શું લખાશે કબ્રની તક્તી ઉપર,
એ વિચારે હું મરી શકતો નથી.

આપમેળે એ ગઝલમાં અવતરે
શબ્દને હું સંઘરી શકતો નથી.

ના કરે કોશિશ કહો વરસાદને,
આગ જેવો છું, ઠરી શકતો નથી.

રાખ ઊડે શ્વાસની ચારેતરફ,
એક ચપટી પણ ભરી શકતો નથી.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

Comments (8)

સાંભળ્યું ? – પરાજિત ડાભી, તમન્ના આઝમી

મેં તને જે પણ કહ્યું, તેં સાંભળ્યું ?
બાગને તેં રણ કહ્યું, મેં સાંભળ્યું.

પ્રેમનું કારણ કહ્યું, તેં સાંભળ્યું ?
છીછરું તારણ કહ્યું, મેં સાંભળ્યું.

આંખને દર્પણ કહ્યું, તેં સાંભળ્યું ?
આંસુઓનું ધણ કહ્યું, મેં સાંભળ્યું.

ઘાવ તારા ગણ કહ્યું, તેં સાંભળ્યું ?
ને ફરીથી ખણ કહ્યું, મેં સાંભળ્યું.

છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

બધી જ રીતે અનૂઠી ગઝલ. આમ ગણો તો મત્લા ગઝલ અને આમ ગણો તો રદીફ ખરેખર કઈ એ વિશે પ્રશ્ન જાગે. આને યુગ્મ (ડ્યુએટ) ગઝલ ગણી શકાય અને કવિ પણ પહેલી નજરે બે લાગે.

જો કે મારી જાણકારી મુજબ તમન્ના આઝમી એ પરાજિત ડાભીની ડામી ન શકાયેલ અપરાજિત ઇચ્છાઓનું જ બીજું નામ છે… 😉

Comments (18)