જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગાલિબ

ગાલિબ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગાલિબના જન્મદિને – ઉદયન ઠક્કર

આજે મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. તેની ઉજવણીરૂપે આ તેમના શેર:

ઇશ્રતે-કત્ર: હૈ દરિયા મેં ફના હો જાના
દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના

(ઇશ્રત-આનંદ, કત્ર:- ટીપું,દરિયા- નદી)

જળબિંદુ એકલું ન રહી શકે, (કોહેઝનના ગુણને લીધે) બીજા બિંદુઓ સાથે મળતું મળતું ઝરણું રચે, જે નદીમાં જઈને મળે.જળબિંદુને નાના હોવાનું મોટું દુ:ખ હોય.જ્યારે તે હદની બહાર જઈને બેહદને મળે,સીમ વળોટીને નિ:સીમને મળે,ત્યારે તેને આનંદની પ્રાપ્તિ થાય.આમ જળબિંદુનો અજંપો જ તેનું ઓસડ બની જાય.અહીં જળબિંદુ જીવાત્માનું રૂપક છે.

તુઝસે કિસ્મત મેં મેરી સૂરતે કુફ્લે-અબ્જદ
થા લિખા બાત કે બનતે હી જુદા હો જાના

(કુફ્લ-તાળું, અબ્જદ-વર્ણમાળા)

એવાં તાળાં તમે જોયાં હશે,જે વર્ણમાળાના અક્ષરો (કે આંકડા) સીધી રેખામાં ગોઠવાતાંવેંત ખુલી જાય.ગાલિબ પ્રેયસીને કહે છે કે મારી કિસ્મત એવી જ છે: બધી વાતે મેળ પડ્યો કે તરત આપણે છૂટા પડી ગયાં! ‘થા લિખા’- ‘વર્ણમાળામાં લખેલું’ અને ‘કિસ્મતમાં લખેલું’ એમ બન્ને અર્થ ગાલિબે જાળવ્યા છે.તાળી માટે લખાયેલા શેર તો ઘણા સાંભળ્યા છે, પણ તાળા માટે લખાયેલો શેર આ પહેલો જ!

શૌક હર રંગ, રકીબે-સરોસામાં નિકલા
કૈસ તસવીર કે પર્દેમેં ભી ઉરિયાં નિકલા

(શૌક-તીવ્ર અભિલાષા, રકીબે-સરોસામાં- સરસામાનનો વિરોધી, કૈસ-મજનૂ, ઉરિયાં-નગ્ન)

મજનૂએ પ્રેમના પાગલપણામાં પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં, એટલે ચિત્રના પડદા પર મજનૂ નગ્ન દર્શાવાય એ સ્વાભાવિક છે. ‘પડદામાં રહેવું’ એટલે ઢંકાયેલા રહેવું. વક્રતા જુઓ- પડદા પર હોવા છતાં મજનૂ પડદા વિનાનો છે! આ પુરવાર કરે છે કે પ્રેમ સાધન-સામગ્રીથી પર છે. ‘હર રંગ’માં એટલે દરેક સ્થિતિમાં. ગાલિબ ઉસ્તાદ છે, ચિત્રની ઉપમા અપાઈ હોવાથી તે જાણીબૂઝીને ‘રંગ’ શબ્દ પ્રયોજે છે.

ન થા કુછ તો ખુદા થા,કુછ ન હોતા તો ખુદા હોતા
ડૂબોયા મુઝકો હોનેને, ન હોતા મૈં તો ક્યા હોતા?

ગાલિબ કહે છે, જ્યારે કશું નહોતું ત્યારે ખુદા હતા, જો કશું ન હતે તોય ખુદા હતે. મારી હયાતીએ મને ડુબાડ્યો, હું ન હતે, તો શું હતે? જવાબમાં વાચક બોલી ઊઠે,’ખુદા હતે!’ ગાલિબ વાચકને મોઢે બોલાવવા ઇચ્છે છે,કારણ કે એક મુસલમાન થઈને પોતે ન કહી શકે કે હું ખુદા હતે.’તો ક્યા હોતા?’- આનો એવોય અર્થ નીકળે કે ‘હું ન હતે તો શો ફરક પડતે?’ આવા ગહન વિચાર રજૂ કરનાર ગાલિબે પોતાને વિશે એક શેરમાં કહ્યું છે, ‘ગાલિબ, અમે તને ઋષિ સમજતે,જો તું આવો દારૂડિયો ન હતે,તો!’

-ઉદયન ઠક્કર

( સૌજન્ય – ઉદયન ઠક્કર )

Comments

किसी को दे के दिल कोई…..- ગાલિબ

किसी को दे के दिल कोई नवा-संज-ए-फ़ुग़ाँ क्यूँ हो

न हो जब दिल ही सीने में तो फिर मुँह में ज़बाँ क्यू हो

જયારે દિલ કોઈને આપી જ દીધું છે, ત્યારે કોઈ શા માટે ચિત્કાર કરે !? સીનામાં દિલ જ નથી તો મ્હોમાં [ ચિત્કાર કરવા માટે ] જબાન કેમ છે ??? – મતલબ, જો દિલ કોઈને આપી જ દીધું છે તો હવે કાગારોળ શા માટે ??

वो अपनी ख़ू न छोड़ेंगे हम अपनी वज़्अ क्यूँ छोड़ें
सुबुक-सर बन के क्या पूछें कि हम से सरगिराँ क्यूँ हो

જો એ પોતાની આદતો ન છોડે તો હું મારા તૌર-તરીકા શીદને છોડી દઉં ? એ મારી સાથે આટલા ઘમંડથી કેમ વર્તે છે તે પૂછવા જેટલા મારે શા માટે એટલા નીચા નમવું ? [ અહીં જાણે ગાલિબ જાતને જ ઉપદેશ આપે છે…જે વ્યર્થ છે તે ગાલિબ પોતે પણ જાણે છે….બાકી ગાલિબની નજર સનમની નાનામાં નાની હરકત પર તકાયેલી જ છે ]

किया ग़म-ख़्वार ने रुस्वा लगे आग इस मोहब्बत को
न लावे ताब जो ग़म की वो मेरा राज़-दाँ क्यूँ हो

સનમે મને જલીલ કર્યો-આગ લાગે એવી મહોબ્બ્તને !! મારા દુઃખનું શમન કરવાની તાકાત જે ન લાવી શકે, તે મારી હમરાઝ કઈ રીતે હોઈ જ શકે ???

 

वफ़ा कैसी कहाँ का इश्क़ जब सर फोड़ना ठहरा
तो फिर ऐ संग-दिल तेरा ही संग-ए-आस्ताँ क्यूँ हो

કેવી વફા અને ક્યાંનો પ્રેમ !!! – જો મારે પથ્થરે માથું કૂટવાનું જ છે, તો હે પથ્થરદિલ સનમ, તો તે પથ્થર તારી જ ચોખટનો હોવો જોઈએ – એવું શું માટે ??? – અર્થાત – પ્રેમની અને વફાની અને એવી બધી વાતો છોડો….અંતિમ સત્ય એ જ છે કે મારે પથ્થરે માથું ફૂટવું એ જ મારુ ભાગ્ય છે. તો હું કોઈપણ પથ્થરે માથું ફૂટી લઈશ….એ પથ્થર તારી ચોખટનો જ પથ્થર હોય, અને હું તારી ચોખટે જ માથું કૂટીને જાન દઈ દઉં એવું કઈ અનિવાર્ય તો નથી જ ને ?? અહીં પણ ગાલિબની લાક્ષણિક વક્રોક્તિ છે..ગાલિબ કહેવા એમ માંગે છે કે ચોક્કસ જ હું તારી ચોખટ પર જ માથું ફોડવાનો છું…..

क़फ़स में मुझ से रूदाद-ए-चमन कहते न डर हमदम
गिरी है जिस पे कल बिजली वो मेरा आशियाँ क्यूँ हो

પાંજરામાં કેદ એવા મારી આગળ ઉપવનની વાતો કરતાં ડર નહીં મારા મિત્ર……મને ખબર છે કે ગઈકાલે વીજળી પડી છે, પણ એવું જરૂરી નથી કે તે મારા માળા/ઘર પર જ પડી હોય…. – આ અત્યંત મજબૂત શેર છે – અહીં એવું રૂપક લેવાયું છે કે એક પંખી પિંજરે કેદ છે, એનું મિત્ર બીજું પંખી એને મળવા આવે છે. કેદ પંખીને ખબર છે કે ગઈકાલે બગીચામાં વીજળી પડી છે અને મારુ ઘર ઉજડી ગયું છે તેવી શક્યતા પૂરેપૂરી છે. આગંતુક પંખીને હકીકત ખબર છે કે કેદ પંખીનો માળો બરબાદ થઇ ગયો છે, પણ આ વાત કહેતા એની જીભ ઉપાડતી નથી. કેદ પંખી સમજી જાય છે અને આ શેર કહે છે !!! આ શેરને ઘણી રીતે મૂલવી શકાય – મારું અંગત અર્થઘટન એવું છે કે અહીં ગાલિબ એ વાત સ્પષ્ટ કરે છે કે આપણે ઘણી વાતો અંદરથી સુપેરે જાણતા જ હોઈએ છીએ પણ આપણે તે વાસ્તવિકતા સ્વીકારી નથી શકતા….પલાયનવાદ અપનાવીએ છીએ…શાહમૃગવૃત્તિ અપનાવીએ છીએ…. આ સિવાયના પણ અર્થઘટનો છે….

ये कह सकते हो हम दिल में नहीं हैं पर ये बतलाओ
कि जब दिल में तुम्हीं तुम हो तो आँखों से निहाँ क्यूँ हो

તમે તો એમ કહી શકો છો કે હું તમારા દિલમાં નથી [ એટલે મારુ તમારી આંખોની સામે હોવું-ન હોવું એક સમાન છે,કબૂલ.] પણ મને એક વાત સમજાવો – મારી તો આખી વાત જ ઊંધી છે-મારા તો દિલમાં તમે અને માત્ર તમે જ છો, તો પછી તમે મારી નાંખોથી હરહમેંશ ઓઝલ જ કેમ હો છો ??? – એક હસીન ફરિયાદ છે અહીં….

ग़लत है जज़्ब-ए-दिल का शिकवा देखो जुर्म किस का है
न खींचो गर तुम अपने को कशाकश दरमियाँ क्यूँ हो

મારા દિલની દીવાનગી સામેની તમારી ફરિયાદ ખોટ્ટી છે, કોનો કસૂર છે તે તો જુઓ !! તમે તમારી જાતને અળગી ન કરો તો આપણી વચ્ચે કોઈ ખેંચતાણ બાકી રહેતી જ નથી……મતલબ, તમે પણ એટલા જ કસૂરવાર છો !

ये फ़ित्ना आदमी की ख़ाना-वीरानी को क्या कम है
हुए तुम दोस्त जिस के दुश्मन उस का आसमाँ क्यूँ हो

આ ઉપદ્રવ/ઉત્પાત આદમીના ઘરની બરબાદી માટે શું ઓછો છે ?? તમે જેના દોસ્ત હો એની બરબાદી માટે કોઈ આસમાની આફતની જરૂર રહેતી જ નથી…..

यही है आज़माना तो सताना किस को कहते हैं
अदू के हो लिए जब तुम तो मेरा इम्तिहाँ क्यूँ हो

જો આ ઈમ્તિહાન છે, તો સતાવવું/પીડવું શું છે [ એ વળી કંઈ અલગ છે ??? ] ???? જયારે તમે અન્યના થઇ જ ચૂક્યા છો, તો મારો ઈમ્તિહાન શીદને લો છો ???? – આ પણ જોરદાર શેર છે….

कहा तुम ने कि क्यूँ हो ग़ैर के मिलने में रुस्वाई
बजा कहते हो सच कहते हो फिर कहियो कि हाँ क्यूँ हो

મારા હરીફ એવા તમારા અન્ય આશિકને મળવામાં વળી શું વાંધો ? – તમે એવું કહો છો. વ્યાજબી કહો છો, સાચું કહો છો, ફરીથી કહો કે – હા ભાઈ, એમાં શું વાંધો ?? – અહીં ગાલિબ કારમો કટાક્ષ કરે છે…..

निकाला चाहता है काम क्या ता’नों से तू ‘ग़ालिब’
तिरे बे-मेहर कहने से वो तुझ पर मेहरबाँ क्यूँ हो

તું ટોણાંઓથી કામ થઈ જશે એવી વ્યર્થ આશા રાખી બેઠો છે ગાલિબ……તું એને બેરહમ/લાગણીહીન કહે છે અને વળી એની જ પાસેથી લાગણીની/રહમની ઉમ્મીદ રાખે છે !!! તારા આવા ટોણાંઓની અથવા તો તારાં તારીફના ફૂલોની – બે માંથી કશાની પણ એના પર કોઈ અસર થવાની નથી.

– ગાલિબ

આ ગઝલ બહુ જ ઉમદા રીતે એક કલાકાર – શૈલી કપૂરે ગાઈ છે👇🏻👇🏻

 

Comments (2)

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त – મિર્ઝા ગાલિબ

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ कि फिर आ भी न सकूँ

ગઝલસમ્રાટ ગાલિબનો આજે જન્મદિન છે. એમની પ્રતિભાની વાત કરવી એ સૂર્યને દીવો ધરવા સમાન છે. આ ગઝલનો મક્તો જગમશહૂર છે. આ એક જ શેર કહેતે તો પણ ગાલિબ અમર થઈ ગયા હોત… આખી ગઝલ એક પ્રકારની વક્રોક્તિમાં કહેવાઈ છે, જે ઉસ્તાદની ખાસિયત છે.

ज़ोफ़ में ताना-ए-अग़्यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ

નબળા સમયમાં પરજનના ટોણાંની ફરિયાદ કેમ વળી ? વાત એ કંઈ માથું તો નથી કે જે ઊંચકી પણ ન શકું !! અર્થાત – મારા ખરાબ સમયમાં પરાયાના ટોણાં તો હું માથે ઝીલી લઈશ, એ ટોણાં કંઈ વિદ્રોહમાં ઉઠનારું મસ્તક તો નથી કે જે હું કદી ઉઠાવી જ ન શકું !! – કલાકારી જુઓ શબ્દોની !!! વાહ…

ज़हर मिलता ही नहीं मुझ को सितमगर वर्ना
क्या क़सम है तिरे मिलने की कि खा भी न सकूँ

ક્યાંક ઝેર મળી જાય તો તે ખુશીખુશી ખાઈ લઉં ઓ સિતમગર, પણ ઝેર કશે મળતું જ નથી. ઝેર એ કંઈ તારા મળવાની કસમ થોડી જ છે કે જે ખાઈ પણ ન શકું ? – અર્થાત – તું તો મળવાની છે જ નહીં…..

इस क़दर ज़ब्त कहाँ है कभी आ भी न सकूँ
सितम इतना तो न कीजे कि उठा भी न सकूँ

એવો જબરદસ્ત જાત ઉપર કાબૂ તો છે જ નહીં કે કદી આવું જ નહીં. એટલો સિતમ ન કરો કે ઉઠાવવો શક્ય જ ન રહે – નહીંતર પછી ખરેખર કદી નહીં આવું…..

लग गई आग अगर घर को तो अंदेशा क्या
शो’ला-ए-दिल तो नहीं है कि बुझा भी न सकूँ

ઘર સળગી ગયું તો ભય કેવો ? – એ તો બુઝાવી દઈશ. હ્ર્દયની આગ તો નથી કે જે બૂઝાવી જ ન શકું !!

तुम न आओगे तो मरने की हैं सौ तदबीरें
मौत कुछ तुम तो नहीं हो कि बुला भी न सकूँ

તું નહીં આવે તો મારી પાસે મરવાની સેંકડો તરકીબો છે, મોતને બોલાવવું સહેલું છે – મોત કંઈ તુજસમાન થોડું જ છે ? અદભૂત વક્રોક્તિ !!! વાહ વાહ….

हँस के बुलवाइए मिट जाएगा सब दिल का गिला
क्या तसव्वुर है तुम्हारा कि मिटा भी न सकूँ

મુસ્કુરાહટ સાથે બોલાવશો તો દિલની બધી શિકાયત મટી જશે. હૃદયની ફરિયાદો એ કંઈ તારા ખ્યાલો નથી કે જે મિટાવી જ ન શકાય…..

– મિર્ઝા ગાલિબ

સદીઓમાં એક ગાલિબ પાકે !!!

Comments (4)

तवक्को – मिर्ज़ा ग़ालिब

जब तवक्को ही उठ गयी ग़ालिब
क्यों किसी का गिला करे कोई

– मिर्ज़ा ग़ालिब

[ तवक्को = અપેક્ષા ]

કોઈ શેર આખી ગઝલને ભારે હોય છે, આ શેર આખા ગ્રંથને ભારે છે. આ નિરાશાનો ભાવ વ્યક્ત કરતો શેર નથી, આ એક નકરી શૂન્યતાને વ્યક્ત કરે છે. અહીં આગળ-પાછળ-ઉપર-નીચે કશું જ બચ્યું નથી. પ્રકાશ તો નથી જ નથી….પણ અંધારું સુદ્ધા નથી.

Comments (3)

बझम-ए-उर्दू : 06 : मिर्ज़ा ग़ालिब

सब कहाँ, कुछ लाल:ओ-गुल मे नुमायाँ हों गयीं
खाक में क्या सूरतें होंगी, कि पिन्हाँ हो गयीं।

માત્ર મુઠ્ઠીભર સુંદરતા પુષ્પો-ગુલાબના સ્વરૂપે માટીની બહાર ડોકિયું કરીને વસુંધરામાં સમાવિષ્ટ અદભૂત સુંદરતાની એક માત્ર આછેરી ઝાંખી આપે છે. આ ઝાંખી જ જો આટલી અદભૂત છે તો માટીમાં કેટકેટલી સુંદરતા ધરબાયેલી પડી હશે !!

याद थी, हम को भी, रंगारंग बज़्म-आराइयाँ,
लेकिन अब नक्शो-निगारे-ताके-निसियाँ हो गयीं।

કોઈ એ પણ સમય હતો કે જયારે અમને પણ રંગીન મેહફિલો અને સુંદરીઓના સહવાસની આદત હતી, પરંતુ હવે એ બધી શોભા કરોળિયાના જાળાનું સ્વરૂપ લઇ ચૂકી છે [ આ ભાવાર્થ છે,શબ્દાર્થ નથી]

थीं बनातुलनांश-ए-गरदूँ, दिन को परदे में निहाँ
शब को उनके जी में क्या, आयी , कि उरियाँ हों गयीं।

સાત સહેલીઓ [ સપ્તર્ષિ ] ની લુચ્ચાઈ તો જુઓ ! આખો દિવસ પરદા પાછળ છૂપી રહે છે અને રાત્રે નગ્ન થઈ જાય છે ! [ અહી ઈશારો જાહેરમાં-દિવસના અજવાળે- અલગ અને રાત્રિના અંધકારમાં અલગ જીવન જીવનાર વ્યક્તિઓ તરફ છે]

कैद मे याकूब ने ली, गो, न यूसुफ़ की खबर,
लेकिन आँखे रौजन-ए-दीवार-ए-ज़िन्दाँ हो गयीं।

યાકૂબ પોતાના પુત્ર યુસુફને એ રીતે ચાહતા જે રીતે દશરથ રામને. પુત્રવિરહમાં તેઓ અંધ થઇ ગયા હતા. આ સંદર્ભમાં આ શેર છે – અંતર અને દુર્બળતાવશ યાકૂબ પોતાના પ્રાણપ્યારા પુત્રને જોવા કેદ્ખાનાની કાળકોઠરી સુધી ન પહોચી શક્યા, પરંતુ રડતા રડતા અંધ બનેલા નેત્રો એ કાળકોઠરીના ઝરોખા બનીને અપ્રત્યક્ષરૂપે યુસુફને નિહાળતા રહ્યાં .

सब रक़ीबों से हों नाखुश, पर ज़नान-ए-मिस्र से,
है ज़ुलैख़ा खुश, कि मह्व-ए-माह-ए-कनआँ हो गयीं।

મિસ્રની એક વસાહતનું નામ તે કનઆ. ત્યાં યુસુફ રહેતો . તે એટલો સુંદર હતો કે સમગ્ર મિસ્રની યુવતીઓ એના પર મુગ્ધ હતી. મિસ્રની રાજકુમારી ઝુલેખા પણ ! આ સંદર્ભમાં ગાલિબ ફરમાવે છે – સામાન્ય રીતે સ્ત્રીઓ સોતનથી પરેશાન ,પરંતુ કનઆ ના ચંદ્ર [યુસુફ]ની ચકોરીઓથી ઝુલેખા જરાય નારાજ નથી,બલકે પ્રસન્ન છે. [ અહીં શુદ્ધ પ્રેમ અને શુદ્ધ સૌન્દર્યની અદભૂતતાની વાત કહેવાઈ છે ]

जू-ए-खूं आँखों से बहने दो, कि है शामे-फ़िराक,
मैं यह समज़ूंगा, कि शमएँ दो फ़रोज़ाँ हो गयीं।

વિયોગની સંધ્યા સુદ્ધાં એટલી કાળીડિબાંગ છે તો રાત કેવી હશે ! આથી આ આંખોમાંથી લોહીરૂપી કિરણોને વછૂટવા દો…..હું એમ સમજીશ કે બે મીણબત્તીઓ પ્રગટી ઉઠી છે….. [ શું અંદાઝે બયાં છે ! ]

इन परिजादों से लेंगे खुल्द में हम इन्तक़ाम,
कुदरत-ए-हक- से, यही हूरें अगर वाँ हों गयीं।

અહીં વક્રોક્તિ જુઓ – આ લોકની સુંદરીઓ જો પોતાના કર્મબળે સ્વર્ગની પરીઓ બની તો અમે ત્યાં-સ્વર્ગમાં- એ લોકો સાથે બધી કસર પૂરી કરીશું….ખૂબ બદલો લઈશું [ અમારું સ્વર્ગમાં જવું તો નક્કી જ છે…આ સાલ્લીઓ જે અમને અહીં ભાવ નથી આપતી તેઓની ત્યાં વાત છે !!!!! ]

नींद उसकी है, दिमाग उसका है, रातें उसकी है,
तेरी ज़ुल्फ़ें, जिसकी बाज़ू पर परीशाँ हो गयीं।

સૌન્દર્યરસ નો શેર છે આ…. परीशाँ = વિખેરાઈ જવી

मैं चमनमें क्या गया,गोया दबिस्ताँ खुल गया,
बुलबुलें सुनकर मेरे नाले, ग़ज़ल-ख्वाँ हो गयीं।

મેં બગીચામાં પગ શું મૂક્યો કે જાણે ત્યાં પાઠશાળા ખૂલી ગઈ !!! મારા આર્તનાદ સાંભળીને બધી બુલબુલો ગઝલગાયિકા બની ગઈ !!! [ અતિશયોક્તિ અલંકાર ]

वह निगाहें क्यों हुई जाती है,या रब ! दिल के पार,
जो मेरी कोताहि-ए-किस्मत से मिज़गाँ हो गयीं।

આ મારું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય !! જે નજરો મારી સામે લજ્જાથી નીચી થઇ ગઈ છે એમ હું માનું છું તેનો પ્રભાવ પણ સ્નેહભર્યાં તારામૈત્રકથી લગીરે કમ નથી !!!

बस कि रोका मैंने और सीने में उभरी पै-ब-पै !
मेरी आहें बखिय:-ए-चाके-गरेबाँ हो गयीं।

મારાં આર્તનાદોને મેં જેટલા છાતીમાં ધરબી દેવાની કોશિશ કરી તેટલા જ તે છાતી ઉપર વારંવાર ઉભરી આવ્યા ! જાણે કે મારા વીંધાઈ વીંધીને ચાળણી થઇ ગયેલી છાતી માટે તે સિલાઈના ટાંકા સમાન બની ગઈ !!

वाँ गया भी मैं, तो उनकी गालियों का क्या जवाब,
याद थी जितनी दुआऐं, सर्फ़-ए-दरबाँ हो गयीं।

પ્રિયાને મળવા ગયો દિલમાં દુઆઓ લઈને . ત્યાં દરવાનને બક્ષીસમાં જ એ બધી દુઆ આપી દેવી પડી….પછી અંદર પ્રવેશ મળ્યો . અંદર મારી બધી જ દુઆઓ ખલાસ થઇ ગઈ હતી અને મને ત્યાં જે ગાળ ઉપર ગાળ પડી છે કે વાત ન પૂછો ! [ વ્યંગાત્મક શૈલીના આ શેરમાં એક જુદા જ ગાલિબ દ્રષ્ટિગોચર થાય છે.]

जाँ-फिज़ा है बाद:, जिसके हाथ में जाम आ गया,
सब लकीरें हाथ की, गोया रगे-जाँ हो गयीं।

શરાબ એટલી અદભૂત ચીજ છે કે શરાબનો પ્યાલો જે હાથમાં પકડવામાં આવે છે તે હાથની લોહીની નસો હૃદયની મુખ્ય ધમની સમાન થઇ જાય છે. [ અહીં પણ રૂપકની બુલંદી જુઓ ! ]

हम मुव्वहिद हैं, हमारा केश है, तर्क-ए-रसूम
मिल्लतें जब मिट गई, अजज़ा-ए-ईमाँ हों गयीं।

હું એકેશ્વરવાદી છું. મારો ધર્મ છે વિવિધ પંથો-સમ્પ્રદાયોને સમાપ્ત કરવા. જેવા તે સમાપ્ત થશે તેવા જ તે સૌ સાચા ધર્મના અંશ બની જશે. [ એક મત અનુસાર આ શેર આ ગઝલનો નથી. ]

रंज से ख़ूगर हुआ इन्साँ तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ी, इतनी कि आसाँ हों गयीं।

શિરમોર – અદભૂત- જબરદસ્ત શેર !!! આ વાત આપણે સૌએ અનુભવી જ હશે – વ્યક્તિ દુઃખોથી અભ્યસ્ત થઇ જાય એટલા દુઃખ જયારે એના પર પડે ત્યારે દુઃખ એની ચોટ-ધાર-અસરકારકતા ગુમાવી બેસે છે. મારા પર એટલી બધી વિપદાઓ પડી કે હવે એ સૌ આસન થઇ ગઈ છે.

આ એક Psychological fact છે. આ વાત અન્ય સંદર્ભોમાં પણ સાચી હોય છે. અમે જયારે MBBS માં હતા ત્યારે exam ના બે-ચાર દિ પહેલા અચૂક આ શેર યાદ કરતા !!!!

यों ही गर रोता रहा ‘ग़ालिब’, तो ऐ अह्ल-ए-जहाँ !
देखना इन बस्तियों को तुम, कि वीराँ हों गयीं।

જો ગાલિબ આ જ રીતે રડતો રહ્યો અને આંસુઓનો ધોધ વહાવતો રહ્યો તો જોતા રહેજો…..આ ઘોડાપૂર બધું જ વેરાન કરી દેશે…..

– मिर्ज़ा ग़ालिब

આ ગઝલનો પ્રત્યેક શેર મોટાભાગના ગુજરાતી વાચકોને clean bowled કરવા માટે પૂરતો છે ! આ ગઝલ પસંદ કરવાનું કારણ એ કે આમાં ગાલિબની સર્જકતાના અનેક પાસાઓ સુપેરે ઉજાગર થાય છે. સંપૂર્ણ ગાલિબની આછેરી ઝાંખી મળી રહે છે.

Comments (5)

बझम-ए-उर्दू : 05 : मिर्ज़ा ग़ालिब

मेहरबां होके बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ के फिर आ भी न सकूँ।

મહેરબાન થઈને મને કોઇપણ વખતે બોલાવો…. હું કંઈ વીતી ગયેલો સમય નથી કે પાછો આવી ન શકું.

ज़ोफ़ में तान:-ए-अग़यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ ?

દારુણ દુર્દશામાં દુશ્મનના વ્યંગબાણોની શું ફરિયાદ કરવી !! હું કોઈક વાત ઉઠાવીશ અને દુશ્મનોના વ્યંગબાણોનો શિકાર બની જઈશ એ ડરે વાત જ ન ઉઠાવવી એ કેટલુંક યોગ્ય છે ? વાત એ કંઈ માથું તો નથી જ કે જે હું ઉઠાવી ન શકું !!

ज़हर मिलता ही नहीं मुझको सितमगर वर्न:
क्या क़सम है तेरे मिलने की कि खा भी न सकूँ।

ઝેર મળતું નથી મને ઓ નિર્દય ! …..નહિતર એ કઈ તારા મળવાના સોગંદ છે કે જે ખાઈ પણ ન શકું !!

– मिर्ज़ा ग़ालिब

મારે ભાવકોને બે ગાલિબનો પરિચય કરાવવો છે – ગાલિબ દુર્બોધ શાયર તરીકે પ્રખ્યાત છે…..ભાગ્યે જ એની કોઈ ગઝલ આખી સમજાય . ઉપરોક્ત ગઝલ પ્રમાણમાં ઘણી જ સરળ ગઝલ છે છતાં તેમાં રહેલી ચમત્કૃતિ – અંદાઝે બયાં ની બળકટતા જુઓ !! પહેલો શેર એ શેર છે જેણે મને ગાલિબના પ્રેમમાં પાડી દીધો હતો. ગાલિબની ખૂબી હતી તેની વક્રવાણી અને એક જ તીર થી અનેક નિશાન સાધવાની નિપુણતા. ગાલિબની કઠિનતાનું કારણ એ છે કે તેઓ ઘણીવાર સંસ્કૃત કરતાં પણ જડબાતોડ જોડણીઓ વાપરે છે અને તેઓના બયાનમાં અરબી અને ફારસીની પણ છાંટ હોય છે. તેઓ અરબી અને મુસ્લિમ દંતકથાઓમાંથી રૂપક વાપરે છે જેનાથી આપણે સ્વાભાવિક રીતે સાવ અનભિજ્ઞ જ હોઈએ. વળી તેમાં તેઓની પ્રખર બુદ્ધિપ્રતિભા ઉમેરાય ! દર્શનનું અગાધ ઊંડાણ ઉમેરાય ! મારા નમ્ર મતે ગાલિબનો IQ તમામ શાયરોમાં ઉચ્ચતમ હશે.

બીજી ગઝલ જે હું પ્રસ્તુત કરીશ તે તેઓના લાક્ષણિક અંદાઝની અત્યંત કઠિન ગઝલ હશે અને આપણે એની સુંદરતા અને ગહેરાઈ માણીશું.

Comments (3)

ગાલિબ – અનુ.- હરીન્દ્ર દવે

જ્યાં સુધી કોઈ જખમનું મુખ ન પ્રગટાવી શકે,
છે વિકટ કે ત્યાં સુધી તુજ વાતનો રસ્તો ખૂલે.

આ જગત મજનુંના દીવાનાપણાની ધૂળ છે,
ક્યાં સુધી લયલાની લટના ખ્યાલમાં કોઈ રહે!

હો ઉદાસી, તો કૃપાનું પાત્ર છલકાતું નથી,
હા, કવચિત્ થઇ દર્દ, કોઈ દિલ મહીં વસ્તી કરે.

હું રહું છું એટલે સાથી, ન નિંદા કર હવે
છેવટે ઉલ્ઝન આ દિલની ક્યાંક જઈને તો ખૂલે.

દિલના જખમોથી ન ખૂલ્યો માર્ગ આદરનો કદી,
શું મળે, બદનામ મુજ ગરેબાંને કરે !

દિલના ટુકડાથી છે કંટકની નસો, ફૂલોની ડાળ,
ક્યાં સુધી, કહો બાગબાની કોઈ જંગલની કરે !

દ્રષ્ટિ નિષ્ફળ દ્રશ્યને ભડકાવનારી ચીજ છે ,
એ નથી તું કે કોઈ તારો તમાશો પણ કરે.

ઈંટ-પથ્થર લાલ મોતીની ઊઘડતી છીપ છે,
ખોટ ક્યાં, દીવાનગીથી ‘ગર કોઈ સોદો કરે !

ઉમ્ર ધીરજની કસોટીના વચનથી મુક્ત ક્યાં ?
ક્યાં હજી ફુરસદ કે તારી ઝંખના કોઈ કરે !

ખૂલવા ઝંખે એ પાગલપણથી પ્રગટે છે કુસુમ,
દર્દ આ એવું નથી, કે કોઈ પેદા ના કરે.

કામ આ દીવાનગીનું છે કે મસ્તક પીટવું
હાથ તૂટી જાય જો, કોઈ પછી તો શું કરે ?

કાવ્ય દીપકની શિખાનું રૂપ તો બહુ દૂર છે,
સૌ પ્રથમ તો, જે દ્રવી ઊઠે હૃદય, પેદા કરે !

 

जब तक दहान-ए-जख्म न पैदा करे कोई,
मुश्किल कि तुजसे राह-ए-सुखन वा करे कोई .-
આ ગઝલનો આ અંશત: અનુવાદ છે. ગાલિબના દીવાનમાં આ ગઝલ આશરે ૨૦૦ થી ૨૧૫ ના ક્રમની વચ્ચે આવે છે. ગાલિબનું નામ પડતાં જ અઘરી ગઝલના વિચારે ગાત્રો થીજી કેમ જાય છે તેનું આ ગઝલ એક ઉત્તમ ઉદાહરણ છે – આ તેની પ્રમાણમાં સરળ ગઝલ છે,વળી સિદ્ધહસ્ત કવિએ એનો પ્રમાણમાં સરળ અનુવાદ કર્યો છે,છતાં દરેક શેર તેમની સાથે કુસ્તી લડવી પડે તેવા છે…..!

એક ઉદાહરણ તરીકે પ્રથમ શેરનું ઊંડાણ જુઓ- જ્યાં સુધી કોઈ જખમનું મુખ પેદા નથી કરતું,ત્યાં સુધી તેને માટે તારી સાથે વાર્તાલાપ [ communication ] નો માર્ગ પ્રસ્થાપિત કરવો અત્યંત અઘરો છે…..અહીં दहान-ए-जख्म – ને ‘એક ન રૂઝાતા ઘા-નાસૂર ‘ ના અર્થમાં લેવાયું છે. શાયર કહે છે- પ્રિયે ! જ્યાં સુધી વ્યક્તિને તારી અતિતીવ્ર તમન્ના ન હોય,ત્યાં સુધી તારી સાથે વાર્તાલાપ અશક્ય છે. અહીં શાયરની કમાલ છે આ શબ્દોના ખૂબીભાર્યા ઉપયોગ માં – ખુલ્લા જખમના હોઠ [ કે જે જખમની આખી વાર્તાના પ્રતિક સમાન હોય છે- તબીબી વિજ્ઞાન પ્રમાણે પણ આ વાત સાચી છે- wound ની edges / margin ઉપરથી મોટાભાગનું નિદાન થઇ જતું હોય છે ] અને વાર્તાલાપ કરનાર હોઠ – આ બે વચ્ચેનું એક સુંદર parallelism ઈંગિત કરાયું છે.

.

Comments (14)

‘ગાલિબ’ના ચૂંટેલા શેર

પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક
આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ?

બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’,
તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ !

તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના,
કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા !

‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો,
વહ સુનકે બુલા લેં, યહ ઈજારા નહીં કરતે !

બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ’
કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.

મુજ તક કબ ઉનકી બઝમમેં આતા થા દૌરએજામ;
સાકીને કુછ મિલા ન દિયા હો શરાબ મેં !

યે મસઈલે તસવ્વુફ, યે તેરા બયાન ‘ગાલિબ’;
તુઝે હમ વલી સમઝતે, જો ન બદાખાર હોતા !

કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે-નીમકશ કો,
યહ ખલિશ કહાંસે હોતી, જો જિગરકે પાર હોતા !

મિલના તેરા અગર નહીં આસાં, તો સહલ હૈ.
દુશ્વાર તો યહી હૈ, કિ દુશ્વાર ભી નહીં.

લાજમ થા, કી દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર;
તનહા ગયે ક્યોં; અબ રહો તનહા કોઈ દિન ઔર.

ન તીર કમાંમેં હૈ, ન સૈયાદ કર્મીમેં;
ગોશેમેં ક્ફસકે મુઝે આરામ બહોત હૈ.

મૈને મજનૂપે લડકપનમેં અસદ;
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા.

ચલતા હું થોડી દેર હરેક તેજરૌકે સાથ;
પહેચાનતા નહી અભી રાહબરકો મૈ.

Comments (3)