અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જિતુભાઈ વાઢેર ડૉ.

જિતુભાઈ વાઢેર ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(ઝાડવાં આવ્યાં રણે) – ડૉ. જિતુભાઈ વાઢેર

કોઈ આવી ખટખટાવે બારણે,
લાગતું કે ઝાડવાં આવ્યાં રણે.

કો’ક સાચી, કો’ક જાલી નોટ છે,
કો’ક દી’ તો એ ચળાશે ચારણે!

કાંઈ પણ વ્યાધિ કે ઝંઝાવાત નહિ,
બાળપણ કેવું સૂતું છે પારણે!

તુંય સારું જીવ ને હું પણ જીવું,
બેઉનું બગડે છે ખોટાં કારણે.

જિંદગી એવી નકામી તો નથી,
આખરે આવ્યો હું એવા તારણે.

– ડૉ. જિતુભાઈ વાઢેર

લયસ્તરોના આંગણે કવિ અને કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ -ઉભયનું સહૃદય સ્વાગત…

સાદગીનું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. જીવન રણ જેવું ઉજ્જડ બની ગયું હોય ત્યારે બારણે દેવાયેલ ટકોરા જાણે ઝાડવાં સામાં ચાલીને રણે આવ્યાં હોવાની સુખદ અનુભૂતિ થાય છે. જિંદગીના ખાલીપાને આવી તીણી ધાર કાઢી આપે છતાં મખમલ સમા મુલાયમ આવા શેર ભાગ્યે જ જોવા મળે છે. વહેલું કે મોડું, પણ સમયના ચાળણો સાચા-ખોટાને અલગ તારવી જ દે છે. મોટાભાગે બન્ને પક્ષ ખોટાં કારણો પકડીને બેસી રહેતાં હોવાથી આપણા સંબંધોમાં જીવન બચતું નથી. સંબંધ ટકાવી રાખવાની ખરી કૂંચી તો ‘खुद जीओ, औरों को भी जीने दो’ની ફિલસૂફી અપનાવવી એ છે. બધું જ નકામું લાગતું હોવા છતાં જિંદગી કંઈને કંઈ તો આપતી જ હોય છે…

Comments (11)