ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
ભાગ્યેશ જહા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ધન્ય – નરેન્દ્ર મોદી

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.

-નરેન્દ્ર મોદી

ગઈકાલે ૦૭-૦૪-૨૦૦૭ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન મુંબઈના ભાઈદાસ હૉલમાં થયું. રાજકારણ સાથે સંકળાયેલો માણસ જ્યારે શબ્દ સાથે પનારો પાડે ત્યારે પહેલાં તો શંકા જાગે કે એ સાચા શરસંધાન કરી શક્શે ખરો? પણ જેમ રામે પરશુરામની શંકા શિવધનુષ ધારીને કડડડભૂસ કરી હતી એમ ન.મો.ના કાવ્યો સાહિત્યરસિકોની આશંકાને સાનંદાશ્ચર્યથી નવાજી ખોટી પાડે છે. ગીતની કક્ષામાં આવી શકે એવું આ કાવ્ય મહદ્ અંશે તરન્નુમમાં ભાસે છે. પહેલી કડીમાં પૃથ્વીના સૌંદર્યનું વિશાળ ફલક રજૂ કરી બીજી જ પંક્તિમાં કવિ આંખ જેવી ઝીણકી સંજ્ઞા પર ભાવકને એવી મસૃણતાથી પછાડે છે કે કાવ્યમાં આગળ ખરેખર કવિતા આવશે એવી ભાવાનુભૂતિ થયા વિના રહેતી નથી. પૃથ્વીની રમ્ય વિશાળતા આંખના ઝીણકાપણાથી માણીએ તો જ જીવન ધન્ય બને. ઝાલ્યા ન ઝલાતા તડકાના ઢોળાવાની વાત અને હવામાં રંગોના વર્તુળો દોરતા મેઘધનુની વાત સાથે પુણ્યને સાંકળીને કવિ પ્રકૃતિના નાના-મોટા સાક્ષાત્કારોને ધન્યતાની ઊંચાઈ આપવામાં સફળ થયા છે. સમુદ્ર આકાશમાં ઊછળે? અને એની સાથે વાદળોની વાત? રાજકારણના આદમી શબ્દકારણના કવિ તરીકે ક્યાંક વાણીવિલાસ તો નથી કરી બેઠા ને? અરે હા! વાદળોના ગાભમાં હકીકતે ભર્યું છે શું? સમુદ્રનું બાષ્પીભવન થયેલું પાણી જ ને? અંતરાના અંતમાં જ્યારે કવિ ‘ભરેલા શૂન્ય’ની વાત કરે છે ત્યારે અચાનક તડકો, રંગધનુ, સમુદ્ર અને વાદળોના ગાભને એકસૂત્રે બાંધતા વૈજ્ઞાનિક તથ્યની ચમત્કૃતિનો શબ્દાત્કાર થાય છે અને પૃથ્વીની રમ્યતા શબ્દોમાંથી નીકળીને આપણા અહેસાસ સાથે સંકળાતી લાગે છે, જે કવિતાની સાચી ફળશ્રુતિ છે. કવિ માત્ર સૌંદર્યની વાત કરીને અટકી નથી જતાં. એમની ભીતરે તો કૈંક બીજું જ અભિપ્રેત છે. માનવીના મેળામાં ભળવાની વાત સાથે અન્યોની  હાજરીમાં પોતાની જાતને કળવાની વાત કવિની જાગૃત સંવેદનાનું દ્યોતક્ છે. અને અંતે આ બધા ગમ્યની બહાર કશુંક અગમ્ય પણ છે કહીને પોતાની ધારી ચોટ પૂરી કરે છે ત્યારે લાગતું નથી કે ગુજરાતની સૂરત બદલી નાંખનાર કોઈ પ્રખર રાજકારણીના આ શબ્દો છે.

Comments (40)