તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

મળે ન મળે -‘આદિલ’ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

-‘આદિલ’ મન્સૂરી

16 Comments »

  1. chiragparmar said,

    July 17, 2005 @ 10:55 AM

    nice, your effort of promote gujarati poem makes this blog ,ore important. I have website http://www.chiragkparmar.tripod.com If you allow me and teach me how can I write on my website gujarati I wish to publish gujarati poem on my website.

  2. Suhag Patel said,

    June 1, 2006 @ 12:13 PM

    I am really happy to c gujarati on net. keep up the good work.

  3. Neela Kadakia said,

    May 18, 2007 @ 12:50 AM

    સુંદર ગઝલ છે.

  4. વતનની ધુળથી માથું ભરી લઉં ..... « કાવ્ય સુર said,

    May 18, 2007 @ 4:29 AM

    […] Posted by સુરેશ જાની on May 18th, 2007 ‘નદીની રેતમાં રમતા નગર’ માં ઉછરેલા આ શાયર કહે છે – […]

  5. Sandeep Dave said,

    May 18, 2007 @ 9:30 AM

    આ તમમ જોઇને ઘનો આન્દ ર્થયો…

  6. COL G T PARIKH said,

    October 22, 2007 @ 1:26 PM

    ADIL BHAI, HAD READ THIS ‘NAZAM/GAZAL ABOUT 30 YRS BACK. THE EVENTS CAUSING RIGMAROLE WERE WITNESSED BY ME CLOSELY. PRESENTLY I AM IN USA. LAND LINE TEMP PHONE NO. 7135892234. IT WILL BE A GREAT PLEASURE IF YOU CAN CALL ME. IN FACT I HAD LEARNT FROM UNKNOWN SOURCE THAT YOU ARE RESIDENT OF HERE & WAS CONFIRMED THROUGH “TAHUKO”, THANX TO “TAHUKO” FOR THAT. YOUR “…… FARI A CHAHERA MITHI NAJAR MALE NA MALE” IS STILL RINGING IN MY EARS.. AFFECTIONATELY YOURS–G.T… (IT IS REQUESTED TO “TAHUKO” & DHAVAL BHAI IF THIS MESSAGE CAN BE FETCHED TO ADIL BHAI PLEASE. THIS CAN BE A REUNION OF LONG LOST ACQUAINTANCE).

  7. COL G T PARIKH said,

    October 22, 2007 @ 1:28 PM

    ADIL BHAI, HAD READ THIS ‘NAZAM/GAZAL ABOUT 30 YRS BACK. THE EVENTS CAUSING RIGMAROLE WERE WITNESSED BY ME CLOSELY. PRESENTLY I AM IN USA. LAND LINE TEMP PHONE NO. 7135892234. IT WILL BE A GREAT PLEASURE IF YOU CAN CALL ME. IN FACT I HAD LEARNT FROM UNKNOWN SOURCE THAT YOU ARE RESIDENT OF HERE & WAS CONFIRMED THROUGH “TAHUKO”, THANX TO “TAHUKO” FOR THAT. YOUR “…… A HASTA CHAHERA MITHI NAJAR MALE NA MALE” IS STILL RINGING IN MY EARS.. AFFECTIONATELY YOURS–G.T… (IT IS REQUESTED TO “TAHUKO” & DHAVAL BHAI IF THIS MESSAGE CAN BE FETCHED TO ADIL BHAI PLEASE. THIS CAN BE A REUNION OF LONG LOST ACQUAINTANCE).

  8. મન્સૂરી તાહા said,

    November 6, 2008 @ 10:12 AM

    આઘાત સમાચાર :

    આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા અને “મળે ન મળે” ના રચયિતા
    “આદિલ મન્સૂરી” નું દુ:ખદ અવસાન થયેલ છે.
    તેમના અવસાનથી ગુજરાત સાહિત્યમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

    વતનની ધૂળથી માથુ ભરી લે ‘આદિલ’,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

    કંટક છવાયેલી રહી જીવન સફર ભલે,
    મ્રુત્યુ પછી તો ફુલ ની ચાદર તને મળે.

  9. Pinki said,

    November 6, 2008 @ 10:36 AM

    હમણાં જ ૨૦ મિનિટ પહેલાં જ આ દુખદ સમાચાર મળ્યાં.

    ખુદા તેમના આત્માને શાંતિ બક્ષે !!

  10. Mansi said,

    November 6, 2008 @ 3:32 PM

    સમાચાર વાંચી ને ખૂબજ આઘાત અને દુ:ખ ની લાગણી અનુભવી રહી છુ.

    I was lucky enough to meet him personally. And in past few years those precious moments came often. I will always cherish those memories for rest of my life.

    ભગવાન એમના આત્મા ને શાંતી આપે!

    Regards,
    Mansi

  11. Dilraj said,

    November 7, 2008 @ 10:31 AM

    ભૈઇ વાહ મઝા આવિ !!!

    ફરિ એક વાર હદય ભરઇ આવ્યુ .. જિવનનિ સત્ય હકિકતથિ હુ ફરિ એક વાર વકિફ થયો ,
    ફરિ લાગ્યુ કે હુ હજિ એક મહેમન જ છુ, કયારે જવુ પડે કોને ખબર ? લાવ ફરિ એક વાર ગિલા શિકવા દુર કરિ લવ, ફરિ એક મોકો પાછો મલે કે ના મલે…

    લિ. દિલરાજ ( દિલિપ મકવાના)

  12. manisha said,

    November 10, 2008 @ 6:41 AM

    “વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.”

    કણ કણ ને ,પલ પલ ને જીવ્યા આપ્,
    જડ ને ચેતન અર્પ્યું શબ્દો ના સ્પર્શ થકી.

    આપને ભાવભીની શબ્દાંજલી………મનીષા.

  13. Girish Parikh said,

    November 21, 2009 @ 2:39 PM

    આદિલની ગઝલોનો આનંદઃ ૭

    વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

    આદિલજીના “મળે ન મળે” પુસ્તકમાંની ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ નો આ છેલ્લો શેર એમના જીવનનો શિરમોર શેર છે.

    આદિલજી સાથેના મારા પરિચયની શરૂઆત આ શેરથી થએલી અને ધીમે ધીમે હું એમની સાથે આત્મિયતા અનુભવવા માંડેલો. એ અનુભવ મને જીવનભર યાદ રહેશે.

    નિમિત્ત બન્યા મારા મિત્ર ઈશ્વરભાઈ પટેલ અને અશરફ ડબાવાલા. શિકાગોમાં અમારા ઘર પાસે રહેતા ઈશ્વરભાઈએ એમના પુત્રના છૂટાછેડા અને એને લીધે ત્રાસ પામતાં નિર્દોષ પૌત્ર પૌત્રી વિષે અમદાવાદથી રજનીકુમાર પંડ્યાને અમેરિકા બોલાવી “પુષ્પદાહ” નામની નવલકથા લખાવી હતી. ઈશ્વરભાઈને મેં પ્રેરણા આપેલી અને મદદ પણ કરેલી. “પુષ્પદાહ” નું એપ્રિલ ૧૯૯૬માં ન્યૂયોર્કના ગુજરાતી સમાજના કાર્યક્રમમાં વિમોચન થવાનું હતું. ઈશ્વરભાઈ સાથે હું ન્યૂયોર્ક ગયો અને એ, રજનીકુમાર અને હું એમના સગાને ત્યાં ન્યૂ જર્સીમાં રહ્યા.

    ગુજરાતી સમાજના કાર્યક્રમમાં મુશાયરો પણ હતો. “પુષ્પદાહ” ના વિમોચન વખતે હું બોલેલો એટલે મુશાયરા વખતે મને મંચ પર બેસવાનું મળ્યું. આ લખું છું ત્યારે મે ૩, ૧૯૯૬ના “ન્યૂઝ ઈન્ડિયા ટાઈમ્સ” માં પ્રગટ થએલી મુશાયરાની તસ્વીર મારા ટેબલ પર છે. એમાં જમણી બાજુ પહેલા છે આદિલજી, અને પછી છે શકુર સરવૈયા, ઈન્દ્ર ગુહ્યા, ચન્દ્રકાન્ત શાહ, અને ગિરીશ પરીખ. (સાથે મારાં કેટલાંક કાવ્યો હું લઈ ગએલો પણ મને એ વખતે કોઈ ઓળખતું નહોતું એટલે કાવ્યપઠનની તક મળેલી નહીં. એ તકો પછી મને અશરફે શિકાગો લેન્ડમાં યોજેલા મુશાયરાઓમાં મળેલી — આદિલજી એમાંના ઘણા ખરા મુશાયરાઓમાં મુખ્ય શાયર હતા એ મારાં સદભાગ્ય.)

    આદિલજીનાં પ્રથમ દર્શન થયાં મને એ ન્યૂ યોર્કના મુશાયરમાં. એમની ગઝલોનું પઠન રાત્રે મોડે થવાનું હતું. ન્યૂ જર્સીના અમારા યજમાનને ત્યાં બહુ મોડા ન પહોંચાય એટલે અમે વહેલા નીકળી ગયા અને આદિલજીને સાંભળવાનો લહાવો મને ન મળ્યો!

    પણ નીકળતી વખતે મારી નજર એક મોટા અક્ષરોમાં લખાએલી સાઈન પર પડી. આદિલજીને મે ૧૮, ૧૯૯૬ના રોજ ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, અને એમના થનારા સન્માન સમારંભની એ જાહેરાત હતી. આદિલજીનું મેં પહેલાં નામ સાંભળેલું પણ એમની ગઝલોનો ખાસ પરિચય નહોતો. એ જાહેરાતમાં નીચેનો શેર મારા હૈયાને સ્પર્શી ગયોઃ

    વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

    (વધુ આ શ્રેણીના ભાગ ૮માં)

    એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

    (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
    ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૨૧, ૨૦૦૯
    The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

  14. Girish Parikh said,

    November 23, 2009 @ 2:29 PM

    આદિલની ગઝલોનો આનંદઃ ૭ – અ
    (ભાગ ૮ના બદલે આ ભાગનો ક્રમ ૭ -અ આપ્યો છે.)

    વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

    આ શ્રેનીના ભાગ ૭માં મેં લખેલું કે “આદિલજી સાથેના મારા પરિચયની શરૂઆત આ શેરથી થએલી… નિમિત્ત બન્યા મારા મિત્ર ઈશ્વરભાઈ પટેલ અને અશરફ ડબાવાલા.”

    મારે ઉમેરવું જોઈએ કે રજનીકુમાર પંડ્યા પણ નિમિત્ત બન્યા. વાસ્તવમાં તો આ શ્રેણી લખવામાં પણ હું એમને જ નિમિત્ત ગણું છું. ગુજરાતીમાં લખવાનો બાળપણથી જ મને ખૂબ રસ. હાઈસ્કૂલ અને કોલેજનાં વર્ષો દરમિયાન ઘણું લખ્યું, અને એમાંનું મોટા ભાગનું અનેક સામયિકોમાં પ્રગટ પણ થયું. “ટમટમતા તારલા” નામના મારા બાલગીત સંગ્રહને સરકારી ઈનામ પણ મળ્યું.

    પણ ૧૯૬૭માં અમેરિકા આવ્યા પછી અંગ્રેજીમાં જ લખવાનું શરૂ થયું. ૧૯૯૪-૧૯૯૫ ના અરસામાં શિકાગો આવેલા રજનીકુમારના સંપર્કમાં આવ્યો, અને એમની “કુંતી” અને બીજી નવલકથાઓ, વગેરે વાચીને ગુજરાતીમાં લખવાનું ફરી શરૂ કરવાની પ્રેરણા મળી — જાણે ગુજરાતીમાં સર્જક તરીકે મને નવો અવતાર મળ્યો!

    અને ભાગ ૭માં જણાવ્યા મુજબ રજનીકુમારની “પુષ્પદાહ” નવલકથાના વિમોચન પ્રસંગે મારે ન્યૂ યોર્ક જવાનું થયું અને ત્યાંના કાર્યક્રમના મુશાયરામાં મને આદિલજીનાં પ્રથમ દર્શન થયાં.

    આદિલજી સાથે મારે આત્મીયતા થવા માંડી એમાં અશરફ કઈ રીતે નિમિત્ત બન્યા? આદિલજીને ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, અને એમનો સન્માન સમારંભ ન્યૂ યોર્કમાં યોજાયો હતો એ મેં ભાગ ૭ માં જણાવ્યું છે. ઈચ્છા તો થઈ ગઈ મને એ કાર્યક્રમમાં આવવાની પણ એ શક્ય નહોતું. અશરફ એ કાર્યક્રમમાં આવેલા, અને આદિલજીની એ વખતની સમગ્ર ગઝલો અને કાવ્યોના સંગ્રહ (હું માનું છું કે એનું એ કાર્યક્રમમાં વિમોચન થએલું) “મળે ન મળે” ની આદિલજીએ ઓટોગ્રાફ કરેલી કેટલીક નકલો શિકાગો લઈ આવ્યા. એક નકલ એમણે મારા પર ભેટ તરીકે મોકલી.

    “મળે ન મળે” નું હું વાંચવા માંડ્યો — કેટલાક શેર વાંચતાં રડી પડેલો — અને આદિલજીના શબ્દો દ્વારા એમના તરફ વધુ અને વધુ ખેંચાવા માંડ્યો.

    (વધુ “આદિલની ગઝલોનો આનંદઃ ૭ -બ” માં)

    એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

    (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
    ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૨૩, ૨૦૦૯
    The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

  15. Girish Parikh said,

    November 24, 2009 @ 12:33 PM

    આદિલની ગઝલોનો આનંદઃ ૭ – બ

    “નદીની રેતમાં રમતું નગર મળે ન મળે” — આદિલજીના જીવનની આ શિરમોર ગઝલ છે. આદિલજીએ માત્ર આ એક જ ગઝલ લખી હોત તો પણ એ ગુજરાતી સાહિત્યમાં અમર થઈ જાત.

    “લયસ્તરો” (www.layastaro.com) બ્લોગ પરની “આપણી યાદગાર ગઝલો” શ્રેણીમાં આ ગઝલને પોસ્ટ કરતાં વિવેક મનહર ટેલર લખે છેઃ

    “મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા ૧૯૪૮માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ
    સાંભળોઃ
    https://layastaro.com/?cat=6&paged=16

    “આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.”

    આ ગઝલ વિષે આખું પુસ્તક લખી શકાય. પણ હવે એના શિરમોર સમા અંતિમ શેર
    “વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે”
    વિષે હ્રદય ખોલીને વાતો કરવી છે.

    (વધુ “આદિલની ગઝલોનો આનંદઃ ૭ – ક” માં)

    એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

    (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
    ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૨૪, ૨૦૦૯
    The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

  16. Girish Parikh said,

    November 24, 2009 @ 7:07 PM

    આદિલની ગઝલોનો આનંદઃ ૭ – ક

    વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

    સંસ્ક્રુતમાં એક સૂત્ર છેઃ

    जननी जन्मभूमिस्च स्वर्गादपी गरियसी

    જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધુ વહાલાં હોય છે.

    મને યાદ આવે છે મા શારદામણીદેવી (શ્રી રામક્રુશ્ણ પરમહંસદેવનાં પત્ની જેમને એ માતા ગણતા હતા) ના જીવનનો એક પ્રસંગ. સમગ્ર વિશ્વનાં માતા ગણાતાં મા શારદામણીદેવીએ એક વખત જમીનને મસ્તક અડાડી ઉપરનું સૂત્ર કહ્યું હતું.

    અને સ્વ. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ જે એ વખતે રામક્રુશ્ણ મઠના જનરલ સેક્રેટરી હતા એમની સાથેનો પ્રંસંગ યાદ આવે છે. કોલકતા પાસેના બેલૂર મઠમાં એમનાં દર્શન કર્યા પછી મેં એમને પૂછ્યું કે એમનું વતન કયું? રાજકોટના રામક્રુશ્ણ આશ્રમના એ ઘણાં વર્ષો સુધી પ્રેસીડેન્ટ હતા એટલે મેં ધારેલું કે એ ગુજરાતના હશે. “માટી તો અહીંની [બંગાળની] જ છે!” એમણે તરત જ ગુજરાતીમાં જવાબ આપ્યો.

    વતન-પ્રેમ દેવીઓ અને સાધુઓને પણ હોય છે. સ્વામી વિવેકાનંદને ભારત માટે કેટલો બધો પ્રેમ હતો.

    આદિલજીને સાબરમતી નદીની રેતમાં રમતા વતન અમદાવાદ માટે અને ગુર્જરી ભાષા માટે અનહદ પ્રેમ છે. અને એ ભાષાપ્રેમે જ એમને વતન છોડવાના સંકટમાંથી બચાવ્યા. સહજ રીતે એમના હાથે આ ગઝલ લખાઈ, અને એણે એમને ચમત્કારિક રીતે સહાય કરી.

    ગુજરાતની બહાર, અને ખાસ કરીને પરદેશમાં, (અને ગુજરાતમાં) વસતા ગુજરાતીઓના હ્ર્દયને ગઝલનો અંતિમ શેર સ્પર્શી જાય છે. ઘણાની આંખોમાંથી આંસુ પણ ટપકે છે. માત્રુભાષામાં એક અદભૂત ગઝલ અને એના અંતિમ શેર દ્વારા આ મહાન શાયરે સૌના હ્રદયમાં માત્રુભૂમિનો (અને માત્રુભાષા માટેનો) પ્રેમ છલોછલ ભરી દીધો છે.

    આપણને આવા મહાન શાયર મળ્યા એ આપણાં સદભાગ્ય છે. આદિલજીને કોટિ કોટિ પ્રણામ.

    એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

    (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
    ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૨૪, ૨૦૦૯
    The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment