તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.
વિવેક મનહર ટેલર

ગઝલ – સાહિલ

ચિત્તથી જે બધું પરહરે,
નામ એનું જ માણસ ખરે.

નામ તારું લઈ ઊમટ્યાં,
પૂર ના એ હવે ઓસરે.

હાથ મૂક્યો છે એ હાથમાં,
જે ભવોભવના ભરણાં ભરે.

કાનજીપો હશે ત્યાં નર્યો,
મન મીરાંબાઈનું જે હરે.

હોય ના જો અપેક્ષા કશી,
ખોટથી જીવ શાને ડરે?

-સાહિલ

રાજકોટના કવિ સાહિલની ગાલગાના ત્રણ આવર્તનોમાં લખેલી આ ટૂંકી બહેરની ગઝલ પરંપરાની ગઝલોની નજીક લાગે છે. મને ખૂબ ગમી ગયેલ બીજો શેર બાદ કરતાં બધાં જ શેર ઈશ્વર યા ઈશ્વરનિષ્ઠ મૂલ્યોને સ્પર્શતા થયા છે. મીરાંબાઈવાળા શેરમાં કવિ નવો જ શબ્દ ‘કોઈન’ કરે છે-કાનજીપો. જેમ રાજીપો, ખાલીપો તેમ આ કાનજીપો. સરવાળે આખી ગઝલ ધનમૂલક થઈ છે…

6 Comments »

  1. Pinki said,

    December 4, 2007 @ 7:04 AM

    ભવોભવનાં ભરણાં ભરે એવો કાનજીપો કવિ સાહિલનો ઘણો ગમ્યો ……..!!

  2. pragnajuvyas said,

    December 4, 2007 @ 10:59 AM

    સુંદર કાવ્ય
    રાજીપો થયો
    તેમાં
    ‘ હોય ના જો અપેક્ષા કશી,
    ખોટથી જીવ શાને ડરે?’
    કર્મફળત્યાગની સરળ સમજુતી
    ધન્યવાદ -સાહિલ

  3. ધવલ said,

    December 4, 2007 @ 12:16 PM

    હોય ના જો અપેક્ષા કશી,
    ખોટથી જીવ શાને ડરે?

    – બહુ મોડેથી સમજાયેલું અમૂલ્ય સત્ય !

  4. ઊર્મિ said,

    December 4, 2007 @ 2:43 PM

    નામ તારું લઈ ઊમટ્યાં,
    પૂર ના એ હવે ઓસરે.

    હોય ના જો અપેક્ષા કશી,
    ખોટથી જીવ શાને ડરે?

    ખૂબ જ સુંદર… કાનજીપો વાળી વાત પણ ઘણી ગમી !

  5. manvantpatel said,

    December 5, 2007 @ 12:26 AM

    ન રાખ આશ કદી કોઇ પાસ ,…
    કરી શકે પછી કોણ નિરાશ ?

    હોય ના જો અપેક્ષા કશી,ખોટથી જીવ શાને ડરે ?
    સાચી વાત છે,ભાઇ !

  6. KAVI said,

    December 5, 2007 @ 9:42 AM

    સાહિલને અભિનન્દન અને યાદ.
    લયસ્તરોને જન્મદિવસની શુભેચ્છા…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment