મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!
-નયન હ. દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુનીલ ગંગોપાધ્યાય

સુનીલ ગંગોપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અંગત અંગત : ૦૧ : સ્વપ્નાના ભાગીદારોનું ઋણ

ચાની દુકાનમાં

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

બીજું કાંઈ કહું એ પહેલા મારે કહેવું જોઈએ કે ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે.

આમ તો આ કાવ્ય ભારતમાં હતો ત્યારે પણ વાંચતો. પણ આજથી તેર વર્ષ પહેલા માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા ત્યારે આ કવિતા તો ખરો અર્થ સમજાયો. જીંદગીના રસ્તા પર અવળા વળાંકો આવ્યા ત્યારે સમજાયું કે  દોસ્તો અને દોસ્તી એટલે શું. દેશ છૂટી જાય એમાં તો દુ:ખ છે જ પણ મને ખરેખરું દુ:ખ  તો દોસ્તો છૂટી જવાનું છે. દોસ્તી એટલે સારા-ખરાબ પ્રસંગે એકબીજાની સાથે ઊભા રહેવાનો અતૂટ વાયદો. પણ હજારો માઈલ દૂરથી આ વાયદો પાળવો કોઈના માટે શક્ય રહેતો નથી. આડા વખતે પોતાના દોસ્તોના ખભે હાથ ન મૂકી શકાય એનો ભાર દીલ પર લઈને ફરવું બહુ અઘરું કામ છે. આ કવિતામાં આવે છે એવી ‘ચાની દુકાન’માં (એટલે કે કેંટીનમાં કે પાળી પર બેસીને) બહુ સપના સેવ્યા હતા. આજે તો હવે એ સ્વપ્નાના ભાગીદારોનું ઋણ લઈને ફરું છું. મારા અંગત લોકો કહે છે કે, હું મારા દોસ્તોની હાજરીમાં જેવું મોકળા મને હસુ છું એવું હવે બીજે ક્યારે ય નથી હસતો – એનાથી વધારે તો શું કહું ?

આડવાતમાં, દોસ્તો અને દોસ્તીને ગુજરાતી કવિતાએ (અને ખાસ તો ગઝલે) ખૂબ અન્યાય કર્યો છે. હેમેન શાહના શેર, ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર અને સૈફસાહેબના શેર જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછાં પાનાં જોઈ શક્યો – બહુ અંગત-અંગત નામ હતાં – જેવા અનેક શેર ગુજરાતી કવિતામાં છે. પણ દોસ્તી વિષે હકારાત્મક લખાણ ખૂબ ઓછું છે એ વાત દીલને ખૂબ નડે છે.

Comments (10)

મુક્તિ – સુનિલ ગંગોપાધ્યાય

એક માણસ મુક્તિફળ લેવા ગયો હતો
એણે કહેલું, હું પાછો આવીશ
                                રાહ જોજે.

ખબર નથી એ ક્યાં ગયો છે
ક્યા એકાકી હિમ અરણ્યમાં 
                                કે કોઈક નીલિમા-ભૂખ્યા પહાડને શિખરે
ખબર નથી એની સામે કેવી આકરી મુશ્કેલીઓ ખડી છે
ખબર નથી એ કેવા અસહનીય સાથે
                   સંગ્રામ ખેલે છે.
એણે મુક્તિફળ લાવવાનું કહેલું
                    એણે રાહ જોવાનું કહેલું

હું બાર વર્ષ એની રાહ જોઈશ
એ પછી પણ જો એ પાછો નહિ આવે તો
                    મારે જવું પડશે.

હું પણ પાછો નહિ આવું તો જશે મારાં સંતાનો.

– સુનિલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

કવિ એવા મુક્તિફળની વાત કરે છે જે લઈને કોઈ પાછું આવતું (ને કદાચ આવવાનું પણ) નથી. વચનની કિંમત છે અને ધ્યેયની ઈજ્જત છે. આ ધ્યેયને છોડી દેવાનું તો વિચારી શકાય એમ પણ નથી. એક પછી એક પેઢી હોમાતી જાય તો પણ આ શોધ ચાલુ જ રહેવાની છે.

આ આખી વાત વાંચીને હસવું આવે – ભલા આવા મુક્તિફળ પાછળ સમય બગાડવાની શું જરૂર છે ? જેના હોવા કે ન હોવા વિષે પણ ખબર નથી એની પાછળ જીંદગી બગાડવાની શી જરૂર છે ? જે લઈને કોઈ કદી પાછું આવ્યું નથી એની પાછળ એક પછી એક પેઢીઓએ ઢસડાવાની શું જરૂર ? …..

પણ હકીકત તો એ છે કે આખી દુનિયા સદીઓથી આ જ કામ કરી રહી છે ! કોઈએ ખરી મુક્તિ જોઈ નથી પણ એને પામવાની ઈચ્છા જગતની શરૂઆતથી આજ લગી ચાલ્યા જ કરી છે. આ ઘાણીમાંના બળદ જેવી વૃત્તિ છે કે પછી એક ચિંતન-વંતી, સ્વપ્ન-ગર્વિત, બાહોશ પ્રજાનું લક્ષણ છે ?

એ તો તમે જાણો !

Comments (7)

કોઈ વચન પાળતું નથી – સુનીલ ગંગોપાધ્યાય

કોઈ વચન પાળતું નથી. તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં
કોઈ વચન પાળતું નથી.
નાનપણમાં એક વૈષ્ણવ બ્રાહ્મણીએ એનું એક સ્વાગતગીત
એકાએક થંભાવીને કહ્યું હતું,
સુદ બારસને દિવસે બાકીનો અંતરો સંભળાવી જઈશ.
ત્યાર બાદ કેટલીયે ચન્દ્રહીન અમાસ ચાલી ગઈ
પણ એ વૈષ્ણવ બ્રાહ્મણી પાછી ન આવી.
પચીસ વરસથી રાહ જોઉં છું.

મામાના ઘરના નાવિક નાદેરઅલીએ કહ્યું હતું,
દાદાઠાકુર, મોટો થા,
તને હું ત્રણ પ્રહરનું જળાશય જોવા લઈ જઈશ.
ત્યાં કમળના માથા પર સાપ અને ભમરો રમે છે.
નાદેરઅલી, હું હવે કેટલો મોટો થઈશ ?
મારું માથું આ ઘરનું છાપરું ફાડી આકાશને
સ્પર્શ કરશે પછી શું તું મને
ત્રણ પ્રહરનું જળાશય બતાવીશ ?

એકાદ મોંઘી ચોકલેટ કદી ખરીદી શક્યો નથી.
લોલીપોપ દેખાડી દેખાડીને ચૂસતાં હતાં
આર્મીના છોકરાઓ.
ભિખારીની જેમ ચૌધરીના ગેટ પાસે ઊભા રહીને જોયો છે અંદરનો રાસોત્સવ.
અવિરત રંગની છોળો વચ્ચે સુવર્ણ-કંકણ પહેરેલી
ગોરી ગોરી યુવતીઓ
કેટકેટલા આનંદથી હસતી હતી.
મારી તરફ તેઓએ વળીને જોયું ય નથી.
બાપુજી મારા ખભાને સ્પર્શતાં બોલ્યા હતા, જોજે,
એક દિવસ આપણે પણ…
બાપુજી હવે અંધ છે, અમે કંઈ કરતાં કંઈ જોઈ શક્યા નથી.
એ મોંઘી ચોકલેટ. એ લોલીપોપ, એ રાસોત્સવ મને કોઈ પાછા લાવી આપવાના નથી.

છાતી પાસે સુગંધી રુમાલ રાખીને વરુણાએ
કહ્યું હતું,
જે દિવસે મને ખરેખર ચાહીશ
તે દિવસે મારી છાતીમાંથી પણ આવી અત્તરની સુવાસ આવશે.
પ્રેમને માટે મેં જીવને મુઠ્ઠીમાં બાંધ્યો
તોફાની-વકરેલા સાંઢની આંખે લાલ કપડું બાંધ્યું.
આખી દુનિયા ખૂંદી વળી લઈ આવ્યો 108 નીલકમળ
તોપણ વચન પાળ્યું નથી વરુણાએ, હવે
એની છાતીમાં ફક્ત માંસની ગંધ
હવે એ કોઈક અજાણી સ્ત્રી !
કોઈ વચન પાળતું નથી, તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં,
કોઈ વચન પાળતું નથી.

– સુનીલ ગંગોપાધ્યાય
(અનુવાદ – નલિની માડગાંવકર)

સુનીલ ગંગોપાધ્યાયની કવિતાઓમાં જાણે વાર્તા ડોકીયું કરતી હોય એવું લાગે. આવા કાવ્યને માટે કથાકાવ્ય ઉચિત નામ છે. જીવનમાં સપનાની પાછળ દોડવાની અને એમાં પછડાટ ખાવાની વાતને એમણે સરસ રીતે રજૂ કરી છે. આ પહેલા રજૂ કરેલું એમનું જ કથાકાવ્ય ચાની દુકાનમાં પણ જોશો.

Comments

ચાની દુકાનમાં – સુનીલ ગંગોપાધ્યાય

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

આ કથાકાવ્ય મારું અતિપ્રિય કાવ્ય છે. ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે. આજે માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા એ ઘા આ કાવ્યથી તાજો થઈ જાય છે. આ કાવ્ય વાંચતી વખતે કે દીલ ચાહતા હૈ જોતી વખતે એટલે જ આંખનો એક સૂનો ખૂણો ભીનો થઈ જાય છે. આ કાવ્ય અર્પણ છે નિર્બંધ આનંદમાં પસાર થયેલા એ દિવસોની ચિરયુવા યાદોને.

Comments (3)