હું સમયથી પર થવાનાં યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે.
– ચિનુ મોદી

કોણ કરે ? – સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
ઘર-દીપ બુઝાવી નાખીને, નભ-દીપને રોશન કોણ કરે?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુઃખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક,
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે?

વિખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન તું રહેવા દે,
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?

જીવનની હકીકત પૂછો છો? તો મોત સુધીની રાહ જુઓ,
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે?

લાગે છે કે સર્જક પોતે પણ કંઈ શોધી રહ્યા છે દુનિયામાં,
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે!

છે હોઠ ઉપર એક સ્મિત સતત, ને આંખ હસે છે ‘સૈફ’ સદા,
દિલને તો ઘણાં દુઃખ કહેવાં છે, પણ દિલનું નિવેદન કોણ કરે?

-સૈફ પાલનપુરી

7 Comments »

  1. વિવેક said,

    April 1, 2013 @ 1:36 AM

    વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
    પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

    આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
    એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

    – આ બે શેર તો કોલેજકાળના પ્રાણપૂરક શેર જાણે… !

  2. perpoto said,

    April 1, 2013 @ 3:11 AM

    સૂરજ એક અફવા છે
    તારાઓ ગણગણે

  3. narendrasinh chauhan said,

    April 1, 2013 @ 4:25 AM

    જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
    જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ? અતિ સુન્દર

  4. Maheshchandra Naik said,

    April 1, 2013 @ 2:29 PM

    પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધા જ્યારે હોય છે ત્યારે આવી સુંદર રચના પ્રાપ્ત થાય છે,સરસ ગઝલ, દરેક શેર લાજ્વાબ…………………….

  5. Pravin Shah said,

    April 3, 2013 @ 12:24 AM

    અતિ સુંદર !
    દરેક શેર લાજવાબ !

  6. Nisha said,

    April 5, 2013 @ 4:28 AM

    એક સપનુ જે દિવસે મારિ સાથે રહે …રાત થતા મારિ સાથે સુવે.
    હકિકત નિ દુનિયા મા જિવતુ રહે…એક સપ્નુ જે મારિ સાથે રહે.

  7. Jigar said,

    April 8, 2016 @ 2:06 PM

    masterpiece !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment