છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલીપ ચિત્રે

દિલીપ ચિત્રે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




अर्ध सत्य – दिलीप चित्रे

चक्रव्यूह में घुसने से पहले
कौन था मैं और कैसा था
ये मुझे याद ही ना रहेगा
चक्रव्यूह में घुसने के बाद
मेरे और चक्रव्यूह के बीच
सिर्फ एक जानलेवा निकटता थी
इसका मुझे पता ही ना चलेगा
चक्रव्यूह से निकलने के बाद
मैं मुक्त हो जाऊं भले ही
फिर भी चक्रव्यूह की रचना में
फर्क ही ना पड़ेगा
मरूं या मारूं
मारा जाऊं या जान से मार दूं
इसका फैसला कभी ना हो पायेगा
सोया हुआ आदमी जब
नींद से उठकर चलना शुरू करता है
तब सपनो का संसार उसे
दोबारा दिख ही ना पायेगा
उस रोशनी में जो निर्णय की रोशनी है
सब कुछ समान होगा क्या
एक पलड़े में नपुंसकता
एक पलड़े में पौरूष
और ठीक तराजू के कांटे में
अर्ध सत्य.

– दिलीप चित्रे

1983માં આવેલી ફિલ્મ અર્ધસત્યની આ સારરૂપ કવિતા છે, ફિલ્મમાં ઓમ પુરી એનું પઠન પણ કરે છે.

મને ગુજરાતી કાવ્ય સામે આ ગંભીર ફરિયાદ છે – ગુજરાતી કાવ્ય રાજકીય/સામાજિક વિષમતાઓને લગભગ લગભગ સદંતર અવગણે જ છે – જાણે કે એ કોઈ કાવ્યવસ્તુ હોઈ જ ન શકે !! આંગળીના વેઢે પણ નહીં – આંગળીઓએ પણ માંડ ગણાય એટલી રાજકીય/સામાજિક પ્રશ્નોને ઉઠાવતી મજબૂત કવિતા ગુજરાતીમાં સાંપડે !!! ખબર નહીં કેમ આ વિષય-દરિદ્રતા ગુજરાતી કાવ્યને આભડી ગઈ છે…..

કાવ્ય મર્મભેદી છે – આપણે સહુએ શાળા/કૉલેજ છોડીને વ્યવહારુ દુનિયામાં પગ મૂકતાં આ અનુભવેલી જ વાત છે – સાચું શું તે સાથે વ્યવહારુ દુનિયાને ખાસ કોઈ મતલબ નથી, ભૌતિક સફળતા એક જ પારાશીશી હોય છે. સત્યના માર્ગે ચાલવાનું નક્કી કરનાર ક્યાંતો સમય સાથે માર્ગ-વિચલિત થઈને સિસ્ટમમાં વેચાઈ જાય છે, ક્યાંતો ફ્રસ્ટ્રેશનના કળણમાં ખૂંપતો જ જાય છે. ઘણીવાર તો સત્ય શું છે તે પણ નથી સમજાતું એ હદે સત્ય-અસત્યની ભયાનક ભેળસેળ કરી દેવામાં આવતી હોય છે ! સત્યના માર્ગે ચાલવું તો છે પણ સત્યનો માર્ગ કયો ???? કોઈ માર્ગદર્શન પણ હાથવગું હોતું નથી. Greatest good of the greatest number – એ સાચું કે પછી સત્યના માર્ગે ચાલતી વ્યક્તિમાત્રનું હિત સર્વોપરી ?? આવા આવા અસંખ્ય જટિલ મૂંઝવતા પ્રશ્નો સત્ય-માર્ગીએ હલ કરવા રહ્યા. વળી જો એ બિચારો પોતાના જજમેન્ટમાં ભૂલ કરી બેસે તો આજીવન એનો પરિતાપ ભોગવવો રહ્યો ! જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલતો યુધિષ્ઠિરનો રથ એક ઝાટકે જમીનસરસો થઈ જાય….જીવનભરની તપશ્ચ્રયા નિરથર્ક નીવડી જાય….

કેટલોક ભાર એક માનવ વેંઢરે !! મોટેભાગે ત્રાસીને સિસ્ટમમાં વેચાઈ જાય – આત્મા ગીરવે મૂકી દે…કોઈક વિરલા માર્ગચ્યુત ન પણ થાય – ફના થઇ જાય જાતે અને ફના કરી દે પોતાના નિકટતમ સ્નેહીઓને પણ – પરંતુ સિસ્ટમ સામે ઝૂકે નહીં… સલામ છે એવા વિરલ યોદ્ધાઓને…..

Comments (3)

પિતાજી ઘરે પાછા ફરતા – દિલીપ ચિત્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખ સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે ઝાંખી પડેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળી પડી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખરી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતમાં માનવના માનવથી વેગળાપણા વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા ધ્રુજારી અનુભવે છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો ટૂચકાંઓ કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની એક અંગ્રેજી કવિતાનો અનુવાદ…

હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું નગ્ન ચિત્રણ. કવિતા એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ બોલવાની જરૂર નથી. મારે તો આ એક જ વાક્ય ગમતાંના ગુલાલના ન્યાયે ફરી વંચાવવું છે: “હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું, એક લાંબા વાક્યમાંથી ખરી પડેલા શબ્દની જેમ.” – આ છે સશક્ત કવિતા! વાહ કવિ…

Comments (8)

અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)

ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલા
હું કોણ હતો કે કેવો હતો
એ કાંઈ મને યાદ નહીં રહે.

ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ
મારા અને ચક્રવ્યૂહની વચ્ચે
હતી માત્ર જીવલેણ નિકટતા
એ મને સમજાયું જ નહીં.

ચક્રવ્યૂહમાંથી નીકળીને
સ્વતંત્ર થઈ જાઉં તો ય
ચક્રવ્યૂહનો તો કાંગરો ય ખરવાનો નથી.

મરુ કે મારુ,
ખતમ થઈ જાઉં કે ખતમ કરી નાખું.
અશક્ય છે આ નિર્ણય.

સૂતેલો માણસ
ઊઠીને એક વાર ચાલવા માંડે,
પછી એ કદી સપનાના પ્રદેશમાં
પાછો નથી ફરી શકતો.

ચુકાદાના તેજ તળે
બધુ એકસરખું જ થઈ જશે ?
એક પલ્લામાં નપુંસકતા,
અને બીજામાં પૌરુષ,
અને વચ્ચોવચ ત્રાજવાની દાંડીની બરાબર ઉપર –
અર્ધસત્ય.

– દિલીપ ચિત્રે
( અનુ. ધવલ શાહ)

દિલીપ ચિત્રે એક બહુવિધ પ્રતિભા હતા. કથાકાર, ચિત્રકાર, દિગ્દર્શક, અનુવાદક એ બધુ ય ખરા પણ કવિતા એમનો પહેલો પ્રેમ. આજે એક પરથી બીજી કવિતા શોધતા એમની આ કવિતા હાથ લાગી ગઈ, જાણે અનુભવોની એક આખી પંગત સામટી બેસી ગઈ.

દિલીપ ચિત્રેએ આ કવિતા ‘અર્ધસત્ય’ ફિલ્મ માટે લખેલી. ‘અર્ધસત્ય’ ફિલ્મનો નાયક, અનંત વેલણકર, ફીલ્મમાં આ કવિતા વાંચે છે. પહેલી વાર તો સમજ નહોતી પડી પણ બીજી-ત્રીજી વારમાં જ્યારે સમજાઈ ત્યારે આ કવિતા વીજળીની જેમ પડેલી. એક આખી પેઢી માટે આ ફિલ્મ ભ્રષ્ટાચારના કલંક અને ઈમાનદાર લોકોની હતાશાનું પ્રતિક બની ગયેલી. વેવલી ગણાતી ‘આર્ટ ફિલ્મ’ જોવા લોકો લાઈન લગાડતા આ ફિલ્મ પછી થયેલા.

પહેલા આપણે જ એક અડધા સત્યને ત્રાજવાની દાંડી પર બેસાડીએ છીએ. અને પછી આપણે જ ફરિયાદ કરે રાખીએ છીએ કે નપુંસકતા અને પૌરુષમાં કોઈ ફરક નથી રહ્યો. ભ્રષ્ટાચારનો આખો ચક્રવ્યૂહ તોડવો હોય પહેલા અર્ધસત્યનો નાશ કરીને સત્યને ઉપર બેસાડવું પડે. પણ અર્ધસત્યને મહાત કરવાની આપણી ત્રેવડ નથી. ફિલ્મના અંતમાં અંનત વેલણકર તો ‘સર, મૈંને રામાશેટ્ટી કો માર દિયા’ બોલીને પોતાનું પૌરુષ પાછું મેળવી લે છે, પણ સાથેસાથે, આપણા કપાળ પર નપુંસકનું લેબલ મોટા અક્ષરે લગાડતો જાય છે. ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી, એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.

( હિંદી કવિતા)

Comments (9)