ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

મારો જીવનપંથ ઉજાળ – નરસિંહરાવ દિવેટીયા

પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ !… પ્રેમલo

દૂર પડ્યો નિજ ધામથી હું, ને
ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…પ્રેમલo

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય … પ્રેમલo

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા
હામ ભીડી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમલo

ભભકભર્યા તેજથી હું લોભાયો ને
ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ;
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલo

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ,
આજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo

કર્દમભૂમિ કળણ ભરેલી ને
ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ
મુને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo

રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo

– નરસિંહરાવ દિવેટિયા

16 જુન, 1833ના રોજ જ્હોન હેનરી ન્યુમેને દરિયાઈ સફર દરમિયાન લખેલ  ‘Lead kindly light‘ કવિતાનો ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું !

9 Comments »

  1. dr.bharat said,

    November 6, 2010 @ 1:17 AM

    આ અનુવાદ શ્રી નરસિંહરાવે કર્યો હતો તે બિલકુલ નવીન વાત જાણી, અભાર. મૂળ અંગ્રેજી કૃતિ સંભાળવા ન મળ્યા નો અફસોસ રહ્યો!
    ‘This video is no longer available because the YouTube account associated with this video has been terminated. ‘

  2. pragnaju said,

    November 6, 2010 @ 6:32 AM

    કોઈ પણ સંપ્રદાય કે ધર્મના વિરોધ વગરનું નાનપણથી પ્રાર્થનામા ગાતા આ અમર ભજન
    નૂતનવર્ષાભિનંદન

  3. rekha sindhal said,

    November 6, 2010 @ 9:52 AM

    હ્રદયમાઁ આપોઆપ જ શુધ્ધભાવો ઉઠે એવેી પ્રાર્થના અહેીઁ વાઁચતા જ હરવખતનેી જેમ હળવાશ અનુભવેી. ફરેી ફરેીને સાઁભળીએ તો ય હરપળ નાવીન્ય અનુભવાય. આભાર અને સાલમુબારક સહ શુભેછાઓ !

  4. sudhir patel said,

    November 6, 2010 @ 10:36 AM

    સુંદર ભાવાનુવાદ!

    સૌને નૂતન વર્ષના અભિનંદન!!

    સુધીર પટેલ.

  5. Bharat Trivedi said,

    November 7, 2010 @ 11:12 AM

    કેટલીક રચનાઓ અમરત્વનું વરદાન લઈને આવતી હોય છે! આ રચના વિષે પણ એવું જ કહી શકાય. અમારી સ્કૂલમાં આ ગીત પ્રાર્થનામાં વેળા ગવા’તું. આજેય આ ગીત વાંચતાં હ્રુદય ભરાઈ આવે છે.

    -ભરત ત્રિવેદી

  6. devika dhruva said,

    November 7, 2010 @ 2:51 PM

    અમર પ્રાર્થના..

  7. Girish Parikh said,

    November 8, 2010 @ 2:57 PM

    http://www.girishparikh.wordpress.com વેબ સાઈટ પર ‘આપણું અમર પ્રાર્થનાગીતઃ ‘મુજ જીવનપંથ ઉજાળ’ લેખ પોસ્ટ કર્યો છે. મૂળ અંગ્રેજી ગીત પણ આપ્યું છે. વાંચવા અને પ્રતિભાવ આપવા વિનંતી.
    – – ગિરીશ પરીખ

  8. Girish Parikh said,

    November 8, 2010 @ 3:02 PM

    આંખો ભીની થઈ આ અમર પ્રાર્થનાગીત વાંચતાં.
    – – ગિરીશ

  9. chhaya said,

    November 9, 2010 @ 9:35 AM

    દરરોજ કરવાનિ પ્રાર્થના ભાવ વિભોર કરિ દેનારિ સુન્દર સ્તુતિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment