પક્ષી હો કે માણસ, ‘પાગલ’;
પાંખો આવી? વીંધો વીંધો!
– વિરલ દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હસમુખ પાઠક

હસમુખ પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કવિનું મૃત્યુ – હસમુખ પાઠક

ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા આજ ઠંડા પહોરના.
જોઉં છું હું, જોઉં છું હું.
જોઉં છું – જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું.
જંપું અહીં.

– હસમુખ પાઠક

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત ધારદાર રીતે રજૂ કરે અને જેમાંથી એકેય શબ્દ આમતેમ કે વધઘટ ન શકાય. આ રચના જુઓ. ‘કવિનું મૃત્યુ’ શીર્ષક ઘણું કહી જાય છે અને ગાડીના સીટ-બેલ્ટની જેમ આપણને કવિતાની બમ્પી-રાઇડ માટે તૈયાર પણ કરે છે. વહેલી સવારની ઠંડકમાં એક ઉંદર કોઈક સાથેની ઝપાઝપી બાદ મરણ પામ્યો હશે તે ચોકમાં એનું શબ હજીય પડી રહ્યું છે. કોઈએ એ શબ હટાવવાની તસ્દી લીધી નથી. કવિ પણ ઠંડા પહોરે ઘટેલી આ ઘટનાને ઠંડા કલેજે જોઈ રહ્યા છે. ‘જોઉં છું હું’ની ત્રિરુક્તિ ઘટનાને ‘કેવળ’ સાક્ષીભાવે જોવાની ક્રિયાને દૃઢીભૂત-અધોરેખિત કરે છે, પણ ત્રીજીવાર ‘જોઉં છું’ની વાત કરતી વખતે કવિએ હોંશિયારીપૂર્વક ‘હું’ને તિલાંજલિ આપી દીધી છે એ જોયું? બનેલી બીના વિશે કશું જ કર્યા વિના કેવળ મૂક દર્શક બનીને જોયા કરવાની ક્રિયા એ હદે લંબાય છે કે કર્તાનો લોપ થઈ જાય છે. અને પછી તો આ નપુંસક જોવું પણ લોપ પામે છે, જ્યારે કવિ કહે છે – ‘જોતો નથી.’ સામે પડેલ ઉંદરનો મૃતદેહ સામે જ મંડાયેલ હોવા છતાં નજર સાવ ખાલી થઈ જાય છે. હૃદયમાં કોઈ કંપ કે ખટકો સુદ્ધાં અનુભવાતો નથી. કવિ જ્યાં બસ કરું કહીને જંપવાની વાત કરે છે, ત્યાંથી આપણો અજંપો ન પ્રારંભાય તો સમજવું કે આ મૃત્યુ એ કેવળ કવિનું મૃત્યુ નથી, આપણે પણ મરી જ ચૂક્યા છીએ. હૈયું ફાટી પડવું જોઈએ એવી અનેક (દુર્)ઘટનાઓ આજે સરાજાહેર થતી રહે છે, પણ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો સક્રિય બનીને દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થવાના સ્થાને રીલ ઉતારીને ફોરવર્ડ કરવામાં મચ્યા રહે છે… આ મૃત્યુ હકીકતમાં કવિનું નહીં, આખેઆખા સમાજનું મૃત્યુ છે.

આ રચના અછાંદસ નથી, હરિગીતમાં લખાયેલ છે. એનું મોટેથી પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments (5)

એટલો – હસમુખ પાઠક

એટલો તને ઓળખ્યો, વહાલા
ઓળખું જરાય નહીં,
લાખ લીટીએ લખું તોયે
લખ્યો લખાય નહીં – એટલો.

સૂરજ-તાપની જેટલો તીખો
અડયો અડાય નહીં,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહીં – એટલો.

યુગ યુગોની ચેતના જેવડો
વરણ્યો વરણાય નહીં
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહીં – એટલો.

અંતર-આરત જેટલો ઊંડો
ખેંચ્યો ખેંચાય નહીં
વ્રેહની વેદના જેટલો ભૂંડો
વેચ્યો વેચાય નહીં – એટલો.

– હસમુખ પાઠક

મધ્યકાલીન ગીતોની પ્રણાલિમાં બેસે એવું મજાનું ગીત.

Comments (1)

ઠાકોરજી – મા – હસમુખ પાઠક

એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !

આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.

જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !

તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.

માના શબ્દથી
ઠાકોરજી મા થયા.

– હસમુખ પાઠક

હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.

Comments (3)

દીવાલ – હસમુખ પાઠક

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.

રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.

રોજ કાન માંડું,
તને સાંભળવા.

મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.

ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

– હસમુખ પાઠક

વિરહની વ્યથાની અહીં વાત નથી, માત્ર વિરહની હકીકતની વાત છે. વિરહની સામે એક જ સત્યાગ્રહ ચાલી શકે અને એ છે વહાલનો સત્યાગ્રહ. આ વાત અહીં બહુ સરસ રીતે કરી છે. 

Comments (3)

30 જાન્યુ. 2000 -હસમુખ પાઠક

વીસમા   શતકે   કાંધે   લીધી   સૌ
                માંધાતાની   લાશ,
પણ   હ્રદયે  કેવળ ધર્યો નર્યો એક
                માણસ મોહનદાસ.

Comments

રાજઘાટ પર – હસમુખ પાઠક

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી –

– હસમુખ પાઠક

Comments