ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી સહુ કહે છે, જમાનો ખરાબ છે !
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રતિકાવ્ય

પ્રતિકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નિર્મિશાંજલિ :૦૩: મલે નીં મલે – નિર્મિશ ઠાકર

નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.

અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.

પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.

બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.

ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ,
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.

ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ,
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.

વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.

– નિર્મિશ ઠાકર

દિવંગત કવિને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે ત્રીજું અને હાલ પૂરતું આખરી સુમન. હાસ્યવ્યંગ અને પ્રતિકાવ્યો બાબતે ગુજરાતી ભાષામાં એમનો જોટો જડે એમ નથી. ગુજરાતી કવિઓને ભાગ્યે જ નસીબ થાય એવા અદકેરા કદ-કાઠીના સ્વામી નિર્મિશભાઈના વ્યંગકાવ્યો જેટલા પોંખાવા જોઈએ એટલા પોંખાયાં નહીં. કદાચ એ કારણે જ કે ગુજરાતી સાહિત્યનો હાસ્ય સાથેનો સંબંધ સદાકાળ પાણીપાતળો જ રહ્યો છે. એમાંય પ્રતિકાવ્યો તરફ તો આપણું વલણ એને ઉતરતાં ગણીને હડે-હડે કરવા જેવું જ રહ્યું છે. પ્રતિકાવ્યનું સર્જન પોતે મૂળ રચનાની ઉત્તમતા અને પ્રસિદ્ધિનો સહૃદય સ્વીકાર છે. મૂળકાવ્ય અદભુત થયું છે એટલે જ એનું પ્રતિકાવ્ય રચાયું છે. મૂળ કાવ્યની મશ્કરી કરવાનો સર્જકનો હેતુ હોતો નથી એ આપણે સહુએ સમજવા જેવું છે. આદિલ મન્સૂરીની અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’નો હાથ ઝાલીને કવિએ આપણને પ્યૉર હુરટી બોલીમાં ઉમદા પ્રતિકાવ્ય આપ્યું છે, એનો આનંદ લઈએ.

Comments (8)

હાસ્યમેવ જયતે : ૧૦ : લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

હાસ્યકવિતાની વાત હોય અને એકેય પ્રતિકાવ્યનો સમાવેશ ના કરો એ કેવી રીતે બને? ગુજરાતીમાં પ્રતિકાવ્યોની પાતળી પણ સશક્ત પરંપરા રહી છે. એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

નિર્મિશ ઠાકરને પ્રતિકાવ્ય રચવાની કળા સુપેરે હસ્તગત છે. એમના બધા પ્રતિકાવ્યોમાં આ મારું સૌથી પ્રિય છે. અહીં આ ગીતમાં બિનજરૂરી રીતે લાંબી અને સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર મીઠો પણ ધારદાર કટાક્ષ કર્યો છે. છેલ્લે છેલ્લે તો ‘તોલ બધું વજનમાં’ કહીને કટાક્ષની હદ કરી નાખી છે!

Comments (2)

લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો.

Comments (4)

યાચે શું ચિનગારી ? – ન. પ્ર. બુચ

[ ભૈરવી-તીનતાલ ]

યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

ન. પ્ર. બુચ

સ્વ. હરિહર પ્રા.ભટ્ટના એક જ દે ચિનગારી નું પ્રતિકાવ્ય. કવિએ આને પ્રત્યુત્તર કાવ્ય કહ્યું છે!

(ટાઇપ કરીને મોકલવા માટે અમદાવાદથી શ્રી.જુગલકિશોર વ્યાસ નો આભાર.)

Comments (4)