એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અહમદ આકુજી સુરતી ‘સીર

અહમદ આકુજી સુરતી ‘સીર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)