હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઑક્તોવિયો પાઝ

ઑક્તોવિયો પાઝ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પાણીની કૂંચી – ઑક્તાવિયો પાઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
.           ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઑક્તાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે.

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ કવિતા આખા પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે.

કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
.           Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

Comments (2)

મારા હાથ – ઓક્તોવિયો પાઝ અનુ.- નલિન રાવળ

મારા હાથ
નિરાવરણ કરે છે તારા દેહ ને
આચ્છાદે છે તને અધિક નગ્નતામાં
તારા દેહમાંના દેહોને ખોલે છે
મારા હાથ
શોધે છે તારા દેહ અર્થે અન્ય દેહ

– ઓક્તોવિયો પાઝ અનુ.- નલિન રાવળ

My hands
open the curtains of your being
clothe you in a further nudity
uncover the bodies of your body
My hands
Invent another body for your body

આ પ્રકારના ઘણા કાવ્યો પાઝે રચ્યા છે તેમાંનું આ સૌથી વિખ્યાત છે. પ્રેમીનો જાદુઈ સ્પર્શ પ્રિયતમાએ અદ્યપિ કદી ન અનુભવેલા પોતાની કાયાના જ અનભિજ્ઞ સ્પંદનો ઝંકૃત કરવા સમર્થ છે. શારીરિક સંપર્કની તદ્દન અલગ જ કક્ષાએ કવિ લઇ જાય છે…….

Comments (9)

પ્રેમની પાર- ઓક્તોવિયો પાઝ – અનુ.- નલિન રાવળ

આપણે માટે પ્રત્યેક પદાર્થ ભયપ્રદ છે.
છેદે છે સમય મારા વિગત અને અનાગતને
કરી મૂકે છે મને છિન્નભિન્ન
જેમ
સર્પને ખંજર કટકે કટકે છેદી નાખે,
અને તમે –
જેને તૂરીનો કોઈ ઘોષ તોડી ન શકે એવી
પોકળ દીવાલો
અસંખ્ય ખંડિત ચિત્રોવાળું સ્વપ્ન
કે પયગંબરી વાણીના છાકવાળી લવરી
કે નહોર-દાંત વાળો પ્રેમ
કશું જ આપણે માટે પૂરતું નથી
આપણીયે પાર
પ્રાણ અને મહાપ્રાણની સરહદ રેખા ઉપર
અતીવ ચૈતન્યમય એવું જીવન
આપણને આવકારી રહ્યું છે
બહાર રાત્રિ પાસે છે – લંબાવે છે,
ઉષ્માભર્યા પર્ણો,પ્રતિસ્પર્ધી દર્પણો,
એની પારદર્શક ત્વચા છેદાઈ જાય
જે અંધ છે
તે જુએ છે
શબ્દો : ચૈતન્યની વિસ્તીર્ણ માયાજાળ –
હું
ફળો,નહોરો,નેત્રો
પસાર થવા મથતાં શરીરો
આ બધાંથી ભરી રાત્રિ બહાર ભાસે છે – લંબાવે છે

ફીણભર્યા કાંઠાની બહાર તમારો પગ ઉઠાવો,
આ જીવન કે જે જીવન શું તે જાણતું નથી
અને
જે તમને પ્રેરે છે રાત્રિને સમર્પિત થવા,
હાંફતી-ધબકતી ધવલતા, ઓહ વિભક્ત તારક,
સવાર તરફ પલ્લું નમાવતો રોટલાનો ટુકડો,
આ સમય અને અનંત સમય વચ્ચેનો
મૂર્ત વિરામ.

– ઓક્તોવિયો પાઝ

અભિવ્યક્તિ જરા અટપટી છે…. મૂળ વાત છે શબ્દોની નિરર્થકતાની અને મિથ્યા પ્રેમની મોહજાળ ની… fear -ભય -એ આપણાં જીવનને સતત ગ્રસે છે. નહોર અને દાંત વાળો પ્રેમ પ્રેમીજનને જ ખાઈ જાય છે. અહી મિથ્યા પ્રતિબિંબોને પ્રસરાવતા પ્રતિસ્પર્ધી દર્પણો છે. સર્વત્ર મોહ રાત્રિ પથરાઈ છે. ‘જે અંધ છે તે જુએ છે’- આ વાચાળ વિરોધાભાસ ઉપનિષદવાક્ય યાદ કરાવી દે છે-બોલનાર જાણતો નથી અને જાણનાર બોલતો નથી…. મૂર્ત સમય દર ક્ષણે આપણને છેદે છે,છળે છે.

આ સઘળું અતિક્રમીને આપણે પ્રાણ અને મહાપ્રાણ ની સરહદ રેખા ઉપર જે અતીવ ચૈતન્યમય જીવન છે ત્યાં પહોંચવાની યાત્રા પ્રારંભવાની છે…..

આ તો થઈ theory – ઘણીવાર વિચાર આવે કે બધા જ વિચારકો આ જ વાત કરે છે. આ વાતની practical applicability કેટલી ? શું આ વાત કોઈ નક્કર હકીકત છે કે ઠાલાં પોથીમાંનાં રીંગણાં ? – આ વાતનો જવાબ મને કંઈક આવો અનુભવાય છે- દરેક વ્યક્તિની અંગત યાત્રા તેની ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ ઉપર અવલંબે છે. જેને પ્રશ્નો થશે તે જવાબ શોધશે….

Comments (1)

અંગત અંગત : ૧૩ : વાચકોની કલમે – ૦૯

કોઈ એક કવિતા કે કાવ્યાંશના કારણે શું કોઈ માણસની આખી જિંદગી, જિંદગી તરફનો અભિગમ બદલાઈ શકે ખરો ? એક કવિની ભીતરની બારી શું ખુલીને આકાશ થઈ શકે ખરી? તો ચાલો, આજે જોઈએ મુકુલ ચોક્સીની કબૂલાત…

*

સૂર્યઘટિકાયંત્ર

પ્રણય એટલે પોતાના બધા નામો
એક્સાથે ઉતરડી નાખવા તે:
મને યાદ આવે છે મેડ્રિડ 1937
એંજલનો ચોકમાં સ્ત્રીઓ
પોતાના બાળકો સાથે સીવતી’તી ને ગાતી’તી
ત્યારે ઓચિંતી બૂમરાણ સંભળાઈ’તી ને સાયરનો ચીસી ઊઠી’તી
જ્યારે મકાનોને ધૂળ ચાટતા કરાયા’તા
ઈમારતોના ચહેરા ભાંગતા’તા
અને વિમાનોના યંત્રોનો સતત ઝંઝાવાત
બે વ્યક્તિઓએ પોતાના કપડા ફાડી નાખ્યા
અને સ્નેહ સંભોગ કર્યો
ઊગારી તેવા માટે શાશ્વતીના આપણા હિસ્સાને
સમયના અને સ્વર્ગના આપણા હિસ્સાને ઊગારી લેવા માટે,
આપણા મૂળિયા સુધી છેક ઊંડે જઈને આપણને તારવા માટે,
હજારો વર્ષ પહેલાં જીવનના લૂંટારાઓ આપણી પાસેથી જે
જીવનનો વારસો ચોરી ગયા હતા તે વારસાને બચાવી લેવા માટે
પેલા બન્નેએ પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં અને બાથ ભીડી દીધી
કારણ કે જ્યારે બે નગ્ન, નિઃસ્વાર્થ વ્યક્તિઓ ભેગી મળે છે
ત્યારે તેઓ સમયની આરપાર ઊડી જાય છે અને અભય બની રહે છે
કંઈ કરતાં કંઈ પણ તેમને સ્પર્શી શકતું નથી
ત્યાં કોઈ હું કે તું નથી, કે નથી આવતીકાલ
ગઈકાલ કે નથી નામો,
હું મારા ઉન્માદને, ઓરડીઓને, ગલીઓને અનુસરું છું
સમયની પરસાળોમાં હું ફંફોસતો ફંફોસતો ભમું છું
હું પગથિયા ચડું છું ને ઊતરું છું
હલનચલન વગર હું દીવાલો માટે આથડું છું
જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછો ફરું છું
હું તારો ચહેરો ઢૂંઢૂં છું
એક અનાદિ સૂર્ય તળેની મારી પોતાની
હયાતિની ગલીઓમાં હું પળું છું અને તું મારી પડખે
ચાલે છે એક વૃક્ષની જેમ
તું નદીની જેમ ચાલે છે,
મારા હાથમાં એક ખિસકોલીની જેમ તું સ્પંદે છે
તું ઊડે છે સેંકડો પંખીઓની જેમ, તારું હાસ્ય
મને પાણીના છંટકાવની જેમ ભીનાવે છે,
તારું માથું મારા હાથમાં એક નાનકડો તારલો છે
તું જ્યારે સંતરું ખાતાં ખાતાં હસે છે ત્યારે દુનિયા
ફરી હરિયાળી બની જાય છે.

– ઑક્તોવિયો પાઝ
(અનુ. જગદીશ જોષી)

એ જમાનો કોલેજકાળનો હતો, સ્વ. સુરેશ જોષીની અસરમાં પશ્ચિમના કવિઓના કાવ્યો વાંચવાનો હતો, નેરુદા, લોકૉ, યેસેનીન, હાલાન અને વાસ્કો પોપાના કાવ્યો મમળાવવાનો હતો. ત્યારે આ બધા કવિઓની ભાષાપ્રચૂરતા જોઈને દંગ રહી જવાતું. એ કાળ સંવેદનોનો, સંબંધોનો અને તીવ્ર લાગણીઓના ઊછાળનો કાળ હતો. પ્રણયની આવેશમય અનુભૂતિઓથી મન સતત તરંગિત રહેતું. ત્યારે સ્વ. જગદીશ જોષી  દ્વારા લેટિન અમેરિકન કવિ ઓક્તોવિયો પાઝની આ દીર્ઘ કવિતાનો તૃતીય એવો ગુજરાતી અનુવાદ વાંચવામાં આવ્યો. સંવેદનાઓની અતિશયોક્તિ શું હોઈ શકે તે આ કાવ્ય પરથી સમજાયું. એટલું જ નહીં, જીવનના અનુભવોને અતિક્રમી જઈને જીવન તથા ભાષાના બેવડા પટ ઉપર હિલોળા લેવાનો અવર્ણનીય અનુભવ આ કાવ્ય કરાવે છે. આ કવિતાએ કવિતા અંગેના મારા નાનકડા વિઝનને ખૂબ ખૂબ મોટું અને વિશાળ કરી નાંખ્યું. ઉપર પેશ છે એમાંની જ કેટલીક પંક્તિઓ…

-મુકુલ ચોક્સી

Comments (7)