રાખી હૃદયને બાનમાં કેવા કરાવે ખેલ છે
આ લાગણીની જાત આખી કેટલી વંઠેલ છે !

‘બેજાન’ બહાદરપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2005

વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

-મનોજ ખંડેરિયા

Comments (4)

‘ગાલિબ’ના ચૂંટેલા શેર

પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક
આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ?

બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’,
તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ !

તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના,
કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા !

‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો,
વહ સુનકે બુલા લેં, યહ ઈજારા નહીં કરતે !

બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ’
કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.

મુજ તક કબ ઉનકી બઝમમેં આતા થા દૌરએજામ;
સાકીને કુછ મિલા ન દિયા હો શરાબ મેં !

યે મસઈલે તસવ્વુફ, યે તેરા બયાન ‘ગાલિબ’;
તુઝે હમ વલી સમઝતે, જો ન બદાખાર હોતા !

કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે-નીમકશ કો,
યહ ખલિશ કહાંસે હોતી, જો જિગરકે પાર હોતા !

મિલના તેરા અગર નહીં આસાં, તો સહલ હૈ.
દુશ્વાર તો યહી હૈ, કિ દુશ્વાર ભી નહીં.

લાજમ થા, કી દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર;
તનહા ગયે ક્યોં; અબ રહો તનહા કોઈ દિન ઔર.

ન તીર કમાંમેં હૈ, ન સૈયાદ કર્મીમેં;
ગોશેમેં ક્ફસકે મુઝે આરામ બહોત હૈ.

મૈને મજનૂપે લડકપનમેં અસદ;
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા.

ચલતા હું થોડી દેર હરેક તેજરૌકે સાથ;
પહેચાનતા નહી અભી રાહબરકો મૈ.

Comments (3)

શોધ (કવિતાનો અંશ) -ઉમાશંકર જોશી

પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
પુષ્પો, પ્રુથ્વીની ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;
પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.

ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે ?

કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.

ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
ખાઉં છં, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા ?

-ઉમાશંકર જોશી.

Comments

એક ઉઝરડે -‘અમર’ પાલનપુરી

ધોઈ નાખ્યાં હાથ સ્વજનથી, કોણ હવે શત્રુમાં ખરડે ?
ઊંડા ઘા તો કંઇક સહ્યા, પણ જાન ગયો છે એક ઉઝરડે.

-‘અમર’ પાલનપુરી

Comments (5)

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

Comments (1)

વેદનાના સંબંધો, સંબંધોની વેદના -હેમેન શાહ

ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.

ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તાર તપાસ કર.

મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.

-હેમેન શાહ

હેમેન શાહની આ ગઝલ કોલેજમાં ખુબ લોકપ્રિય હતી. ( કદાચ એ વખતે ‘મિત્રતાના અર્થ’ ને સમજવાની ઘણી ગડમથલ હશે!) સંબંધોના દ્રોહની તપાસ એ સાહિત્યમાં (કે જીદંગીમાં) નવી વાત નથી. શોધવો હોય અર્થ મિત્રતાનો, કવિ કહે છે, તો શરૂઆત ઈતિહાસની એ ક્ષણોથી કર કે જ્યારે મિત્રતા માંથી બધો વિશ્વાસ ઊઠી ગયો હતો. સંબંધો અનિવાર્યપણે વેદનામાં પરિણામે છે એ હકીકતની એક અલગ બાજુ પણ છે. વેદના સંબધ જોડવાની કડી પણ બની શકે છે. કોઈને અંદરથી જાણવા માટે એની વેદનાને સમજવાથી વધારે સારો રસ્તો કયો હોય શકે?

Comments

વૈષ્ણવજન -નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

Comments (2)

ભોમિયા વિના -ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોશી

Comments (1)

કોઈ જોડે, કોઈ તોડે – ઉમાશંકર જોશી

કોઈ જોડે, કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે.
કોઈ આંખને અધઅણસારે ઊલટથી સામું દોડે.
કોઈ…

કોઈક ગભરુ પ્રણયભીરુ ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે.
કોઈ…

કોઈ અભાગી અધરે લાગી હ્રદયકટોરી ફોડે,
કો રસિયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે.
કોઈ…

-ઉમાશંકર જોશી

Comments

કોણ માનશે ? – શૂન્ય ‘પાલનપુરી’

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?

કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય ‘પાલનપુરી’

Comments (5)

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

-ઉમાશંકર જોશી

Comments (2)

તને…મને -ઉમાશંકર જોશી

મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી મને.

-ઉમાશંકર જોશી

Comments (1)