થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.
– મુકુલ ચોક્સી

ખંડિતા – રમણલાલ વ. દેસાઈ

(રાગ ઝિંઝોટી)

જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી;
ભૂલી પડી મદભર તમ નૈયા!
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈના!

હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો?
કંકણવેલી ક્યહાં ચિતરાવી?
અંજન ડાઘથી ઓપે કપોલ !–
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી!

– રમણલાલ વસંતલાલ દેસાઈ

થોડા દિવસો પહેલાં આપણે કવિશ્રી વિનોદ જોશીની કલમે ભરત મુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની ત્રણ –વાસકસજ્જા , કલહાંતરિતા અને ખંડિતા સાથે મુલાકાત કરી.… લયસ્તરોના સૌથી વફાદાર વાચક પ્રજ્ઞાજુએ આ રચના મોકલી આપી… એમના સહૃદય આભાર સાથે આ રચના અહીં પૉસ્ટ કરું છું.

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. અમરુશતકની યાદ આવી જાય એવું આ લઘુકાવ્ય છેતરાયેલી સ્ત્રીના મનોભાવોને કેવું સુંદર રીતે વ્યકત કરે છે તે અનુભવવા જેવું છે!

હવે અહીં આવવાનું શું પ્રયોજન છે, નાથ? જ્યાં જઈને રાત પસાર કરી હોય ત્યાં જ જાઓ. તમારી નૈયા ભૂલી પડી ચૂકી છે. પગ બીજે પડ્યો છે. હોઠ પરના પાનના ડાઘ છૂપ્યા છૂપાતા નથી. પ્રણયકેલિના નિશાન જ્યાં ને ત્યાં પિયુના શરીર પર દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે. આખી રાત કેમ ત્યાં જ ન વિતાવી કહીને નાયિકા જે છણકો કરે છે એની જ મજા છે…

12 Comments »

  1. Varij Luhar said,

    April 16, 2022 @ 11:57 AM

    વાહ ખંડિતા

  2. Jay kantwala said,

    April 16, 2022 @ 12:00 PM

    Waah

  3. Harihar Shukla said,

    April 16, 2022 @ 12:05 PM

    ર.વ.દેસાઈ મૂળ વડોદરાના નવલકથાકાર, એમની નવલકથા દિવ્યચક્ષુ થી ખૂબ જાણીતા, એમનું આ ગીત વાંચીને સુખદ આશ્ચર્ય.👌

  4. Chetan Shukla said,

    April 16, 2022 @ 12:22 PM

    અદ્ભુત રચના

  5. Anjana Bhavsar said,

    April 16, 2022 @ 12:26 PM

    ગુજરાતી ભાષામાં લખાયેલા અષ્ટનાયિકા પરના વિભિન્ન કાવ્યો વાંચી ખૂબ આનંદ થાય છે.

  6. Shah Raxa said,

    April 16, 2022 @ 3:39 PM

    વાહ..વાહ..લઘુકાવ્યમાં કેવી મોટી વાત…

  7. Vineschandra Chhotai 🕉 said,

    April 16, 2022 @ 3:56 PM

    અજબ ગજબ રજૂઆત પ્રીતમ પાસેથી વાત જાણવાની
    ગજબ રીતે કલા

    અભિનંદન

  8. જયેન્દ્ર ઠાકર said,

    April 16, 2022 @ 7:18 PM

    સરસ રચના છે! પ્રજ્ઞાજુનો ખુબ ખુબ આભાર.

  9. pragnajuvyas said,

    April 16, 2022 @ 8:15 PM

    આ મધુરા ગીતના સ રસ આસ્વાદમા ‘લયસ્તરોના સૌથી વફાદાર વાચક પ્રજ્ઞાજુ’ ગણવા બદલ આભાર . આને લાયક બનવા પ્રયત્ન કરશું.
    ૧૩ ઑક્ટોબર ૨0૨0ને દિને પોતાની ગાયકીથી ગુજરાતી સુગમ સંગીતને નવા મુકામે પહોંચાડનારાં ગાયિકા કૌમુદીબહેન મુનશીને ૯૩ મા વર્ષે કોરોના ભરખી ગયો.તેઓ સંગીત શીખવતી વખતે ઉપજ, બઢત તેમજ શ્વાસ કેવી રીતે લેવો એને પણ સંગીતના શિક્ષણનો ભાગ ગણતા.તેમને શ્રધાંજલી આપતી વખતે વખતે ‘જાઓ જાઓ જ્યાં રાત ગુજારી’ -ગીત ગાવામાં આવેલું.
    આ કાવ્ય કૌમુદી મુનશી ના સ્વરમાં ૫૪૬. માવજીભાઈનો વર્ડપ્રેસ બ્લોગ / ગીત ગુંજન માં છે .
    આ ગીત પણ માણાશો
    Pushtimarg Kirtan कहांते आये जु चित खंडिता को पद ખંડિતા કે પદ …
    YouTube · Pushti Kirtan

  10. darshana said,

    April 17, 2022 @ 2:59 AM

    Dear Pragnaju,
    ઘણા સમયથી કૌમુદી મુનશીએ ગાયેલું ગીત” કેવો રંગ માણેક ને કેવો રંગ મોતીડાનો,કેવો રંગ હો મારી નણદી
    તારા વીરનો “ શોધી રહી છું .ઉપરના કાવ્યની જેમ આપને મળે તો લયસ્તરો પર જરુર મૂકો,આપની આભારી થઈશ.
    ર.વ.દેસાઈ નુ આ કાવ્ય પહેલી વાર વાંચવામાં આવ્યું .

  11. Pravina Avinash said,

    April 17, 2022 @ 3:14 AM

    ખંડિતાના હ્રદયની વ્યથાને વાણી આપી. કૌમુદી મુનશીનો સ્વર અને ર. વ. દેસાઈની કલમ.

    બંને અજોડ છે.

  12. Poonam said,

    April 22, 2022 @ 6:26 PM

    બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી! Uff…
    – રમણલાલ વસંતલાલ દેસાઈ –
    Vafadar vachak nu aabhar !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment