કાવ્ય, કાગળ ઉપરનાં નખચિત્રો !
નોખી નમણાશથી છપાયો નખ
– મનોજ ખંડેરિયા

પાણી-વલોણું પ્રીત – પ્રિયકાન્ત મણિયાર

જૂઠા રે જીવણ તમે જાઓ છો
.                લઈ જાઓ મુરલીના સૂર,
શું રે કરીએ અમે એ સૂરને,
.                તમે તો દૂરનાયે દૂર!

શીદને વલોવું વ્હાલા! ગોરસી,
.                શાને ગાઉં તારાં ગીત?
તુજને મળીને જાદવ જાણતી
.                મારે પાણી-વલોણું પ્રીત!

ખીલડે બંધાઈ મારી ગાવડી
.                ચહે ન છૂટવા લગાર,
કોણ રે લઈ જાય વનમાં ચારવા
.                તડકે સુકાતી લીલી ચાર.

જેવાં રે વેણુમાં વ્હાલા વીંધ છે
.                એવાં અમમાં કીધા છેદ,
શું રે આવ્યા તમે શું જાઓ છો?
.                રોકાજો આટલો કહેવા ભેદ!

– પ્રિયકાન્ત મણિયાર

વાત તો એની એ જ છે… ગોપીઓને છોડી જતા કૃષ્ણ સાથે ગોપીઓએ નેહભર્યો કલેહ માંડ્યો છે. એ કૃષ્ણને જૂઠો તો કહે છે પણ જીવણ-જીવ કહ્યા વિનાય રહી શકતી નથી. જાદવ સાથેની પ્રીત પાણી વલોવવા જેવી છે. દહીં વલોવો તો છાશ અને નવનીત પ્રાપ્ત થાય, પણ પાણીને વલોવ્યે શું હાથ આવે? મોરલીધર જ દૂરનોય દૂર ચાલ્યો જાય ત્યારે મોરલીના સૂરનો જે રીતે અર્થ રહેતો નથી, એ જ રીતે ખીલે બંધાયેલ ગાયોય છૂટવા તૈયાર નથી. વૃંદાવનમાં કૃષ્ણ જ હોય તો જઈને શો ફાયદો? ગોપીઓના હૈયામાં વાંસળીની જેમ છેદ થયાં છે. એ જાણે છે કે જનાર હવે રોકાવાનો નથી. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે જવાનાજ હતા તો આવ્યા શા માટે હતા એટલો ભેદ કહીને જાવ… પણ…

8 Comments »

  1. Neha Purohit said,

    March 25, 2026 @ 11:16 AM

    ગોપીભાવે લખાયેલું સુંદર ગીત..
    તમે તો દૂરનાએ દૂર!!! પાણી વલોણું પ્રીત !!!! વાહ!

  2. Vrajlal Savaliya said,

    March 25, 2026 @ 11:20 AM

    ગોપીગીત જેવું કટાક્ષ યુક્ત સુંદર મધુર ગીત

  3. Kishor Barot said,

    March 25, 2026 @ 11:46 AM

    સુંદર કૃષ્ણ કાવ્ય

  4. Vrajesh Mistri said,

    March 25, 2026 @ 11:59 AM

    Wah… પાણી વલોવવાની વાત… સરસ..

  5. અગન રાજ્યગુરુ said,

    March 25, 2026 @ 12:01 PM

    વાહ..વાહ…

  6. Parbatkumar Nayi said,

    March 25, 2026 @ 2:06 PM

    વાહ
    વાહ
    વાહ

  7. DILIP DHOLAKIYA said,

    March 25, 2026 @ 4:40 PM

    સુંદર ગોપીભાવનું ગીત..

  8. Kishor Ahya said,

    March 26, 2026 @ 6:03 PM

    પાણી-વલોણું પ્રીત – .
    કવિ શ્રી પ્રિયકાન્ત મણિયારની ગોપીનો કૃષ્ણ પ્રેમ દર્શાવતી બહુ સુંદર રચના છે. પાણી વલોવવું , વાંસળીના છેદ એવા દિલમાં છેદ વગેરે શબ્દો કાવ્યને મધુરભાવ આપે છે. શું રે આવ્યા તમે શું જાઓ છો? રોકાજો આટલો કહેવા ભેદ! કોઈ થોડીવાર જ રોકાય ત્યારે આવું કહેવાતું હોય છે ,શું આવ્યા ને શું ગયા? આતો ગોપીએ કૃષ્ણ પ્રત્યે પ્રેમભાવને લીધે કહૈલી વાત છે પણ
    આ ભેદ ભગવાને અર્જુનને વર્ષો પછી બતાવ્યો! ‘યદા યદા હી ધર્મસ્ય’ જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે ત્યારે હું ધર્મની રક્ષા અને પુન:સ્થાપના કરવા અવતાર ધારણ કરું છું! સરસ રચના , સરસ આસ્વાદ.

    🌹🌹🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment