પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નરસિંહ મહેતા

નરસિંહ મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સારમાં સાર અબળા તણો – નરસિંહ મહેતા

(રાગ : કેદારો)

સારમાં સાર અવતાર અબળા તણો,
જે બળે બળભદ્ર-વીર રીઝે;
પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી?
તેણે નવ નાથનુ કાજ સીઝે. સારમાંo

મુક્તિ પર્યન્ત તો પ્રાપ્તિ છે પુરુષને,
સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે,
તે નહીં નારી-અવતાર પાખે. સારમાં o

ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ,
ગાપિકા ચરણરજતેહ વંદે;
ગેાપીથી આપનુ અધમપણું લેખવે,
નરપણું નવ રુચે, આપ નં(નિ)દ. સારમાંo

વેદ- વેદાંત ને ઉપનિષદ ખટ મળી,
જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે,
અહર્નિશ અનુભવ-સંગ લીધો. સારમાંo

સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા!
પ્રણમું હું, પ્રાણપતિ ! પાણ જોડી;
પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યુ ફરે,
ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. સારમાંo

– નરસિહ મહેતા

શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની અનેક રીતોમાંની પ્રમુખ તે પ્રેમલક્ષણા ભક્તિની રીત. અને એમાંય કૃષ્ણની પ્રેમિકા-પત્ની બનવાની ઝંખા ઉમેરાય તો તો સોનામાં સુગંધ ભળે. પ્રેમ ગમે એટલો ઉત્કૃષ્ટ કેમ ન હોય અને પ્રેમનો સ્વીકાર પણ ગમે એટલો સંપૂર્ણ કેમ ન હોય, સ્ત્રી અને પુરુષ જે રીતે એકમેકમાં ઓગાળી જઈ શકે છે, એ રીતે બે પુરુષ કદી એકાકાર થઇ શકતા નથી. એટલે જ પરાપૂર્વથી પુરુષ કવિઓ ઈશ્વરારાધના સ્ત્રી બનીને કરતા આવ્યા છે. નરસિંહ પણ આ જ મતના છે. દયારામની જેમ એમના પણ અસંખ્ય પદોમાં નારીભાવે સમર્પણ જોવા મળે છે.

નરસિંહ કહે છે કે લેવા જેવો કોઈ અવતાર હોય તો તે અબળાનો છે, કેમકે એના જ બળે કૃષ્ણને રિઝવી શકાય છે. વર્ણસગાઈને વધુ અસરદાર બનાવવા માટે કવિ શ્રી કૃષ્ણને બળભદ્રના વીર કહે છે એમાં સાચું કવિકર્મ ઝળકે છે. પુરુષને પણ મુક્તિ તો પ્રાપ્ત થઈ શકે છે પણ ચૌદ ભુવનનો નાથ સામે ચાલીને નોહરા કરે, આજીજી કરે એ તો સ્ત્રી અવતારને જ નસીબ થઈ શકે ને?

ઇન્દ્ર વગેરે દેવો અને મહામુનિઓને પણ ગોપીભાવ હાંસિલ નથી, પરિણામે ગોપિકાની ચરણરજ તેઓ માટે વંદનીય છે. પોતાને સ્વામીથી અલગ રાખતું પોતાનું નરપણું એમને રુચતું નથી. વેદ-ઉપનિષદોમાં જે રસ પ્રગટ થયો છે, એ તો ભાગ્યની બળવાન ભામિની સાથ-સંગાથના અનુભવમાંથી અહર્નિશ મેળવે છે. નરસિંહનું સ્વપ્ન છે કે પોતે આ ગોપીભાવ, અબળા-અવતાર પ્રાપ્ત કરે, અને એ માટે જ જેમ પેંધું પડી ગયેલું જાનવર જે રીતે પૂંઠે પૂંઠે ફર્યે રાખે એમ હાથ જોડીને તેઓ શ્રી કૃષ્ણની પાછળ પાછળ ફરી રહ્યા છે…

સરવાળે, પ્રેમલક્ષણા ભક્તિનું એક અમર પદ…

ઝૂલણાના આવર્તનોની સંગીતાત્મકતાની સાથોસાથ કવિનું ક્રિયાપદ-બાહુલ્ય, પંક્તિએ પંક્તિએ રણકતી વર્ણસગાઈઓ અને આંતરપ્રાસ વગેરે પર એક નજર કરીશું તો સમજાશે શા માટે આપણો આ આદિકવિ આટઆટલી સદીઓના વહાણાં વાઈ ગયાં હોવા છતાં હજીય કવિશ્રેષ્ઠ ગણાય છે!

Comments (4)

નિરખને ગગનમાં – નરસિંહ મહેતા

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!
.                નિરખને ગગનમાંo

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમ સંજીવન મૂળી!
.                નિરખને ગગનમાંo

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાનાં પારણાં માંહી ઝૂલે!
.                નિરખને ગગનમાંo

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
.                નિરખને ગગનમાંo

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે!
.                નિરખને ગગનમાંo

– નરસિંહ મહેતા

જ્ઞાન અને ભક્તિ -બંનેનું સંમિશ્રણ. ઈશ્વરને શોધવો હોય તો નજર આપોઆપ ઉર્ધ્વગામી થઈ જાય. સાચા દિલથી શોધીએ તો सः अहम નો નાદ સંભળાવા માંડે. નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું ઉત્તમ ભક્તિકાવ્ય છે.

Comments (1)

જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……

Comments (6)

(પૉસ્ટ ૨૦૦૦ +) આજની ઘડી રળિયામણી…

સખી ! આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે…..સ0

પૂરો પૂરો, સોહાગણ ! સાથિયો રે,
મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે…..સ0

સખી ! લીલુડા વાંસ વઢાવીએ રે,
મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે…..સ0

સખી ! મોતીડે ચોક પુરાવીએ રે,
આપણા નાથને ત્યાં પધરાવીએ જી રે…..સ0

સખી !  જમનાજીના નીર મંગાવીએ રે,
મારા વહાલાજીના ચરણ પખાળીએ જી રે…..સ0

સહુ સખીઓ મળીને વધાવીએ રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે…..સ0

સખી ! રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે…..સ0

– નરસિંહ મહેતા

‘લયસ્તરો’ની અનવરત મુસાફરીમાં આજે એક નવો માઇલ સ્ટૉન ઉમેરાઈ રહ્યો છે… ગયા અઠવાડિયે જ લયસ્તરોએ ૨૦૦૦ પૉસ્ટ પૂરી કરી… પણ કવિશ્રી વિપિન પરીખની કવિતાઓ મૂકવાનું થયું એટલે એ ઉજવણી પડતી મૂકી… આમેય લયસ્તરો પર મૂકાતી દરેક કવિતા પોતે જ એક ઉત્સવ છે, ખરું ને ?

ઇન્ટરનેટ ઉપર ગુજરાતી કાવ્યવિશ્વમાં આ ઘટના પહેલવહેલીવાર આકાર લઈ રહી છે એનો આનંદ છે પણ આ સફરમાં આપ સહુ અમારા હમસફર બનીને સતત સાથે ને સાથે જ રહ્યા છો એનો આનંદ સવિશેષ છે… આજની આ રળિયામણી ઘડી પર આદ્ય કવિ નરસિંહ મહેતાના આ ગીત સિવાય બીજું શું સૂજે ભલા?

ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)

Comments (29)

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

– નરસિંહ મહેતા

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે.  નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.  નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે…

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

Comments (10)

હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા

હળવે   હળવે   હળવે  હરજી  મારે   મંદિર   આવ્યા  રે;
મોટે    મોટે    મોટે    મેં    તો    મોતીડે    વધાવ્યા    રે.     ૧

કીધું    કીધું    કીધું    મુને    કાંઇક    કામણ    કીધું    રે;
લીધું    લીધું    લીધું    મારું    મન    હરીને    લીધું   રે.      ૨

ભૂલી   ભૂલી   ભૂલી   હું   તો   ઘરનો   ધંધો   ભૂલી   રે;
ફૂલી   ફૂલી   ફૂલી   હું   તો    હરિમુખ    જોઇ    ફૂલી   રે.      ૩

ભાગી   ભાગી   ભાગી  મારા  ભવની ભાવટ ભાગી રે;
જાગી  જાગી   જાગી   હું   તો   હરિને   સંગે   જાગી  રે.      ૪

પામી  પામી  પામી  હું  તો   પૂરણ   વરને   પામી  રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.       ૫

– નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ અતિ જાણીતું ભક્તિપદ એના સશક્ત લય અને લહેકાને લીધે સહજ આસ્વાદ્ય બની રહે છે. દરેક કડીમાં એક જ શબ્દના ત્રણ-ત્રણવાર કરાતા આવર્તનને વળી કડીના અંતે એજ શબ્દ સાથે સાંકળી લેવાતા મધુરો સૂર જન્મે છે. દરેક શબ્દનું આ ત્રણવારનું પુનરાવર્તન ત્રણ લોકના સ્વામીને સમાવી લેવાનો આડકતરો ઈશારો તો નથીને? વળી મંદિર શાનું? હરિ પધાર્યા એટલે જ આ જીવતરનું કાચું ઈંટ-માટીનું મકાન મંદિર બને છે ને !

Comments (5)

જળકમળ છાંડી… – નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?

‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.

– નરસિંહ મહેતા

લયસ્તરોના વાચકવૃંદને જન્માષ્ટમી મુબારક…!

Comments (10)

પ્રેમરસ પાને તું – નરસિંહ મહેતા

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0

મારીને  મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.  પ્રેમ0

મેં  ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો  સપને ન આવે. પ્રેમ0

-નરસિંહ મહેતા

Comments (4)

ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

ભોળી   રે  ભરવાડણ  હરિને  વેચવા  ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી.       ભોળીo

અનાથના   નાથને   વેચે   આહીરની  નારી;
શેરીએ-શેરીએ  સાદ પાડે : લ્યો કોઈ મોરારિ.       ભોળીo

મટુકી     ઉતારી,    માંહી    મોરલી   વાગી;
વ્રજનારીને    સેજે    જોતાં   મૂરછા   લાગી.       ભોળીo

બ્રહ્માદિક  ઇન્દ્રાદિક  સરખા  કૌતક  એ  પેખે;
ચૌદ   લોકના   નાથને  કાંઈ  મટુકીમાં  દેખે.       ભોળીo

ગોવાલણીના   ભાગ્યે   પ્રગટ્યા  અંતરજામી;
દાસલડાંને  લાડ   લડાવે   નરસૈંનો  સ્વામી.       ભોળીo

– નરસિંહ મહેતા

દહીં વેચવા નીકળેલી ભોળી ભરવાડણ ‘મહી લ્યો’ કહેવાને બદલે ‘લ્યો કોઈ મોરારિ’ એમ બૂમો પાડતી શેરીએ શેરીએ ફરે છે. કૃષ્ણમાં લયલીન કૃષ્ણમય ગોપીને એટલે જ મટુકીમાં દહીંના સ્થાને શ્રી હરિ નજરે ચડે છે. ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ઊર્મિગીતમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ગોપી-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં ભક્તકવિએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.

Comments (6)

નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નારાયણનું નામ જ લેતાં
                      વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
                      લક્ષ્મીવરને ભજીયે રે…

કુળને તજીએ, કુટુંબને તજીયે,
                      તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
                      જેમ તજે કંચુકી સાપ રે…

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
                      નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
                      નવ તજીયા શ્રીરામ રે…

ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
                      તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
                      પામી પદારથ ચાર રે…

વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
                      સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
                      મોહનવરશું મ્હાલી રે…

તળાજામાં જન્મેલા અને જૂનાગઢના વતની ‘આદિકવિ’ નરસિંહ મહેતા (1414-1480) ગુજરાતની પ્રેમલક્ષણા ભક્તિપરંપરાની તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના પહેલા ઉત્તમ કવિ છે. એમના 1200 જેટલાં પદો અને ઝૂલણા છંદમાં લખેલાં પ્રભાતિયાંઓએ એમને અમરત્વ આપ્યું છે અને આપણી ભાષાને રળિયાત કરી છે. કૃષ્ણ ભક્તિ, જ્ઞાન-ભક્તિ, વૈરાગ્ય અને ખાસ તો પોતાના જ જીવનના પ્રસંગો પર આધારિત એમના કાવ્યો ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયાં છે.

Comments

વૈષ્ણવજન -નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

Comments (2)