હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રફુલ્લ દવે

પ્રફુલ્લ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ખેલ- પ્રફુલ્લ દવે

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.

ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.

ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.

કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.

કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.

રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.

પ્રફુલ્લ દવે

વ્યવસાયે ન્યાયાધીશ એવા આ કવિએ માનવ જીવનની નિયતિનું, માનવની અવશતાનું આ ચિત્ર રજુ કર્યું છે. અને માટે જ ‘આ ક્ષણમાં જ જીવવાનો‘ મંત્ર બહુ સૂચક અને મંગળદાયક અર્થ ધારણ કરે છે.

Comments

વમળ – પ્રફુલ્લ દવે

‘હા’ અને ‘ના’ નું જ છળ!
કેટલી નાજૂક પળ !

આપણે ‘ને લાગણીઓ,
કેટલાં ઊંડાં વમળ!

’હું’ અને ‘તું’ સામસામે !
આયના કેરું જ છળ!

ડૂબવાનું શબ્દ સાથે,
તળ વિનાનું અર્થનું જળ!

દોડતી ક્ષણ ખોલી જોયું,
કોઇ ના પકડાઇ કળ!

પ્રફુલ્લ દવે

તેમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ કાવ્યસંગ્રહ ‘પડઘાતું મૌન’માંથી.

Comments (1)

હું – પ્રફુલ્લ દવે

કદિ એક ‘હું’ માંહે ‘હું’ છેદ પાડે;
બને વાંસળી ‘હું’, અને ‘હું’ વગાડે.

કદિ એક ‘હું’ સૂર્ય થઇને પ્રકાશે;
સકલ સૃષ્ટિનાં જીવતરને જીવાડે.

બેસી રસોડે જમે ‘હું’ નિરાંતે;
બની માત ‘હું’ જાતે ‘હું’ને જમાડે.

કદિ એક ‘હું’ વ્યાસપીઠે બીરાજે;
કદિ એક ‘હું’ સામે બેસીને ધ્યાવૈ.

રમે રાસ ‘હું’ સૃષ્ટિ સાથે નિરંતર;
બળે હાથ ‘હું’ નો અને ‘હું’ જ બાળે.

નિરંતર રહે ‘હું’ ને ‘હું’ ની પ્રતિક્ષા;
અહીં ‘હું’ ને ‘હું’ બોર એંઠા ચખાડે.

અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.

– પ્રફુલ્લ દવે

આ પ્રફુલ્લ દવે જાણીતા લોકસંગીતના ગાયક નહીં પણ અમદાવાદમાં રહેતા, ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ છે. એમને મળવું હોય તો ભાવનગરની ‘બુધ સભા’ માં અને અમદાવાદના શનિવારી ‘ સાહિત્ય ચોરામાં’ મોટાભાગે મળી જાય.કવિતા વાંચવા સાંભળવામાં રસ રાખે છે એટલું જ નહીં જાતે સુંદર રચનાઓ કરે છે પણ ખરા. મોટાભાગે થોડાક જ વખત પહેલાં તેમનો કાવ્ય સંગ્રહ પણ છપાયો છે.

જે લોકો ‘હું’ને છોડી દેવાની વાત કરે છે, તે ‘હું’ શું છે તે જાણતા જ નથી. આપણે જેને જાણતા જ ન હોઇએ તેને છોડી કેવી રીતે શકીએ?‘હું’ની બરાબર ઓળખ આપતી તેમની આ ગઝલ મારી પ્રિય ગઝલ છે. તેમાં શ્રીકૃષ્ણ , વેદ વ્યાસ, નરસિંહ મહેતા અને શબરીને ‘હું’ ની સાથે ખરી ખૂબીથી વણી લીધા છે. જ્યારે આપણા ‘હું’નું તાદાત્મ્ય આ બધા ‘હું’ ના સ્વરૂપો સાથે થાય છે, ત્યારે આપણા ‘હું’ ને ત્યજવાનું નહીં પણ તેની સાથે એકાકાર થઇ જવાનું કવિ ઇજન આપે છે. અહમ્ તો આ રીતે જ ઓગળે.

Comments (6)