યશોધરા – વિજય રાજ્યગુરુ

બુદ્ધ બનીને આવો –
પ્હેલી ભિક્ષા લેવા પગલાં મારે દ્વારે લાવો
સ્વામી! બુદ્ધ બનીને આવો…

સુત-દારાને સૂતાં મૂકી, તસ્કર પેઠે છટ્ક્યા!
વાત ન કીધી, રજા ન લીધી, એ વર્તન મન ખટ્ક્યા!
હવે આંખથી રીસ વહી ગઈ, કરપાતર લંબાવો!
સ્વામી! બુદ્ધ બનીને આવો…

તમે જગત માટે ઘર ત્યાગ્યું, એ જ માપથી માપું!
ઘડપણનો આધાર ધરી દઉં, રાહુલ તમને આપું!
સુન્ન ભવનમાં, ખાલી મનમાં, રણઝણ જ્યોત જગાવો!
સ્વામી! બુદ્ધ બનીને આવો…

પ્હેલી ભિક્ષા લેવા પગલાં મારે દ્વારે લાવો
સ્વામી! બુદ્ધ બનીને આવો…

– વિજય રાજ્યગુરુ

સૂતેલાં પત્ની-પુત્ર અને સંસારનો ત્યાગ કરીને એક રાત્રે રાજકુમાર સિદ્ધાર્થ મહાભિનિષ્ક્રમણ પર નીકળી પડ્યા અને બુદ્ધ બનીને પરત ફર્યા ત્યારે પોતાના જ ઘરે પોતાની જ પત્ની પાસે ભિક્ષા માંગવા આવે છે. યશોધરા બુદ્ધને ભિક્ષામાં એકનો એક પુત્ર રાહુલ આપી દે છે… એક પત્નીના આવી ક્ષણના મનોમંથનની ઘડીને કવિએ અહીં નાનકડા ગીતમાં સ-રસ રીતે વાચા આપી છે.

યશોધરા બુદ્ધને ભિક્ષુકજીવનની પ્રથમ ભિક્ષા માંગવા પોતાના જ આંગણે આવવા અનુરોધ કરે છે. ભિક્ષા લેવા બુદ્ધ આવે છે પણ યાચના યશોધરા કરે છે. કદાચ આ જ કારણોસર અજંટાની ગુફામાં આ પ્રસંગચિત્રમાં દાતા યશોધરા-રાહુલને યાચક બુદ્ધ કરતાં નાનાં ચિતરવામાં આવ્યાં હશે! યશોધરા પહેલાં તો ચોરની જેમ પોતાને સૂતાં મૂકીને ભાગી ગયેલ સ્વામીને ફરિયાદ કરે છે. પણ આખરે તો એ સ્ત્રી છે, પત્ની છે, ને એટલે જ ક્ષમાની મૂર્તિ પણ છે. બુદ્ધનું વર્તન એને ખટક્યું હોવા છતાં એની પ્રતીક્ષામાં એની બધી જ રીસ-ગુસ્સો આંસુ બનીને વહી ગયાં છે… એટલે જ બિલકુલ બુદ્ધભાવે એ બુદ્ધને એનું કરપાત્ર ભિક્ષા માટે આગળ લંબાવવાનું કહી શકે છે… એ તથાગતને એનીજ માપપટ્ટીથી માપે છે. તથાગતે જગત માટે ઘર છોડ્યું હતું, યશોધરા બુદ્ધ માટે પોતાનો ઘડપણનો એકમાત્ર આધાર સમર્પી દે છે. પતિ તો ગયો… પુત્ર પણ જવાનો… પણ સર્વસ્વ આપી દીધા બાદ પણ માત્ર એકવાર બુદ્ધના પાવન પગલાં થાય તો ન માત્ર સૂનું ભવન, મન પણ જ્યોતિર્મય બની જાય…

6 Comments »

  1. JAFFER said,

    May 4, 2018 @ 6:05 AM

    સ્વામી! બુદ્ધ બનીને આવો…

  2. SARYU PARIKH said,

    May 4, 2018 @ 9:16 AM

    બહુ જ સુંદર રચના.
    સરયૂ પરીખ

  3. vimala said,

    May 4, 2018 @ 7:09 PM

    વિજય રાજ્યગુરુનું વિજયવંત ગીત.

  4. Girish Parikh said,

    May 4, 2018 @ 7:10 PM

    વિજય રાજ્યગુરુનું વિજયવંત ગીત.

  5. Chitralekha Majmudar said,

    May 5, 2018 @ 4:12 AM

    કેતલો ત્યાગ , કેતલેી તપસ્યા……સુન્દર ગેીત…આભાર….

  6. Jugalkishor said,

    May 5, 2018 @ 5:04 AM

    એક જાણીતા હિન્દી કવિએ ધ્રુવપંક્તિમાં જ વેદના ઠાલવી છે ઃ “સખી, વો મુઝસે કહેકર જાતે !”
    સરસ ગુજરાતી રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment