પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો…
– જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રકીર્ણ

પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તો શું થશે? -હિમાંશુ ભટ્ટ

જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?

રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?

માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?

તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?

મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?

દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?

છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?

-હિમાંશુ ભટ્ટ

હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે  કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!

Comments (4)

અલવિદા, સુરેશભાઈ !

આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી.

આ અઠવાડિયે અચાનક એમણે પત્ર લખીને મને જણાવ્યું કે –

“મને લાગે છે કે જો હવે હું પરંપરાગત જોડણીમાં લખવાનું ચાલુ રાખીશ તો હું ઉંઝા જોડણી તરફના મારા લગાવને અન્યાય કરી રહ્યો છું … બે અલગ જોડણી વપરવાનું મારા માટે મુશ્કેલ છે. એ મારા માટે માનસિક યાતના છે. એટલે હું લયસ્તરોમાંથી તરત જ છૂટો થઈ જવા માગું છું.”

લયસ્તરોમાં લખવાનું સુરેશભાઈ ભલે છોડી શકે પણ કવિતાની રંગત તો એ કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે. અને ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને જોડણીનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે. આ પરંપરાગત વિ. ઉંઝા જોડણીના વિવાદમાં હું મારી તતૂડી વગાડવાની ગુસ્તાખી કરું તો મૂરખ જ ઠરું. હું તો મને જે ગમે એ રસ્તા પર ચાલુ છું. અને આ ઉંઝા જોડણી હજુ મારી આંખને કે મારા દિલને ગમતી નથી.

જ્યારે જ્યારે હું કોઈ મિત્ર સાથે સહમતિ સાધી શક્તો નથી ત્યારે હું ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની આ વાત કહું છું.

I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.

સુરેશભાઈ, આજે હું તમને પણ એ જ વાત કહું છું. લયસ્તરો તરફથી, હું અને વિવેક બન્ને, તમને સફળતા ઈચ્છીએ છીએ.

Comments (4)

રમેશ પારેખ વગરનું એક વર્ષ…

પ્રિય મિત્રો,

સત્તરમી મે, 2006નો દિવસ ગુજરાતી સાહિત્યના માથે સુનામીના વિનાશક મોજા સમો ખાબક્યો. શબ્દનગરીના બેતાજ બાદશાહ રમેશ પારેખ નામનું એક શરીર હૃદયરોગના હુમલાને નામે આપણી વચ્ચેથી સાંગોપાંગ છીનવાઈ ગયું. આપણી ભાષાને વધુ ને વધુ રળિયાત કરી શકે એવી સેંકડો કવિતાઓ અને લેખો અનાગત બનીને કાળની ગર્તામાં જ ગોપાઈ ગયા અને રહી ગઈ કદી મટી ન શકે એવા અ-ક્ષરીય પગલાંઓની અસીમ છાપ…

રમેશ પારેખને લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ !

ગયા વરસે આજ વેબ-સાઈટ ઉપર આલેખાયેલ ર.પા.નું શબ્દ-ચિત્ર આંખોમાં ભરીને આપ આજે ફરીથી એમને શ્રદ્ધા-સુમન અર્પી શકો છો:

છ અક્ષરનું નામ

ર.પા.ના દૈહિક અવસાન પર એમના સપ્તરંગી મિજાજને તાદ્દશ કરતી સાત અલગ-અલગ પ્રકારની કાવ્ય-રચનાઓ પણ ક્રમશઃ પ્રગટ કરી હતી… જે નીચેની લિન્ક પર ક્લિક્ કરી આપ વાંચી શકો છો:

– રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ….
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત

અસ્તુ !

Comments (1)

ગમતાનો ગુલાલ – નીલમ એચ. દોશી

નીલમ દોશી નામથી નેટ-ગુજરાતીઓ અણજાણ નથી. પરમ સમીપે બ્લૉગ પર એ સતત શબ્દોની સુવાસ પાથરતા રહે છે. તાજેતરમાં જ નેટ-ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવી એક ઘટનાએ આકાર લીધો છે અને એ છે નીલમ દોશી લિખિત બાળનાટિકાઓના પુસ્તક “ગમતાનો ગુલાલ”નું પ્રકાશન. ચોથા ધોરણથી દસમા ધોરણના બાળકો ભજવી શકે એવા મજાના સાત પ્રહસનો જાણે કે એક સાત રંગનું મેઘ-ધનુષ રચે છે. સામાન્યરીતે નાટકો લખાયા પછી ભજવાતા હોય છે, પરંતુ આ પુસ્તિકાની ખાસ વિશેષતા એ છે કે આ બધા જ નાટકો ભજવીને લખાયા છે. વર્ષો સુધી ભજવતા-ભજવતા લખતા જવાયેલા આ નાટકો એમના જ નિર્દેશનમાં બાળકોએ સફળ રીતે ભજવ્યા પછી આ પુસ્તકનો પિંડ બંધાયો હોવાથી નાટક લખવા અને ભજવવાની વચ્ચે જે અડચનો ઉપસતી હોય છે એની અપેક્ષા મુજબની ગેરહાજરી અહીં નાટકોને સરળ પ્રવાહિતા બક્ષે છે. હાસ્યરસ, કરુણરસ, દેશભક્તિ, ભણતરનો ભાર, સામાજિક દૂષણો અને જનરેશન-ગેપ જેવા ભારી વિષયોને સજિંદી હળવાશ અપાઈ હોવાથી નાટકો મોટાઓને પણ ગમી જાય એવા છે. એકાદ-બે અપવાદોને બાદ કરતાં નાટકની ભાષા બાળકોએ જ લખી હોય એટલી સુગમ રહી છે જે લેખિકાની સિદ્ધિ. ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પુસ્તિકાના પ્રકાશનમાં રસ દાખવ્યો એ બાબત નાટિકાઓ વિશે એક લીટીમાં ઘણું કહી નાંખે છે. નીલમ દોશીને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.

(લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રીમતી નીલમ દોશીનો ખૂબ ખૂબ આભાર).

ગમતાનો ગુલાલ – બાળનાટકો (ધોરણ ચારથી દસના બાળકો માટે)
કિંમત : રૂ. 60.
પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર એજન્સી, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ- 380001.
લેખિકા : નીલમ દોશી, બંગલા નં-2, ખટાઉ જંકર હાઉસીંગ કોમ્પ્લેક્સ, લક્ષ્મીનારાયણ સૉસાયટી, ધરમનગર સામે, ભોલાવ, ભરૂચ – 392002.
ઈ-મેઈલ : nilamdoshi@yahoo.com

Comments (13)

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (5)

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ

આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરીએ છીએ. નીચે ઈ-મેલ લીસ્ટમાં તમારું ઈ-મેલ ઉમેરો અને પછી લયસ્તરો પર જ્યારે પણ નવો પોસ્ટ મૂકાય કે તરત અમે તમને ઈ-મેલથી જાણ કરીશું. ઘણા વાંચકો કહેતા હતા કે લયસ્તરો પર આવીને વારંવાર ‘ચેક’ કરવું પડે છે નવો પોસ્ટ મૂકાયો છે કે નહીં. હવે માત્ર ઈ-મેલ લીસ્ટમાં જોડાવ ને પછી નવો પોસ્ટ લયસ્તરો પર મૂકાયો નથી કે તમને ઈ-મેલ પહોંચ્યો નથી !

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેલ કરો : mgalib@hotmail.com

Comments (2)

‘શોધ’ના ઉપક્રમે ડલાસમાં યુવા કાવ્ય-સંગીત ઉત્સવ

શોધ સંસ્થાના ઉપક્રમે ડલાસમાં યુવા કાવ્ય-સંગીત ઉત્સવ ફ્રેબ્રુઆરી 24ના રોજ યોજાયો છે. આ કાર્યક્રમમાં કવિતા, ગીત કે સંગીત પ્રસ્તુત કરવા માટે 5 થી 18 વર્ષના બાળકો-યુવકો-યુવતીઓને નિમંત્રણ છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો.

ઈ-મેલ સંપર્ક: હિમાંશુ ભટ્ટ hvbhatt@yahoo.com

 

Comments (1)

શીતલ સંગીત : નેટ પર ચોવીસે કલાક ગુજરાતી સંગીતનો વરસાદ

અત્યાર સુધી અહીં અમેરિકામાં રેડિયા પર ગુજરાતી ગીતો સાંભળવાની ઈચ્છા થાય તો એનો એક જ ઉપાય હતો – ટિકિટ કપાવીને ઈંડિયાની વાટ પકડવી ! પણ હવે એક બીજો ઉપાય પણ છે – શીતલ સંગીત નેટ રેડિયો.

કેનેડાથી પ્રસારિત થતું આ નેટ રેડિયો સ્ટેશન ચોવીસે કલાક ગુજરાતી કાર્યક્રમો પીરસે છે. ગુજરાતી ગીત-ગઝલથી માંડીને હાસ્ય કલાકારોના કાર્યક્ર્મો તમે શીતલ સંગીત પર માણી શકો છો. તમને મનગમતા ગીતની ફરમાઈશ પણ બને ત્યાં સુધી શીતલ સંગીત પૂરી કરે છે. એમની વેબસાઈટ પર ગુજરાતી સંગીત કલાકારોનો પરિચય પણ મૂક્યો છે એ સોને પે સુહાગા જેવી વાત છે.

તા.ક. : આ વખતના ચિત્રલેખામાં શીતલ સંગીત પર લેખ આવ્યો છે એ લેખ તમે અહીં વાંચી શકો છો. ( આભાર, જયશ્રી અને ઊર્મિ ! )

Comments (15)

લયસ્તરોને જન્મદિવસની અનોખી ભેટ

તાજેતરમાં લયસ્તરોને બે વર્ષ પૂરા થયા. આ અવસરે લયસ્તરોને મળેલી સૌથી અનોખી ભેટ સહિયારું સર્જન પર લયસ્તરોના શુભેચ્છકોએ લયસ્તરોને પાઠવેલી કાવ્યાત્મક શુભેચ્છાઓ છે. આનાથી વધારે સારી ભેટ તો કઈ હોય શકે ! આભાર – ઊર્મિ, કિરીટભાઈ, ચીમનભાઈ, નીલાબેન, વિજયભાઈ અને નીલમબેન.

Comments (1)

લયસ્તરો પર દરેક પાને સદાનવીન કાવ્યકણિકાઓ !

લયસ્તરોની બીજી વર્ષગાંઠના પ્રસંગે એક નવી સવલત ઊમેરી છે. આ વાંચતા પહેલા જ મોટે ભાગે આપે જોઈ જ લીધું હશે કે દરેક પાનાના મથાળે હવે એક કાવ્યકણિકા – શેર, મુક્તક કે કાવ્યપંક્તિ -દેખાય છે. મઝાની વાત તો એ છે કે દરેક વખતે પેજ રીફ્રેશ થતા નવી જ કાવ્યકણિકા દેખાશે. દરેક પાને અને દરેક ક્લીકે ગુજરાતી સાહિત્યની યાદગાર કાવ્યકણિકાઓમાંથી એક આપનું સ્વાગત કરશે !

Comments (4)

લયસ્તરોની બીજી વર્ષગાંઠ : આપના પ્રતિભાવ !

લયસ્તરોની આજે બીજી વર્ષગાંઠ છે. બે વર્ષ પહેલા મનને ગમી ગયેલી અને દિલને અડી ગયેલી ગુજરાતી કવિતાઓ બધા માણી શકે એ માટે આ બ્લોગ શરૂ કરેલો. બે વર્ષમાં આ બ્લોગે અમને ઢગલાબંધ કવિતાઓ સાથે અને એનાથીય વધુ તો કવિતા જેવું દિલ ધરાવતા મિત્રો સાથે ઓળખાણ કરાવી આપી છે. આજે એ પ્રસંગે મિત્રોએ મોકલેલ પ્રતિભાવો અહીં માણો.

મુંબઈથી મીનાબેને એમના સ્નેહાળ શબ્દો મોકલ્યા છે:

મિત્ર ધવલ, લયસ્તરો આ નામ નથી જાણતી તેં કયા વિચારથી પ્રેરાઈને પસંદ કર્યું છે પણ આ સ્તરનો લય અવિરત સુગંધ પસરાવતો વહી રહ્યો છે. આ માટે તમારા ત્રણેની ટીમ – તું, વિવેક અને સુરેશભાઈ … આપ ત્રણેના કાર્ય સામે નતમસ્તક છું. અહીં નેટ પર વિવેકના બ્લોગ બાદ લયસ્તરો જ છે જેના પર હું વાંચવા આવું છું. સમયની અછતને કારણે બીજા પણ સારા બ્લોગ વાંચવાના રહી જાય છે ને આ બે બ્લોગ પણ હું સમય પર વાંચી નથી શકતી પણ જે ઘડીએ વાંચું છું લાગે છે કે એ દિવસનો મારો માનસિક આહાર મેં બરાબર લીધો છે. આપ ત્રણેને મારી શુભકામના. લયસ્તર પર આવતા એવું લાગે છે જાણે આખા દિવસના કામબાદ થાક્યા ઘરે પાછા ફર્યા છીએને થોડી જ વારમાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. આગળ હવે આપ સૌની જવાબદારી પણ વધી જાય છે. આટલું સરસ સ્તર બનાવ્યા બાદ એની પાત્રતા વધુ ને વધુ સારી રીતે જળવાઈ રહે એની દરકાર રાખશો જ.

જરૂરથી મીનાબેન, અમે લયસ્તરોનું સ્તર જાળવવા માટે કોઈ કસર નહીં છોડીએ.

વધુ આગળ વાંચો…

Comments (8)

લયસ્તરોની બીજી વર્ષગાંઠ – પ્રતિક્ષા છે આપના પ્રતિભાવોની…

૪ ડિસેમ્બર, ૨૦૦૪… થી ૪ ડિસેમ્બર, ૨૦૦૬…. લયસ્તરોની યાત્રા શરૂ થયાના બે વર્ષ…

લોહીમાં સુરતની ગલીઓ લઈને અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા એક ગુજરાતીને બે વર્ષ પહેલાં પિત્ઝામાં રોટલીના દર્શન થયા હોય એમ મા ગુર્જરીનો સાદ સંભળાયો. વેબ-લોગના વધતા જતા વ્યાપ અને વિન્ડૉઝ-એક્ષ.પી.માં વૈશ્વિક ભાષાઓના પ્રયોગની ઉપલબ્ધિએ એક એવી દિશાના દરવાજા ખોલ્યા ને ‘લયસ્તરો’ની શરૂઆત થઈ. ધવલ શાહની એક નાનકડી રમત, જે શરૂમાં માત્ર શોખ હતી, ધીમે-ધીમે એક પ્રતિબદ્ધતામાં પલટાઈ ગઈ. અનિયમિત પૉસ્ટ કાળક્રમે અઠવાડિયે પાંચ કવિતાની જવાબદારી બની ગઈ… લયસ્તરો પરની પ્રથમ પોસ્ટ કદાચ ગુજરાતી વાચકો માટે યુગપરિવર્તનનો – સાહિત્યના કૉમ્પ્યુટરીકરણનો સંદેશ લઈને ઊગી હતી…

વધુ આગળ વાંચો…

Comments (11)

અભિનંદન, વિવેક !

ગુજરાતી ભાષામાં બે સામાયિકો એવા છે કે જેમાં પોતાની કવિતા પ્રકાશિત થાય તો કોઈ પણ કવિને ગર્વ થાય. એક છે ‘કવિતા’ અને બીજું છે ‘કુમાર’. વિવેકની એક સુંદર ગઝલ ‘કવિતા’ના છેલ્લા અંકમાં પ્રકાશિત થઈ છે. અભિનંદન, વિવેક ! 

વિવેકની વધુ રચનાઓ આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા પર માણી શકો છો.

Comments (2)

ભૂંસાતા જતા ગુજરાતના સાહિત્યલક્ષી સામાયિકો

રીડ ગુજરાતી.કોમ પર મૃગ્રેશે આજે ભૂલાતા જતા ગુજરાતી સામાયિકો વિષે સરસ લેખ પ્રગટ કર્યો છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં પાયાનું કામ કરતા આ સામાયિકો આર્થિક તકલીફોથી સામે સતત ઝઝૂમી રહ્યાં છે. ભારતના સૌથી સંપન્ન રાજ્યોમાંથી એક હોવા છતાં આપણે આપણી ભાષા અને સાહિત્ય માટે કાંઈ કરતા કે કરી શકતા નથી. ગુજરાતી સાહિત્યના મોભ જેવું ‘કુમાર’ પણ થોડા વખત પર બંધ થઈ ગયું હતું એનાથી વધારે ચોંકાવનારી વાત તો કઈ હોય શકે? એ તો સદનસીબે ફરી શરૂ થયું છે પણ બીજા કેટલાય સામાયિકો મરવાના વાંકે જીવી રહ્યાં છે. ‘શું શા પૈસા ચાર’વાળુ મહેંણું આપણે ક્યાં સુધી સાંભળતા રહીશું ?

Comments (3)

ઘા મટાડતું ગીત

સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.

સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.

તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.

Comments (4)

આઈ લવ યુ, પપ્પા !

પ્રિય પપ્પા,

તમે આમ અચાનક અને આટલા જલ્દી અમને છોડીને ચાલ્યા જશો એવી આશા તો અમને ક્યાંથી હોય ? ફક્ત બે મિનિટ… મૃત્યુને ગળે લગાડવાની આટલી ઉતાવળ ? મારા હાથમાં પસાર થયેલી એ બે મિનિટ, થોડા શ્વાસ અને મોનિટર પર ઝબકેલા થોડા ધબકારા… એડ્રીનાલિન, એટ્રોપીન, ઈંટ્રાકાર્ડિયાક ઈંજેક્શન, કૃત્રિમ શ્વાસ અને હૃદયનું પમ્પીંગ… એક ડૉક્ટરને ખબર હતી કે આ બધી કસરત વ્યર્થ હતી કેમકે જે શરીર પર એ મહેનત કરી રહ્યો છે એમાંથી ચેતન તો ક્યારનું ય વહી ગયું છે પણ એક પુત્ર જાણે એ બે મિનિટના શ્વાસમાંથી એક આખી જિંદગી ખેંચી આણવા મથતો હતો…

મૃત્યુ મારે માટે કોઈ મોટી ઘટના નથી. સિવીલ હૉસ્પિટલથી શરૂ કરીને આજદિન લગી કંઈ કેટલાય લોકોને મરતા જોયા છે અને કેટલાંય લોકોએ તો આ હાથમાં જ દમ તોડ્યો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે કોઈપણ સગાનું મૃત્યુ મને લગીરે વિચલિત નહીં કરી શકે. અને આ ત્રણ દિવસોમાં હું વર્ત્યો પણ એમ જ. ત્રેવીસમીના એ ગોઝારા દિવસે પણ મેં પપ્પાના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બે દર્દી, જે મારી જ સારવાર લેવા ઈચ્છતા હતા એમને હૉસ્પિટલમાં દાખલ પણ કર્યા. કોઈપણ સગાને કે મમ્મી કે વૈશાલીને પણ રડવા ઉપર મનાઈ ફરમાવી. છૂટક-છૂટક રૂદનને બાદ કરતાં આખો પ્રસંગ કોરો રહે એની ખાસ કાળજી રાખી. કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી…

…શૂન્ય ધબકારા…શૂન્ય શ્વાસ અને આંખોની પહોળી થઈ ગયેલી કીકી… સવારે અગિયાર વાગ્યે એક ડૉક્ટરે એક દીકરાને સમજાવી દીધું કે હવે આ શરીર ફક્ત શરીર જ છે. સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર.’ અને ત્યારબાદ બીજો ફોન કર્યો મારી બહેનને…

ઘરની બહાર ચાલવા માટે નીકળેલો માણસ આંટા મારતા મારતા ઘરની બહાર જ ફસડાઈ પડે અને મચેલી બૂમરાણની સીડી પર દોડીને એક તબીબ-પુત્ર એની નાડી ગણતરીની ક્ષણોમાં તપાસે અને અનિવાર્ય મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ? થોડો સમય તો આપવો હતો…. થોડી કોશિશને તો આપવો હતો થોડો અવકાશ… પણ તમને તો સામો તમારી પાસે કંઈ માંગે તે પહેલાં જ આપી દેવાની આદત પડી ગઈ હતી ને ! પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!

વધુ આગળ વાંચો…

Comments (13)

અઘરો મુકામ

અત્યંત ખેદને લાગણી સાથે જણાવવાનું કે વિવેકના પિતા શ્રી મનહરભાઈ ટેલરનું સૂરત ખાતે આજે નિધન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. બહુ ઓછા લોકો ચોખ્ખા દિલ અને ઉન્નત મસ્તક સાથે જીવવાનો દાવો કરી શકે છે, મનહરકાકા એમાંથી એક હતાં. વિશાળ વાંચન અને વિશાળ હ્રદયનો એમનામાં સંગમ થયો હતો. જીવનના આ અઘરા મુકામે પ્રભુ એમના બધા કુટુંબીજનોના હ્રદયને શાતા આપે એવી પ્રાર્થના.

Comments (14)

શહેરમાં પધાર્યા તાપી માત !

રૂડું   સૂરત   સરખું   શહેર,   જગરેલે  કાઢ્યું  ઝેર,
કંઈક     દહાડાનું     વેર,    એણે     લીધું    છે.

ઘણું   કીધું છે  નુકશાન,  સૌનાં  ઉતાર્યા છે માન,
એ    તો   કરતી  આવી  તાન,   દુ:ખ   દીઘું છે.

ફરતી   ફરતી  ઠામેઠામ,  સૌએ મૂકી મનની હામ,
કાંઠા   ઉપરના   ગામ,   ઘસડી    લાવી     છે.

બીજે   દહાડે   મંગળવાર, માએ રસ્તા રોક્યા બાર,
જોવા    નીકળ્યા   અમલદાર,    હારી   બેઠા  છે.

જ્યાં જ્યાં જઈએ ત્યાં પાણી, દુનિયા કરી ધૂળધાણી,
જાણે   સૂરત   લેશે   તાણી,    ભય    લાગે   છે.

આજે જ કોઈએ આ પંક્તિઓ તાપીના પાણી સામે હારી ગયેલા સુરતની હાલત જોઈને લખી હોય એવી લાગે છે. પણ ખરેખર આ પંક્તિઓ સો વરસ કરતા પણ જૂની છે. આ કૃપાશંકર વ્યાસે 1883માં લખેલી ગરબી ‘શહેરમાં પધાર્યા તાપી માત!’માંથી લીધી છે.

સવાસો વર્ષના સમય પછી અને બે-બે બંધ બાંધેલ હોવા છતાં આજે પણ પરિસ્થિતિ એની એજ છે એ પણ જોવા જેવી વાત છે.  કાલ સુધીમાં ધીમે ધીમે પાણી ઉતરશે એવી વાત છે. આ તો માત્ર શક્યતાની જ વાત છે અને વળી સામે વધુ વરસાદની આગાહી છે. સુરતમાં મારા ઘરમાં બેથી ચાર ફૂટ પાણી ભરાયા છે એવા સમાચાર મળ્યા છે. (અત્યારે ત્યાં કોઈ રહેતું નથી) હવે સુરતમાં કોઈ ફોન લાગતા નથી. માત્ર સમાચાર પરથી પરિસ્થિતિનો અંદાજ મેળવવાની કોશિશ કરું છું પણ આ તો કોઈ રીતે મગજમાં ના ઉતરે એવી વાત છે.

Comments (2)

ઝાલ સુરતનો હાથ, ભગવાન !

આજે સુરતના માથે મોટી આફત આવી પડી છે. અતિવૃષ્ટિને કારણે તાપી છલકાય ગઈ છે. એક બાજુથી ઊકાઈ બંધમાંથી વધુને વધુ પાણી છોડ્યા વગર છૂટકો નથી જ્યારે બીજી બાજુ ભરતીને કારણે દરિયો પાણી લેતો નથી. મોટા ભાગના શહેરમાં ઓછાવત્તા પ્રમાણમાં પાણી ફરી વળ્યું છે. 1968ની રેલથી પણ વધારે પાણી શહેરમાં આવી જશે એવો ડર છે. આટલે દૂરથી કાંઈ કરી ન શકવાનો ખેદ થાય છે. વિવેકને ત્યાં ફોન લાગતો નથી પરંતુ એ શહેરના જે ભાગમાં છે ત્યાં પાણી ભરાયા નથી.

સુરત શહેરને બધાની શુભેચ્છાઓની જરૂર છે. કહે છે કે મંગળવારનો દિવસ નીકળી જાય તો પછી પાણી ઓસરી જશે. આશા રાખીએ કે ‘સોનાની મૂરત’ આ આફતમાંથી ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવે.

1938ની સાલમાં સૂરતમાં બળેવના દિવસે જ એક હોનારતમાં હોડી નદીમાં ડૂબી જવાથી 80 જણાએ જાન ગુમાવેલા એ હોનારત હજુ ઘણા યાદ કરે છે. આ બળેવે તો આખું શહેર જ ડૂબવા બેઠું છે. સુરતને ભગવાન જ બચાવી શકે એમ છે. સુરતનો હાથ ઝાલ, ભગવાન !

તા.ક. : વિવેકે મોકલેલા સુરતના ફોટા અહીં છે.

Comments (3)

કલાગુરુ શ્રી રવિશંકર રાવળની કૃતિઓનો ખજાનો

Ravishankar Raval

શ્રી રવિશંકર રાવળે ગુજરાતમાં કળાના વિકાસ માટે જેટલું કામ કર્યું છે તેટલું કદાચ બીજા કોઈએ કર્યું નથી. ગુજરાતમાં કલાકારોની એક આખી પેઢી એમના માર્ગદર્શન અને પ્રેરણાથી તૈયાર થઈ. ગુજરાત કલા સંઘમાં એમના શિષ્યોમાં રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, જગન મહેતા, સોમાલાલ શાહ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. એમણે શરૂ કરેલ ‘કુમાર’ સામાયિક તો ગુજરાતી સાહિત્યનો મોભ છે. શ્રી કાકાસાહેબ કાલેલકરે સાચી રીતે જ એમને ‘કલાગુરુ’ કહીને બિરદાવ્યા છે.

એમની કૃતિઓની વેબસાઈટ એમના પુત્ર શ્રી કનક રાવળે બનાવી છે. આ વેબસાઈટ પર ર.મ.રા.ની બધી ખ્યાતનામ કૃતિઓ મૂકી છે. ગુજરાતી સાક્ષરોના એમણે કરેલ વ્યક્તિચિત્રો અને કનૈયાલાલ મુનશીની કૃતિઓ પરથી એમણે કરેલ ચિત્રશ્રેણી ખાસ માણવાલાયક છે. એમણે કરેલ પ્રેમાનંદ, મીરાં, અખો વગેરેના ચિત્રો તો ગુજરાતીઓના માનસમાં અમર થઈ ગયા છે.

Comments (1)

મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ

મુંબઈ પશ્ચિમ રેલ્વે લાઈન પર ‘દોડતું શહેર’ કહેવાતી પરાંની ટ્રેનોમાં અગિયારમી જુલાઈએ (7/11) સાંજના દસ જ મિનિટના ગાળામાં થયેલા આઠ પ્રચંડ બૉમ્બ વિસ્ફોટોએ મુંબઈની ધોરી નસ કાપી નાંખી આખા રાષ્ટ્રને જાણે બાનમાં લીધું. સાંજ પડ્યે ખિસ્સામાં સપનાં, આશા અને સંબંધો લઈને પાછી ફરતી લગભગ બસો જેટલી જિંદગી અચાનક ‘હતી’ થઈ ગઈ… ઘરના રાહ જોતા ઊંબરા પર એ પગલાં હવે કદી નહીં પડે.

રમેશ પારેખની લયસ્તરો પર અગાઉ પ્રકાશિત એક ગઝલના બે શેર અહીં રજૂ કરી ત્રાસવાદના આકસ્મિક શિકાર બનેલા એ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ….

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

Comments (2)

લયસ્તરોનું નવું રૂપ.

લયસ્તરોના નવા રૂપમાં આપનું સ્વાગત છે.

લયસ્તરો બ્લોગ શરું કર્યો ત્યારે આટલો મ્હોરશે એની કલ્પના ન હતી. કેટલાક વખતથી ઈચ્છા હતી કે લયસ્તરોમાં ઘણી વધારે સવલતો ઊમેરવી. ઘણા વિચારો કર્યા અને ઘણા લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. ધીમે ધીમે એક પછી એક વિચારો ગોઠવાતા ગયા અને હવે છેવટે નવું રૂપ તૈયાર થઈ ગયું છે. નવા રૂપની સાથે જ લયસ્તરોનું વેબ-એડ્રેસ પણ બદલ્યું છે.

સરનામું બદલાવાની સાથે જ RSS feed પણ બદલાશે. નવું ફીડ એડ્રેસ છે : https://layastaro.com/?feed=rss2

નવું સરનામું બુકમાર્ક કરવાનું અને RSS ફીડનું સરનામું બદલવાનું ચૂકશો નહીં.

લયસ્તરો બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં ઘણી નવી સવલતો ઉમેરી છે.

  • સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories) છે. દરેક પોસ્ટને એક કે વધારે શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ‘વ્યથા હોવી જોઈએ – મરીઝ એ પોસ્ટ ‘મરીઝ‘ અને ‘ગઝલ‘ એમ બે શ્રેણીમાં છે.
  • કોઈ પણ શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એ શ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. ‘મરીઝ’ પર ક્લીક કરો અને તરત ‘મરીઝ’ની બધી રચનાઓ હાજર !
  • સાઈડબારમાં ‘શોધ‘માં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ રચના સરળતાથી શોધી શકો છો.
  • મંજૂષા‘ એ સાઈડબારમાં ‘શોધ’ પછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ ‘શ્રેણી’ પસંદ કરી શકો છો.
  • વિશેષ‘ વિભાગમાં ‘કવિઓ‘ અને ‘કાવ્યપ્રકારો‘ એ બે ખાસ પૃષ્ટો ઉમેર્યા છે. એના પર ક્લીક કરવાથી બધા કવિઓની કે બધા કાવ્યપ્રકારોની યાદી ખૂલશે. મન થાય કે આજે મુક્તકો માણવા છે તો કાવ્યપ્રકારોમાં જાવ અને મુક્તક પર ક્લીક કરો એટલે બધા મુક્તકો તરત તમારી સામે તૈયાર !
  • કોઈ પણ કવિના નામની શ્રેણી ખોલશો તો પહેલા તમને એ કવિનો સંક્ષિપ્ત પરિચય દેખાશે એવી ગોઠવણ પર ઉમેરી છે. (જુઓ, મરીઝ) અત્યારે બધા કવિઓનો પરિચય તૈયાર નથી, પણ ધીમે ધીમે એ ઉમેરાશે.
  • કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ‘ગુજરાતીમાં લખો’ બટન દબાવવાથી ‘ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.
  • ગુજરાતીમાં શી રીતે લખશો?’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી રીતે લખવું એની માહિતી છે.
  • સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS ફીડ ઉપલબ્ધ છે.

થોડા વખતમાં અમે હજુ વધારે સવલતો ઉમેરીશું.

આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.

Comments (3)

પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ

પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.

વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.

તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.

જિદ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ,
કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !

રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!

હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?

સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.

હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!

ડૉ. વિવેક મનહર ટેલર

આજે “વિશ્વ પાર્કિન્સન દિવસ” છે. પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.

Comments (3)

Away from home.

This week I am away from home. Unfortunately I can’t find a Gujarati enabled computer here. I won’t be able to post for rest of the week.

Comments

સાંભળો સુરેશ દલાલ વર્ષા અડલજાની રચનાઓ એમના પોતાના કંઠેથી!


સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે – સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગ્ધ્ય). સુરેશ દલાલ અને વર્ષા અડલજાની રચનાઓ એમના પોતાના કંઠેથી સાંભળવી એ અમૂલ્ય લહાવો અહીં ઘરબેઠા માણી આનંદ થઈ ગયો. ભારતની બીજી અનેક ભષાઓના ખ્યાતનામ કવિઓની રચનાઓ પણ આ સાઈટ પર ઉપલબ્ધ છે.
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ : ગુજરાતી પેજ
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ વિષે વધુ માહિતી

Comments