ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
વિવેક મનહર ટેલર

વાતો ખાલી વાતો છે – સુરેશ પરમાર ‘સૂર’

વાતો ખાલી વાતો છે, જાત અનુભવ બાકી છે;
આ મત્લાને જો સમજો તો દાસ કબીરની સાખી છે.

પેલો સાચો, પેલો ખોટો, પેલાને કંઈ ભાન નથી;
સાલું મારું મન પણ કેવું ગામ આખાનું કાજી છે!

નિઃશબ્દે પહોંચો તો પામો વ્યાધિમાંથી છૂટકારો;
શબ્દોમાં બસ દુઃખ ભૂલવાની પીડા-શામક ફાકી છે.

માનો નહિ પણ કેવળ બે જણ બેઠા છે મયખાનામાં;
વાંસેથી દેખાતો હું, ને સામે ચહેરે સાકી છે.

તું તારા પોતીકા કંઠે શ્વાસને ઢાળી ગાજે ‘સૂર’,
રાગની ચિંતા નહિ કરવાની ‘કેદારો’ યા ‘કાફી’ છે?

– સુરેશ પરમાર ‘સૂર’

‘સાખી’ શબ્દ ‘સાક્ષી’નું તદ્ભવ રૂપ છે અને ‘સાક્ષી’ શબ્દ ઉતરી આવ્યો છે ‘સાક્ષ્ય’ પરથી, જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ જ્ઞાન. અર્થાત્ એ જ્ઞાન જે સહુ જોઈ શકે છે અથવા પામી શકે છે. પણ સાખી કબીરના દોહામાં જ હોય એ જરૂરી નથી. વાત કરતાં આવડે તો ગઝલનો શેર પણ સાખી બરાબર હોઈ શકે. જાત અનુભવ વિના બધું નકામું એ જૂની અને જાણીતી વાતને કબીરની સાખી સાથે સાંકળતો મત્લા મને સ્પર્શી ગયો. સરવાળે આખી ગઝલ માણવા જેવી થઈ છે.

9 Comments »

  1. કમલ પાલનપુરી said,

    June 22, 2023 @ 11:36 AM

    મત્લા ખૂબસરસ
    આખી રચના ગમી
    સાખી વાળી વાત ગમી
    ખૂબસરસ રચના

  2. દિનેશ ડોંગરે નાદાન said,

    June 22, 2023 @ 12:59 PM

    સુરેશ પરમારની ગઝલમાં તસવ્વુફનો રંગ અધિકાંશ જોવા મળે છે. એમની ગઝલમાં ગંભીર ચિંતન અને શેરીયત નો સમન્વય સધાય. હું એમની લગભગ તમામ ગઝલોમાં થી પસાર થયો છું આ ગઝલ પણ એનું ષ ઉત્તમ પ્રમાણ છે.

  3. વિક્રમ ખિડકીકર said,

    June 22, 2023 @ 1:32 PM

    સુરેશભાઈની ગઝલ ચિંતનાત્મક હોય છે. તેમની ગહન સાધના ધ્યાન શબ્દસ્વરુપે રચાય છે.
    લોકો ચોરે ને ચૌટે ક્ષણે ક્ષણે શાણપણની વાતો સલાહ સુચનો કરતા જોવા મળે છે પણ ૧% જેટલુ પણ પોતાનામાં ગ્રહણ કરેલુ હોતું નથી. આ વાતને કેટલી સરળતાથી સૂર સાહેબે કરી છે!!!

  4. Bharati gada said,

    June 22, 2023 @ 2:11 PM

    વાહ ખૂબ સુંદર ગઝલ, ખૂબ સરસ આસ્વાદ

  5. શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' said,

    June 22, 2023 @ 4:26 PM

    ખુબ સરસ ચિંતનાત્મક ગઝલ..સુંદર શબ્દોનું ચયન આદરણીય સુરેશભાઈ

  6. pragnajuvyas said,

    June 22, 2023 @ 9:29 PM

    ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ સાથે કવિશ્રી સુરેશ પરમાર ‘સૂર’ની તસવ્વુફ રંગી ગઝલ માણતા યાદ આવે
    ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,
    આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે! ખલીલ ધનતેજવી
    સૂફી તસવ્વુફના સિદ્ધાંતોમાં પહેલી બાબત છે કે: ‘શુકર ગુઝાર બન્દે કભી ભી શિકાયત નહીં કરતે…’ અને બીજી બાબત છે: ‘સબ્ર બખુશી હો, બમજબુરી ન હો વાત તેમના દરેક શેરમા મણાય છે.
    મક્તા તું તારા પોતીકા કંઠે શ્વાસને ઢાળી ગાજે ‘સૂર’,
    આ પ્રેમની વાત વધુ બોલાતા અને ઓછામાં ઓછા સમજાતા આ શબ્દ ચર્ચામાં હરહંમેશ હાજર, પણ આચરણમાં ભાગ્યે જ! ત્યારે સૂરજી કહે છે-રાગની ચિંતા નહિ કરવાની ‘કેદારો’ યા ‘કાફી’ છે?

  7. Harihar Shukla said,

    June 23, 2023 @ 11:18 AM

    સરસ ગઝલ👌
    આ મત્લાને … જરા મુખર મિસરો લાગ્યો.

  8. Sandip Patel Kasak said,

    June 23, 2023 @ 3:38 PM

    ખૂબ સુંદર ગઝલ સાથે અસરકારક આસ્વાદ…

  9. Poonam said,

    June 29, 2023 @ 8:04 PM

    વાતો ખાલી વાતો છે, જાત અનુભવ બાકી છે;
    આ મત્લાને જો સમજો તો દાસ કબીરની સાખી છે.
    – સુરેશ પરમાર ‘સૂર’ – Waah !

    Aaswad saras sir ji.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment