અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
સૈફ પાલનપુરી

ઝેન ગઝલ – જવાહર બક્ષી

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે

ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે

મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે

‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે

તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે

આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં…હું સંભળાઉં રે

– જવાહર બક્ષી

આ ગઝલ એક અનુભવ છે. અને અનુભવમાંથી તો પસાર થવાનું હોય. એને સમજવાની જીદ ન કરાય.

ગઝલ એબસ્ટ્રેક્ટ છે. પણ એનું બંધારણ ઘણું કહી જાય છે. સાંકળીને જેમ ગુંથેલા શેર આડકતરી રીતે બધી ચીજો એકબીજા સાથે કેવી જીવનચક્રમાં ગુંથાયેલી છે એ ઈંગિત કરે છે. શરુઆતમાં જે ખિસકોલીના અવાજમાં ખેંચાઈ જતા’તા એ અવાજમાં છેલ્લે કવિને પોતાનો જ અવાજ સંભળાય છે. એ વાત ફરી સમજાવે છે કે આ આખું ચક્ર ફરી ફરીને એ જ જગાએ આવવાનું છે.

કોઈને આ ગઝલમાં જન્મથી મૃત્યુ સુધીની વાત દેખાશે તો કોઈને એક દિવસની ગતિવિધિ દેખાશે. ને વળી કોશિશ કરશો તો પ્રેમ, મિલન અને જુદાઈનું ઝીણું ચિંતન પણ મળી આવશે. કોઈએ એબસ્ટ્રેક્ટ કવિતાને મેળામાં જોવા મળતા વક્રસપાટીવાળા રમૂજી અરિસા સાથે સરખાવી છે. પહેલા તો પ્રતિબિંબ એટલું વિચિત્ર લાગે કે થાય કે આ વળી શું છે ? પણ, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે એ તમારું પોતાનું જ પ્રતિબિંબ છે.

3 Comments »

  1. સ્વાતિ said,

    April 26, 2012 @ 4:50 AM

    વાહ … આવું જ કૈંક અહીં પણ…

    બનતું હોય છે

    કોઈ નથી ઉપાય છતાં બનતું હોય છે
    મારા ઉપરનું આભ તૂટી પડતું હોય છે

    મારા ઉપરનું આભ તૂટી પડતું હોય છે
    તે જોઈ આસપાસ કોઈ રડતું હોય છે

    તે જોઈ આસપાસ કોઈ રડતું હોય છે
    રડતું ય હોય છે ને કોઈ હસતું હોય છે

    રડતું ય હોય છે ને કોઈ હસતું હોય છે
    એક દ્વાર બેઉ બાજુ અહીં ખૂલતું હોય છે

    એક દ્વાર બેઉ બાજુ અહીં ખૂલતું હોય છે
    ભીતર બહાર બેઉને એ અડતું હોય છે

    ભીતર બહાર બેઉને એ અડતું હોય છે
    જે બેઉમાંથી એકને અણગમતું હોય છે

    જે બેઉમાંથી એકને અણગમતું હોય છે
    કોઈ નથી ઉપાય છતાં બનતું હોય છે

    – ભરત વિંઝુડા (‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ પ્રકાશિત ૨૦૦૬)
    http://bharatvinzuda.com/2011/03/06/bantu-hoy-chhe/

  2. pragnaju said,

    April 26, 2012 @ 5:06 AM

    ઝેન ધર્મની સરળ વાત
    બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
    ખિસકોલીના અવાજમાં…હું સંભળાઉં રે
    સ રસ
    આપણે નાની વાતમા અનુભવીએ.જેમકે ઝેન ધર્મની ફિલસૂફી પાળો. ઝેન ધર્મવાળા ડૉકટરો ‘શું કામ ધીમે ખાવું? તેના પાંચ સોલિડ કારણો આપે છે. પહેલી વાત તો તમે ખાવા બેસો પછી પેટમાં જે નાખો તે ખોરાકનું સેન્સેશન મગજમાં ૨૦ મિનિટે પહોંચે છે. તમને ત્યાં સુધી ખબર નથી પડતી કે પેટ ભરાયું છે. જે ધીમે ધીમે ચાવીને ખાય છે તેના મગજને સંદેશો જલદી મળતાં તેમને ‘ધરાવા’ની ખબર પડે છે. તમે ઉતાવળે જમો તો ખોરાકને એન્જોય કરી શકતાં નથી.આ વિચાર પણ અનુભવ્યો…એક મોટી ભ્રમણા છે કે વ્યાયામ કરવાથી કે જિમ્નેશિયમમાં જવાથી વજન ઘટે છે પરંતુ ઊલટાનું તેનાથી ખોરાક વધે છે. વધેલા વજનવાળા માત્ર યોગાસન (સાદા) કરે અને માત્ર પાંચ મિનિટ ધીમા ધીમા શ્ર્વાસ લેતા ચાલે.
    યાદ આવે
    ચૂપ બેઠા રહેવું
    કશું ન કરવું
    વસંત આવે
    અને ઘાસ ઊગે આપમેળે.
    – અનામી
    બધા ધર્મ ચેતના માટે ભારે તપ અને ત્યાગનો મહિમા કરે છે. જ્યારે ઝેન વિચારધારામાં સાક્ષાત્કાર માટે બને તેટલું ઓછું કરવાનો મહિમા છે. મનમાં કશું સત્વશીલ ઊગે એ પહેલા બે વાત થવી જોઈએ ચૂપ બેસવું અને કશું ન કરવું. વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આ તો ઘ્યાનની વ્યાખ્યા થઈ.
    આ નાનકડા સૂત્રમા આખી ઝેન વિચારધારાનો નીચોડ સમાયો છે.

  3. dr>jagdip said,

    April 27, 2012 @ 10:33 AM

    બાસુંદી ગળી જ સારી લાગે…તેમા લીબુ નીચોવવાથી
    કે વઘાર કરવાથી સ્વાદીષ્ટ નથી બનતી, પછી ભલે
    એ સુવર્ણ પાત્રમાં પિરસો…..આ મારો અંગત અભિપ્રાય છે…..

    કદાચ હું વધુ પડતો પ્રયોગશીલ નથી…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment