માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

કેડેથી નમેલી ડોશી -દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ

દલપતરામની આ પ્રસિદ્ધ કવિતા વાચકમિત્રની ફરમાઈશ પર અહીં રજૂ કરીએ છીએ. લયસ્તરો ટીમ તરફથી આપ સર્વ વાચકમિત્રોને આ પોસ્ટ વડે ફરી એકવાર સંદેશો આપવા ઈચ્છીએ છીએ કે લયસ્તરો એ અમારો નહીં, આપનો પોતાનો જ બ્લૉગ છે અને આપ આપની ઈચ્છાઓને અહીં શબ્દાકારે મૂર્ત થતી જોઈ શકો એમાં નિમિત્ત બનીએ, બસ એ જ અમારું સૌભાગ્ય છે…

(જરા= ઘડપણ)

Leave a Comment