રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાં તો ઉઠશે અમી-વાદળી !
પૂજાલાલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અમૃતા પ્રીતમ

અમૃતા પ્રીતમ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




यह आग की बात है – अमृता प्रीतम

 

यह आग की बात है
तूने यह बात सुनाई है
यह ज़िंदगी की वो ही सिगरेट है
जो तूने कभी सुलगाई थी

चिंगारी तूने दे थी
यह दिल सदा जलता रहा
वक़्त कलम पकड़ कर
कोई हिसाब लिखता रहा

चौदह मिनिट हुए हैं
इसका ख़ाता देखो
चौदह साल ही हैं
इस कलम से पूछो

मेरे इस जिस्म में
तेरा साँस चलता रहा
धरती गवाही देगी
धुआं निकलता रहा

उमर की सिगरेट जल गयी
मेरे इश्के की महक
कुछ तेरी साँसों में
कुछ हवा में मिल गयी,

देखो यह आखरी टुकड़ा है
ऊँगलीयों में से छोड़ दो
कही मेरे इश्कुए की आँच
तुम्हारी ऊँगली ना छू ले

ज़िंदगी का अब गम नही
इस आग को संभाल ले
तेरे हाथ की खेर मांगती हूँ
अब और सिगरेट जला ले !!

 – अमृता प्रीतम

 

અમ્રુતાજીનો આજે જન્મદિન….તેઓના નામ સાથે ઘણાંબધાં “ભારતના પ્રથમ” જોડાયેલા છે – જેમ કે ભારતના પ્રથમ મહિલા જેમણે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો, પ્રથમ મહિલા જેના ૧૦૦ થી વધુ પ્રકાશન હોય…..વગેરે. તેઓની કલમની મજબૂતી કોઈ કોમેન્ટની મહોતાજ હોઈ જ ન શકે…

 

કાવ્ય સરળ છે – હ્રદયસ્પર્શી છે…

Comments (2)

મારું સરનામું – અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.

આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.

– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

માણસ જન્મે એ ઘડીથી જ એના ચહેરા પર મહોરાં ચોંટવા શરૂ થઈ જાય છે. જિંદગીની મુસાફરીમાં એક પછી એક એટલા બધા મહોરાંઓ આપણા ચહેરા પર ચોંટી જતા હોય છે કે આપણે આપણી જાત સુધીનો રસ્તો પણ ભૂલી જતા હોઈએ છીએ. બધા જ મહોરાંઓ ઉતરડીને ફેંકી દઈએ, બધા જ સરનામાંઓનો નાશ કરી નાઅંખીએ એ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે… એ ઘડીએ આપણને આપણા ગ્લોબલ હોવાની જાણ થાય છે.

Comments (8)

મધરાતે – અમૃતા પ્રીતમ

તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે

આ મારા ગીતના શબ્દો નથી
પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.

આ મારા ગીતના શબ્દો નથી
મારી કલમના રુંધાતાં આંસુઓ છે.

આ મારા ગીતના શબ્દો નથી
ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.

મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?

તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.

તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.

– અમૃતા પ્રીતમ ( અનુ. સુરેશ દલાલ)

એક યાદ મોડી રાત્રે ત્રાટકે ત્યારની ઘડીનું કાવ્ય. આ ઘડીએ માણસે કોરા ચેક પર સહી કરવા સિવાય  કાંઈ કરવાનું રહેતુ નથી.

Comments (13)

(કિતાબ) – અમૃતા પ્રીતમ

ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?

– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)

આ સવાલનો જવાબ કોઈ ધર્મ પણ બરાબર આપી શકતો નથી. કોઈ બાળકને વિના કારણ પીડાતુ જુઓ તો એક ઘડી તો શ્રદ્ધા કોરે મૂકી કહેવાઈ જ જાય છે – આવું કેમ ?

(ઈબારત=લેખ)

Comments (9)

વારિસશાહને – અમૃતા પ્રીતમ

આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:

એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે

આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.

પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી

આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા

દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ

નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા

જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા

ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી

આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?

વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

– અમૃતા પ્રીતમ
(મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)

આ કવિતા મૂળ પંજાબીમાં અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં સાંભળો

[audio:http://dhavalshah.com/audio/varisshah.mp3]

અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે – ‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.

વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.

ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”

અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં આ કવિતા સાંભળો તો શબ્દોની ઊંડી ઉદાસી ઘેરી વળ્યા વિના રહેતી નથી. અને પાંચ નદીઓના આ પવિત્ર પ્રદેશ માટે અનાયાસ જ દિલમાંથી એક ચીસ નીકળી જાય છે.

Comments (10)

કાઝાનઝાકીસ – અમૃતા પ્રીતમ

મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વેશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વેશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.

– અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)

કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.

Comments (7)

અશ્વમેધયજ્ઞ – અમૃતા પ્રીતમ

ચૈત્રની એક પૂનમ હતી
અને દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
દેશ અને વિદેશમાં વિચરવા નીકળ્યો…

આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના…

એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
‘આ દિગવિજયનો અશ્વ –
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે’

આ યજ્ઞનો નિયમ છે એ પ્રમાણે
એ ઊભો રહ્યો ત્યાં ત્યાં
મેં ગીતોનું દાન કર્યું
અને કેટલીક જગાએ હવન કર્યા.
એટલે જે કોઈ જીતવા આવ્યું તે હારી ગયું.

આજે જિંદગીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે
એ સહીસલામત મારી પાસે પાછો આવ્યો છે,

પણ કેવી અસંભવ વાત –
પુણ્યની ઈચ્છા નથી,
નથી ફળની લાલસા બાકી
આ દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
મારી નહીં શકાય … મારી નહીં શકાય
બસ આ જ સલામત રહે
પૂરેપૂરો રહે !
મારો અશ્વમેધયજ્ઞ અધૂરો છે,
ભલે અધૂરો રહે !

– અમૃતા પ્રીતમ
(અનુ. – જયા મહેતા)

વિશ્વવિજય કરવા માટે રાજાઓ અશ્વમેધયજ્ઞ કરતા. યજ્ઞ કર્યા પછી એક અશ્વ છૂટો મૂકવામાં આવતો. એ જે જે પ્રદેશમાં જાય તે પ્રદેશના રાજાને ક્યાંતો શરણાગતિ સ્વિકારવાની ક્યાં તો યુદ્ધ વહોરી લેવાનું. અશ્વ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે તો વિશ્વવિજય કરેલો ગણાય. આ પૌરાણિક કથાના આધારે અમૃતા પ્રીતમે એમની લાક્ષણિક શૈલીમાં આ કવિતા રચી છે.

કવયત્રિ પોતાના પ્રેમના અશ્વને છૂટો મૂકે છે, જગ આખાને જીતી લેવા. જ્યાં જ્યાં અશ્વ ઊભો રહે ત્યાં ગીતોનો ઓચ્છવ કરીને તે બધાને જીતી લે છે.  જીવનના અંત ભાગમાં અશ્વ પાછો આવે છે. અશ્વ અવિજિત પાછો આવે તો અશ્વમેધયજ્ઞ પૂરો થયો ગણાય. પણ આ ક્ષણે હવે કવયત્રિને કોઈ ઈચ્છા કે લાલસા રહ્યા નથી. ને એ ક્ષણે તેમને મૂળ સત્ય સમજાય છે : પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે.

Comments (4)

આદિ ધર્મ – અમૃતા પ્રીતમ

મેં જ્યારે તને પહેર્યો
ત્યારે બંનેના શરીર અંતર્ધાન હતાં,
શરીર ફૂલોની જે ગૂંથાયાં
અને આત્માની દરગાહ પર
અર્પિત થઈ ગયાં…

તું અને હું હવનના અગ્નિ,
તું અને હું સુગંધિત સામગ્રી,
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.

ધર્મકર્મની કથા
તો બહુ પછીની વાત છે…

– અમૃતા પ્રીતમ

ધર્મની શરૂઆત થઈ એ પહેલા ય પ્રેમ તો હતો જ.બલ્કે એ વખતે પ્રેમ જ ધર્મ હતો. કહે છે કે, એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.

Comments (10)

આત્મમિલન – અમૃતા પ્રીતમ

મારી શૈયા તૈયાર છે
પણ જોડા અને ખમીશની જેમ
તું તારું શરીર પણ ઊતારી લે
ત્યાં મૂડા પર મૂકી દે.
કોઈ ખાસ વાત નથી –
આ પોતપોતાના દેશનો રિવાજ છે.

– અમૃતા પ્રીતમ

આવી કવિતા લખતા પહેલા અમૃતા પ્રીતમે જીવેલી એવી જીંદગી જીવવી પડે – પ્રેમને ધૃવતારો ગણીને જીવેલી જીંદગી !

Comments (4)

ખાલી જગા – અમૃત પ્રીતમ (અનુ. – હરીન્દ્ર દવે)

માત્ર બે રજવાડાં હતાં –
એકે મને અને તને પદભ્રષ્ટ કર્યાં હતાં.
અને બીજાનો અમે બંનેએ ત્યાગ કર્યો હતો.

નગ્ન આકાશની નીચે –
હું કેટલીયે વાર –
શરીરના વાદળમાં પલળતી રહી,
એ કેટલીયે વાર
શરીરના વાદળમાં પલળતો રહ્યો.

પછી વર્ષોના મોહ ને-
એક ઝેરની જેમ પીને
એણે કંપતા હાથે મારો હાથ પકડ્યો
ચાલ ! ક્ષણોના માથા પર એક છત બાંધીએ
તે જો !
દૂર  – સામે, ત્યાં
સાચ અને જૂઠની વચ્ચે – કંઈક ખાલી જગ્યા છે…

– અમૃતા પ્રીતમ
(અનુ. – હરીન્દ્ર દવે)

અમૃતા પ્રીતમની કવિતામાં પ્રેમને માટે નવી દુનિયા વસાવવાની વાત વારંવાર આવે છે. અમૃતા પ્રીતમ જેવી વ્યક્તિને પ્રેમ માટે આ દુનિયા નાની પડે એ સ્વાભાવિક જ છે. અહીં એ પ્રેમી સાથે નવું ઘર બાંધવાની વાત પોતાની આગવી છ્ટાથી કરે છે. પ્રેમનું ઘર તો સત્ય-અસત્યથી પર જ હોય. એમાં ખરા-ખોટાની બધી વાત ભૂલી જવાની હોય.

Comments (2)

કવિતા – અમૃતા પ્રીતમ

એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે-
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !

અમૃતા પ્રીતમ

Comments (3)

અલ્લાહ !

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે તારી જગા એ જીભ પર
હવે એનું નામ આવ્યું છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે લોકો કહે છે
મારી તકદીરના ઘરેથી
મારો પયગામ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ નસીબ ધરતીનું
કે એના સૌંદર્યની લીલા તમામને
ખુદાની એક સલામ આવી છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ દિવસ મુબારક છે
કે મારી જાત પર
હવે ઈશ્કનો આરોપ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
નજર પણ ચકિત છે
કે આજે મારા રસ્તામાં
આ કેવો મુકામ આવ્યો છે.

-અમૃતા પ્રીતમ

Comments