મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?
વિવેક મનહર ટેલર

એક ચા મંગાવ – નયન દેસાઈ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

-નયન હ. દેસાઈ

સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!

18 Comments »

  1. ed said,

    October 15, 2010 @ 2:33 AM

    adbhut Nayanbhai…Adbhut….

  2. gopal said,

    October 15, 2010 @ 4:57 AM

    મજા પડી ગૈ, ભાઇ

  3. yogesh vaidya said,

    October 15, 2010 @ 5:37 AM

    તમારા અને ગુજરતિ ગઝલ ના જુના દિવસોનિ યાદ આવિગૈ
    અભિનન્દન્

  4. SHAILESH JANI said,

    October 15, 2010 @ 7:34 AM

    “ચાલ, નયન એક ચા મંગાવ” ,,,,,,, કેવિ મજા આ ચા મવ્ગાવવામા

  5. pragna said,

    October 15, 2010 @ 8:15 AM

    સુરતનો અસ્સલ મિજાજ બતાવતી ગઝલ
    ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
    તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ
    વાહ
    આ તો અમારો અનુભવ
    કપરાડા પાસે લૂંટાઈ નાસિક પહોંચ્યા ,પૈસા ન હતા પણ સાથમા સૂરતી લાલા,,,મંગાવી મલાઈ મારકે આદુવાળી ચા…
    એટલે જ તો ગીતામા કહ્યું છે-‘સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટ!
    અને તેનો અણસાર પામવાનો એક માત્ર માર્ગ—ચાહ્,પ્રેમ,લવ,ઇશ્ક.
    ચાલ, નયન એક ચાહ મંગાવ

  6. સુનીલ શાહ said,

    October 15, 2010 @ 8:26 AM

    ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
    તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

    વાહ…વાહ..નયનભાઈ.

  7. Bharat Trivedi said,

    October 15, 2010 @ 8:32 AM

    નયન દેસાઈની ગઝલમાં સામાજિક ચેતના સુપેરે વ્યક્ત ના થી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. મઝાની વાત એ છે કે વિષય ગેમે તે હોય પણ સબળ ગઝલકાર ક્યારેય આઘોપાછો નહીં પણ ગઝલની લગોલગ ચાલતો હોય છે! નમૂના જોવા છે?

    એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?

    ******************

    હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી

    ******************

    શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં

    *****************

    આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !

    એક સફળ ગઝલ બહર ને રદિફ -કાફિયાની પરેડ નહીં પણ બીજું ઘણું બધું લઈને આવતી હોય છે.

    -ભરત ત્રિવેદી

  8. Kirtikant Purohit said,

    October 15, 2010 @ 8:52 AM

    ઇશ્ક અને જામના દોરમાથી ગઝલ જ્યારે વાસ્તવિક ભૂમિકા પર દોડવા લાગી ત્યારે આવી સબળ રચનાઓની ભોમકા તૈયાર કરનારાઓમા એક નામ નયન દેસાઈનુ પણ લેવાય છે. તેની સાબિતિરૂપ આ સુઁદર મર્મલક્ષી ગઝલ. વાહ્…વાહ્..

  9. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 15, 2010 @ 10:58 AM

    મુંબઈમાં ઈરાની રેસ્ટોરાંમાં ‘એક કપ ચા’નો ઑર્ડર આપતા એની યાદ આવી ગઈ.
    અહીં અમેરિકામાં ક્યાં છે એવી મજાઓ? અહીં તો એવી યાદો પણ જામ થઈ ગઈ?
    જૂના જોગીનો આ બોંબ ધડાકો છે.

  10. કિરણસિંહ ચૌહાણ said,

    October 15, 2010 @ 11:59 AM

    જીવનની નકરી વાસ્તવિકતા સાહજિકતાથી કવિએ કહી દીધી. છેલ્લો શેર તો વેસ્ટમાંથી બેસ્ટ. ચડ્ડી–બનિયાનધારીઓ ગઝલના શેરમાં આવે અને છતાં શેરની ગરિમા અને એની સાહિત્યિકતા જળવાય એ મોટી વાત ગણાય.

  11. pandya yogesh said,

    October 15, 2010 @ 1:26 PM

    એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
    પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

    વાહ … નયનભાઈ … વાહ.. મજા પડી ખુબ ખુબ અભિનન્દન્

  12. ડૉ.મહેશ રાવલ said,

    October 15, 2010 @ 1:34 PM

    કવિ શ્રી નયન દેસાઈનું મિજાજી નજરાણું…..
    કેટલાક અસામાન્ય પ્રતિકોને સુંદર અને લાઘવસભર માવજતથી સહજ અને સરળરીતે ગઝલમાં વણી કવિકર્મ બ-ખૂબી ઉજાગર થયું…રદિફ તો માત્ર ને માત્ર નયનભાઈને જ સ્ફૂરે એવો ભાઈ… વાહ !
    કોઇ એક ઘરેડમાં અટવાઈને સંતુષ્ટ થઈ જવાને બદલે અભિવ્યક્તિને કંઇક નાવિન્ય અને પ્રતિકોના નવા કલેવરથી શણગારવાનું આ ગઝલ પાસેથી શીખવા જેવું લાગ્યું….
    અભિનંદન નયનભાઈ…
    જય હો…

  13. અનામી said,

    October 15, 2010 @ 2:45 PM

    ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
    તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ.

    વાહ…..

  14. DHRUTI MODI said,

    October 15, 2010 @ 3:12 PM

    ટોળાશાહીમાં જીવતી આપણી પ્રજા હૈસો,હૈસો કરીને કોઇપણ પ્રસંગની મહત્તા સમજતી નથી. બોમ્બેમાં થયેલાં આતંકવાદી હુમલાની જ વાત કરો, કેટલી અસર રહી? નયનભઇઍ સુંદર ગઝલ આપી છે.”નયન ઍક ચા મંગાવ”. જાણે બધું પતી ગયું.

  15. kantibhai kallaiwalla said,

    October 15, 2010 @ 10:18 PM

    Reality is described in its exact correct form in this creation.,with weeping heart and smiling face, as there is no other way. This what I could read between two lines(unwritten words)May be I am right or may be I am wrong, request to nayanbhai,if you can spare some time and then please reply just as YES or NO.creation is really best

  16. ઉલ્લાસ ઓઝા said,

    October 17, 2010 @ 6:29 AM

    કપરી પરીસ્થિતિમા પણ માણસે કેવી રીતે સૌમ્યતા જાળવવી તે ‘ઍક ચા મંગાવી ને’ કવિ શ્રી નયનભાઈ સુંદર રીતે સમજાવે છે.
    વાહ.. વાહ..

  17. deepak said,

    October 18, 2010 @ 12:46 AM

    શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
    બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

    ખુબજ સરસ …

  18. Pinki said,

    October 18, 2010 @ 2:57 AM

    મૂર્ચ્છિતાવસ્થામાં રહેલી સંવેદનાઓને જાગૃત કરવા માટે…
    ચાલ, એક ચા મંગાવ… not a bad idea … 🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment