આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
અનિલ ચાવડા

જીવી ગયાં – નીતિન વડગામા

હું, તમે ને આપણે જીવી ગયાં
બંધ એવા બારણે જીવી ગયાં.

સાવ કોરા ઓરડા ને ઉંબરા,
સાવ સૂના આંગણે જીવી ગયાં !

હાડ તો થીજી ગયું’તું આખરે –
આંસુઓના તાપણે જીવી ગયા.

એમનો ભેટો ફરીથી ના થયો,
છેવટે સંભારણે જીવી ગયાં.

જે ટહુકતું એ ટપકતું આંખથી,
એમ ભીની પાંપણે જીવી ગયાં.

શ્વાસની સરહદ સુધી પ્હોંચ્યાં હતાં,
તોય પણ શા કારણે જીવી ગયાં ?

આમ અવલંબન હતું ક્યાં કાંઈ પણ ?
એક કાચા તાંતણે જીવી ગયાં !

– નીતિન વડગામા

આખેઆખી ગઝલ સંઘેડાઉતાર હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આ ગઝલ એવા સુખદ અપવાદોમાંની એક છે. બધા જ શેર ઊંડો વિચાર માંગી લે છે પણ હું મત્લાના શેરથી આગળ જઈ શકતો નથી. મત્લાનો શેર આપણામાંના કેટલા બધા લોકોની જાંઘ ઊઘાડી પાડે છે ! બંધ બારણાંની પાછળ આપણે એમ જ જીવન વગરનું જીવી જતાં હોઈએ છીએ.

2 Comments »

  1. KETAN YAJNIK said,

    January 22, 2016 @ 8:07 AM

    બંધ બારણાની વાત તદ્દન સાચી છેકેમ જીવાયું તે જીવતર જાને।દિલ થી દિલ ની વાત થઇ ગઈ આહ થિ વાહ કેમ કહેવાય્

  2. Harshad said,

    January 30, 2016 @ 1:47 PM

    નિતીનભાઈ વાહ , ખૂબ જ સુન્દર રચના. મનની અન્દર ની વાત કહી. બહૂત ખૂબ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment