હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વત્સરાજ ભણોત ‘ઉદયન’

વત્સરાજ ભણોત ‘ઉદયન’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ચંદ્રમા – ઇંડિથ સોય્ડરગ્રાન (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

કેવી અનિર્વચનીય અને અદભુત છે
દરેક મૃત વસ્તુ !
ખરેલું પાંદડું, મરેલો માણસ, અને
ચંદ્રમાની થાળી !
બધાં ફૂલો જાણે છે એક રહસ્ય –
અને વનરાજી તેને સાચવે છે ! –
કે ચંદ્રની પૃથ્વીની ચારેકોરની પરિકમ્મા
ખરેખર તો મોતની કેડી છે.
ચંદ્ર વણે છે પોતાનો ગેબી વણાટ
(જેને ફૂલો ચાહે છે)
અને પોતાની અલૌકિક જાળ
સમસ્ત સજીવ જગતની આસપાસ વીંટાળ્યે જાય છે.
ચંદ્રમાની દાતરડી
પાનખરની પાછલી રાતોમાં
બધાં ફૂલોની લણણી કરી નાંખે છે,
(છતાંય) ફૂલો બધાં
તેના આ મૃત્યુચુંબનની પ્રતીક્ષા કરે છે

અસીમ આતુરતાથી.

– ઇંડિથ સોય્ડરગ્રાન (ફિનલેન્ડ)
(અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

મૃત્યુ સંસારનો એકમાત્ર અફર નિયમ હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાની નજરે એનો તાગ લેવા સદાકાળથી મથતો આવ્યો છે. જેનું વર્ણન થઈ શકતું નથી એવી અદભુત વસ્તુ મૃત્યુને કહીને કવિ ચંદ્રની પરિકમ્મા અને બીજના ચંદ્રના દાતરડાને અનિવાર્ય મૃત્યુ સાથે સાંકળી લે છે. પણ ખરું સૌંદર્ય તો મૃત્યુચુંબનની પ્રતીક્ષામાં અસીમ આતુરતાબદ્ધ ફૂલોની વાતમાં છે. વાત ફૂલોની છે કે આપણા સહુની ?

Comments (1)

વિશ્વ-કવિતા:૧૨: વણલખ્યો પત્ર (સ્વિડન) – હેલ્ગે ચેડેનબેર્ય (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

જો હું લખી શકત તમને
એક અત્યુત્તમ સંપૂર્ણ પત્ર,
તો
તેના શબ્દો ઝગારા મારત
તમારાં નયનોની જેમ જ,
તેમાંથી સુવાસ આવતી હોત
જેવી તમારા દેહમાંથી આવે છે.
તેમાંથી સ્વરો નીકળત
જેવા તમારા કંથમાંથી નીકળે છે.
તે હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે.

મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીનાં બુંદનું લખાણ.
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો:
તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો
જેમાં પોતીકાપણું રહ્યું જ નથી,
અને એવો સ્નિગ્ધ પ્રેમ તેમાંથી નીતરત
જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે.

તે પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ જ રહ્યા નથી,

એક અણ-કહી વાત, જેમાં
તમારા અંત:સ્થલનો સાત ડોકિયાં કરતો હોત.
આવો હોત, તે આદર્શ પત્ર.

જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
તો તમે પોતે જ મારો પત્ર હોત.

– હેલ્ગે ચેડેનબેર્ય (સ્વિડન), અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’

લખેલા પ્રેમપત્ર વિશે કે પ્રેમપત્રમાં કશુંક લખવા વિશેની ઊર્મિસભર વાતો તો ઘણી કવિતાઓમાં જોવા મળે છે. પરંતુ લાગણીથી લથબથ આ વણલખ્યા પત્રની કવિતા વાંચો તો જરૂર એમ થાય છે કે આ પત્ર જો ખરેખર પ્રિયજનને લખી શકાયો તો હોત તો એનું રૂપ કેવું હોત?! કાવ્યમાં કવિ જેમ જેમ આપણને અંતની નજીક લઈ જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ભીંજાતા જઈએ છીએ… અને છેલ્લે કવિએ પ્રિયજનને જ પોતાનો પત્ર હોવાની કહેલી વાતથી તો તમે બિલકુલ કોરા રહી જ ના શકો… !

Comments (3)