હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શબ્દસપ્તક

શબ્દસપ્તક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત

વ્હાલબાવરીનું ગીત

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

-રમેશ પારેખ

એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ.

શબ્દ સપ્તકની આજે આ સાતમી અને આખરી કડી છે… ર.પાના ખજાનામાંથી ભારે જહેમતથી પસંદ કરેલા આ સાત મોતી લયસ્તરો તરફથી ર.પા.ને અમારી શબ્દાંજલિ છે….

Comments (1)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

-રમેશ પારેખ

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

-રમેશ પારેખ

કોઈ એમ રખે માની લે કે રમેશ પારેખ એ માત્ર મમ્મી-પપ્પાનો જ ઈજારો છે. બાળકોની દુનિયામાં તહલકો મચાવી દેનારા બાળગીતોનું પણ એમણે સફળ સર્જન કર્યું છે. ખરું કહું તો એમના હાથમાં કંઈક એવી ગારુડી હતી કે શબ્દોના નાગ આપમેળે જ વશ થઈ જાય. નથી માનવી અમારી વાત? લ્યો ત્યારે… વાંચો આ બાળગીત અને પછી કહો કે….

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?

વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

– રમેશ પારેખ

મીરાંને અદેખાઈ આવી જાય એ સરળતાથી અને સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે. આ કાવ્યો એટલાં તો હૃદયાભિમુખ છે કે આપણાં પોતાનાં જ લાગે. સુરેશ દલાલ તો આગળ વધીને કહે છે કે: ‘ર.પા.ના મીરાંકાવ્યો એટલાં સહજ અને સ્વભાવિક છે કે એ કાવ્યોની નીચે ખુદ મીરાંને પણ સહી કરવાનું મન થાય’.

Comments (2)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય

આલા ખાચરનું ‘આપણું તો…..’

ભવાયા આવીને કે’ :
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
-હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે ‘દીકરીના આણાં અટક્યા છ્ !
અફીણ ખાઉં.’
કાઢી દીધો પગનો તોડો,
નગદ સોનાનો:
‘જા હાળાં, કર્ય આણાં…..’

નગરશેઠે પગ ઝાલ્યા :
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં :
‘લ્યો, રાખો મૂછનાં પાણી….’

આપણું તો એવું.
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
ઠકરાણાં ક્યે :
‘સૌને દીધું, અમને?
અમે વાંઝિયાં.’
‘લ્યો, ત્યારે’
– એમ કહીને દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.

000

રામજી લુવાર ઊભો છે.
કે’છે : ‘ઘરાક આવ્યું છ્, બાપુ….!
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર ?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે….’

આપણું તો એવું…..
દઈ દીધી !
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.

આલા ખાચરના પાત્રનિરૂપણ વડે ર.પા.એ સૌરાષ્ટ્રની ભગ્નાવશેષ બાપુશાહીના ભવાડાઓ અને વિડંબનાઓને કલમની તલવારથી જનોઈવઢ વાઢ્યાં છે. સપનામાં બાપુ ક્યાં રાચે છે તે તો જુઓ: ભવાઈ કરનારાં જાણે બાપુ વિના ભવાઈ જ કરવાનાં ન હોય એમ બાપુ બે ગામ લખી દે છે. કણબીને દીકરીનું આણું કરવા માટે નકદ સોનાનો તોડો આપી દે છે તો નગરશેઠને ગાડાં ભરી સંપત્તિ લૂંટાવે છે. પાછાં કહે છે કે માંગનાર મૂંઝાય, આપનાર નહીં ! નપુંસક બાપુ તો સપનામાં ઠકરાણીને પણ એક કહેતાં બબ્બે દીકરા આપવાના મૂડમાં હતાં, પણ કમબખ્ત આંખ જ ખૂલી ગઈ….સપનામાં ‘માંગ-માંગ, માંગે તે આપું’ના રાજાપાઠમાં રાચનાર બાપુની વરવી વાસ્તવિક્તા તો એ છે કે બાપદાદાની નિશાની અને પડી પડી સડી ગયેલી નિરુપયોગી સામંતશાહીના પ્રતિક સમી કાટ ખાધેલી તલવાર બારતેર રુપિયામાં વેચી દેવાની નોબત આવી ઊભી છે. અહીં કટાયેલી તલવાર નથી વેચાતી, ઈજ્જત વેચાઈ રહી છે અને તોય સિંદરી બળે પણ વળ ન છૂટે ના ન્યાયે બાપુનો ‘દઈ દીધી’નો હુંકાર ર.પા.ની કાવ્યસિદ્ધિ છે.

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય

ફૂલનો વિશ્વાસ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

– રમેશ પારેખ

શબ્દસપ્તકની બીજી કડીમાં આજે અછાંદસ કૃતિ આસ્વાદીએ. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. એક ગઝલમાં જાણે આ વાતથી વાકેફ હોય એમ એમણે કહ્યું છે:
‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું – ત્યાં જ અનુકૂળ પવન.’

Comments (7)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

-રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.

રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2

Comments (12)

રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ….

પ્રિય મિત્રો,

રમેશ પારેખની હસ્તી જળમાંથી નીકળી જતી આંગળી જેવી ન્હોતી કે આંગળી કાઢો અને જગા પૂરાઈ જાય. ર.પા. નામનો ખાલીપો ગુજરાતી ભાષાએ હવે સદાકાળ વેઠવાનો છે. ર.પા.ને દિલથી શ્રદ્ધાંજલિ આપવી હોય તો શું કરી શકાય? વિચારતાં અમને એવું જણાયું કે ર.પા.ના કવિ તરીકેના સાત અલગ-અલગ રંગોથી વાંચકોને રંગી શા માટે ન દઈએ? તો, લયસ્તરો પર અમે એક અઠવાડિયા સુધી દરરોજ એકના હિસાબે ર.પા.ના કાવ્યોના સાત રૂપ લઈને હાજર થઈશું. પણ એ પહેલાં લયસ્તરો પર ર.પા.ની અત્યાર સુધી પ્રકાશિત કૃતિઓ શા માટે ફરીથી ન માણીએ?

લયસ્તરો પર ર.પા.ની અગાઉ પ્રગટ થયેલી રચનાઓ:

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
તમે હાથ હેઠા કરી દ્યો હવે
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય
ચરણ મારાં તારા ભણી હોય છે
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
કંઈક તો થાતું હશે…
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
ગઢને હોંકારો તો કાંગરાય દેશે
પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે

Comments (6)