હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિનોદ અધ્વર્યુ

વિનોદ અધ્વર્યુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આ ભોગાવો! – વિનોદ અધ્વર્યુ

આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!

– વિનોદ અધ્વર્યુ

સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)

સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…

(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)

Comments (12)

સાંજ – વિનોદ અધ્વર્યુ

અહો ! આજ
લાગે કેવી સુંવાળી આ સાંજ !
બપોરના ન્હોર થકી ઝરડાયું તન,
તે પરે શો રેશમ શો સ્પર્શ ?
વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ !
પાંદડે પાંદડે કેવું મલકે છે મન !
ઊના ઊના આભ પરે
દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
ત્યાં તો પેલી પોયણીને
વ્યાપી ગઈ રગેરગ !
ધરતીએ ઢીલા કર્યાં કંચુકીના બંધ,
પવનને પાથરણે આળોટતી ગંધ.
હાંફતી હવાએ કેવો હેઠો મૂક્યો શ્વાસ !
અનાયાસ જાણે એક જડી ગયો પ્રાસ
‘હા…શ !’
લાગે કેવી રૂપાળી આ સાંજ !
એક ડાળે બેસી એને જોયા કરે
કપોત ને બાજ !

– વિનોદ અધ્વર્યુ

સાંજનું એક ચિત્ર થોડા દિવસો પહેલાં આપણે લયસ્તરો પર જોયું હતું. આજે આવું જ એક મજાનું બીજું શબ્દચિત્ર જોઈએ…  બપોરના તાપથી ઘાયલ પ્રકૃતિ, વૃક્ષ, આભ, પોયણી બધે જ સાંજનો સુંવાળો સ્પર્શ એમ ફરી વળે છે જાણે (ઉ)ઝરડાયેલા તનને શાતા આપવા એ આવી ન હોય ! ઉઝરડાવું માંથી ‘ઉ’ કાઢીને કવિ એક નવા જ શબ્દની નિષ્પત્તિ કરે છે. છેલ્લી પંક્તિમાં કબૂતર અને બાજ – બંનેને એક જ ડાળી પર બેસાડીને કવિ સારું અને નઠારું – કોઈ પણ સાંજની રૂપાળી અસરથી હાશકારો અનુભવ્યા વિના રહેતા નથી એ નિર્દેશીને કાવ્ય સિદ્ધ કરે છે.

Comments (11)