આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
જે હતી ક્યારેક એ સમજણ નથી.

આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
હું નથી એ જણ, તું પણ એ જણ નથી.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરજીવન દાફડા

હરજીવન દાફડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અમે – હરજીવન દાફડા

ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.

છુપાવી ના શક્યા કોઈ રીતે વિક્લાંગ માનસને,
અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા.

– હરજીવન દાફડા

પહેલો શેર મારો પ્રિય છે. આખી ગઝલ હાથ લાગી એટલે તરત આ ગમતનો ગુલાલ !

Comments (19)

કેમ સમજાયો ! – હરજીવન દાફડા

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.

સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !

-હરજીવન દાફડા

હરજીવન દાફડાની આ ગઝલ અસ્મિતા પર્વ, મહુવા ખાતેના કવિસંમેલનના જીવંત પ્રસારણ સ્વરૂપે ટી.વી. પર સાંભળી હતી ત્યારે ખીલા ફરતા ચક્કર લગાવવાની વાતવાળો શેર કાગળ પર ટાંકવા મજબૂર થઈ ગયો હતો. ગઝલના પહેલા ત્રણ શેર પહેલી નજરે જ ગમી જાય એવા મજાના થયા છે પણ આખરી બે શેરમાં કવિ એના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ યાદ આવી જાય છે. અને આખરી શેર જેટલો ધીમેથી ખુલે છે એટલો જ વધુ અર્થગહન બન્યો છે. આંખની આગળ એષણાના પડળ બાઝી ગયા હોય કે સંબંધના ‘અમે’ને ‘હું’ની બંધ ખડકી નડતી હોય યા મુક્તિનો માર્ગ મોહ-માયાએ ગોપિત કરી દીધો હોય ત્યારે જીવનમાં યાતના સિવાય શું બચે છે? અને આ બંધ બારીઓ એકવાર ખોલી નાંખો તો પછી….?

Comments (12)

હું અને મારી ગઝલ – હરજીવન દાફડા

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

– હરજીવન દાફડા

અંત:કરણની વાત, અને એય ટૂંકાણમાં, કહેવાનું મન થયું ત્યારે રચાઈ તે ગઝલ .. કેવી સરસ વાત ! જ્યારે ગઝલ પ્રગટે છે ત્યારે જ કવિનો પણ જન્મ થાય છે – એ વિચારે ‘હું અને મારી ગઝલ’ વધુ અર્થસભર બને છે.

Comments (10)

નીકળવું છે -હરજીવન દાફડા

વારા ફરતી વારામાંથી નીકળવું છે
મારે આ જન્મારામાંથી નીકળવું છે

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
જગની જર્જર ધારામાંથી નીકળવું છે

કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
મારે તારા-મારામાંથી નીકળવું છે

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે

– હરજીવન દાફડા

(સંપૂર્ણ ગઝલ માટે આભાર, નીરજ મહેતા અને જનક દેસાઈ. નીચે કોમેંટ જુઓ.)

Comments (11)