કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.
રઈશ મનીઆર

સપનાં – નીતિન મહેતા

ક્યારેક આપણા સપનાંને
ઝાંખપ વળે
કરચલીઓ પડે
વળી ક્યારેક સપનાં
થરથર કાંપે
ડગુમગુ ચાલે
પણ પ્રવાસ ન છોડે

ક્યારેક આ સપનાં
રોજરોજ સૂર્યપ્રકાશમાં
આપણા કેટલાયે
વિચારોને તરછોડી દે
ને કયારેક
સૂર્યકિરણની જેમ એક ડાળેથી
બીજી ડાળે ફર્યા કરે

જોકે સપનાં
ક્યારેક બરફ
ક્યારેક ધુમ્મસ
ક્યારેક વરાળ
ક્યારેક તરસ
ક્યારેક સત્તા
ક્યારેક શોષણ
સપનાં
ક્યારેક સજાવાય
ક્યારેક દેખાડાય
ક્યારેક ડહોળાય
ક્યારેક છીનવાય

તો સપનાં
ક્યારેક છબીમાં તડ પાડે
ક્યારેક વાતોમાં રંગ પૂરે
ક્યારેક મોઢાનું નૂર હરે

આ સપનાંઓની કોઈ ઓળખ?
હા, એ થોડા સાઈકોસોમેટિક
ને એના મરણની પણ વસંત.

– નીતિન મહેતા

સપનાં-પુરાણ એ માનવીપણાનો આખોય ઈતિહાસ છે. સપનાં જોતા શીખ્યા પહેલા જે પ્રાણી હતો, એ સપનાં જોતા શીખ્યા પછી માનવ થયો. સપનાંએ આપણને અઢળક આશાથી ભરી દીધા અને એ સપનાંએ જ નિરાશા શું એ સોટી મારીને શીખવાડ્યું. સપનાં બધા સુખોમાં ઉત્તમ સુખ છે અને સપનાં જ બધા દુ:ખોમાં સૌથી તીણું દુ:ખ છે. જે એને પાર કરી જાય એ તો ઓલિયો થઈ જાય.

(સાયકોસોમેટિક = એવી બિમારી જેનું કારણ ખાલી માનસિક જ હોય)

5 Comments »

  1. dipika said,

    June 14, 2012 @ 6:04 AM

    અદભૂત!! સપ્ન વિશે લખાયેલુ તો પણ સત્ય!! 😉

  2. Rasila Kadia said,

    June 14, 2012 @ 6:56 AM

    આખરેી લીટી બહુ ગમી-ં
    મરણની વસન્તની કલ્પના સુન્દર

  3. વિવેક said,

    June 14, 2012 @ 7:54 AM

    સ-રસ !

  4. pragnaju said,

    June 14, 2012 @ 8:08 AM

    સુંદર રચનાનો મધુરો આસ્વાદ માણતા યાદ આવે
    સપનાંને લાગે છે આછેરો થાક !
    મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

    પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
    આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
    નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
    હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

    રેતી પર ટળવળતી માછલીઓ જેમ
    કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
    દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
    હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

    – જગદીશ જોષી

  5. urvashi parekh said,

    June 14, 2012 @ 10:01 AM

    સરસ રચના.
    સરસ રીતે સપનાઓ ને વર્ણવાયા છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment