પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.
શૂન્ય પાલનપુરી

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

Chandresh Makwana_Vruksh nathi vairagi

(લયસ્તરો માટે ચંદ્રેશ મકવાણાના પોતાના હસ્તાક્ષરમાં એમનું મનગમતું ગીત)

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

વૃક્ષના ત્યાગ અને સમર્પણની વાત કોઈ કરે તો લાગે કે કદાચ હજારમી વાર આ વાત સાંભળીએ છીએ પણ વૃક્ષ વૈરાગી નથી, સંત નથી એવી વાત કોઈ કરે તો બે ઘડી આંચકો લાગે કે નહીં ? જિંદગીની કલ્પી ન શકાય એવી તડકી-છાંયડી નિહાળીને આપબળે ઊભા થયેલા ચંદ્રેશ મકવાણા અમદાવાદમાં હાલ શિક્ષક તરીકે સેવા બજાવે છે. વૃક્ષને સંત તરીકે જોવાની આપણી દૃષ્ટિનો છેદ ઊડાડી કવિ આખા ઘટનાચક્રને સમયની બલિહારી ગણાવે છે. કદાચ આપણી વચ્ચે સંત થઈને જીવતા કેટલાક લોકોની આ વાત છે જેઓ સમયના કે સંજોગોના માર્યા વૈરાગી બને છે…

15 Comments »

  1. sunil shah said,

    January 24, 2009 @ 5:29 AM

    ચંદ્રેશભાઈના મુખે અગાઉ સાંભળેલું સરસ મઝાનું ગીત.
    તેમનો ગઝલ સંગ્રહ પણ ‘વૃક્ષ નથી વૈરાગી’ નામે તૈયાર થઈ રહ્યો છે.

  2. ડો.મહેશ રાવલ said,

    January 24, 2009 @ 6:01 AM

    જિંદગીમાં, આ જ તો સમજણ વિકસાવવાની હોય છે ….!
    તડકા-છાંયા-અંદર હો
    કે બ્હાર બધુંયે સરખું
    શાને કાજે શોક કરું હું ?
    શાને કાજે હરખું ?

  3. Kamal Shah said,

    January 24, 2009 @ 6:34 AM

    વાહ, ક્યા બાત હૈ….! કોઇ પણ સાજ-શણગાર વિનાની ભાષા અને છતાં કેટલી સ-ચોટ..!! ગીત નો ઊઘાડ જેટ્લો સુંદર છે, એટલુંજ સુંદર એનું કલેવર છે. શ્રીકાન્તકાકાને ત્યાં મળ્યા ત્યારે તને પહેલી વાર સાંભળી
    ને દિલ બાગ બાગ થઈ ગયેલું.. હવે ફરી આવા અદભુત કાવ્યો ક્યારે સંભળાવિશ…ચંદ્રેશ…??

  4. pragnajuvyas said,

    January 24, 2009 @ 8:21 AM

    અભિનંદન
    ફરી ફરી માણી આનંદ

  5. sudhir patel said,

    January 24, 2009 @ 10:49 AM

    શ્રી ચન્દ્રેશ મકવાણાનું આ ગીત એમની જેમ મારું પણ પ્રિય ગીત છે અને હું એને ગુજરાતી ભાષાના કેટલાંક શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક માનું છું.
    ગીતનો ઉપાડ અને એનાં બન્ને અંતરા એટલા સરળ અને સ્વયં સ્પષ્ટ છે કે એને વિવેચનની કોઈ જરૂર નથી અને છતા ગહન વાત કહેવા સમર્થ છે!
    સર્જકના હસ્તાક્ષરમાં આ ગીત વાંચી આનંદ!
    સુધીર પટેલ.

  6. bharat said,

    January 24, 2009 @ 11:49 AM

    “જેમ ખૂટ્યાં પાણી સરવરથી
    જેમ સૂકાયાં ઝરણાં,
    જેમ ભભકતી લૂ લાગ્યાથી
    બળ્યાં સુંવાળાં તરણાં”

    GLOBAL WARMING–એ ચેતી જાવ જલ્દી થી નહી તો આવી બન્યુ સમજો

  7. ધવલ said,

    January 24, 2009 @ 1:47 PM

    વૈરાગી હોવાથી પણ સમયને અનૂકુળ થઈ જવાની આવડત વધારે મહત્વની છે. જે સમયને અનૂકુળ થઈ જાય – adaptable હોય – તે જ પ્રવર્તે છે.

  8. kirankumar chauhan said,

    January 24, 2009 @ 11:11 PM

    khoob sunder geet. abhinandan chandresh.

  9. Dr. J.K.Nanavati said,

    January 25, 2009 @ 1:46 AM

    વાચીને તૂર્તજ ગાઈ નાખવાનું મન થઈ જાય તેવું
    રમતીલું ગમતીલું ગીત………

    વૈરાગીનંદન દોસ્ત……

  10. shweta said,

    January 26, 2009 @ 10:00 AM

    એણૅ એની એક સળી પણ ઇચ્છાથી ક્યાઁ ત્યાગી ? વાહ્ આવા સરસ વિચાર્ !

  11. ઊર્મિ said,

    January 26, 2009 @ 11:35 AM

    ખૂબ જ સરસ વૃક્ષ લઈ આવ્યા.. આઈ મીન, ગીત લઈ આવ્યા… 🙂

  12. GAURANG THAKER said,

    January 28, 2009 @ 9:04 AM

    વાહ કવિ વાહ….સરસ ગીત….

  13. વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા | ટહુકો.કોમ said,

    June 5, 2011 @ 9:03 PM

    […] (ગીતને કવિના હસ્તાક્ષરમાં માણવા – આભાર… […]

  14. Kalpana Palkhiwala said,

    February 16, 2012 @ 12:52 AM

    આતિ સુન્દર્.પર્યવરન મિનિસ્ત્રિમા એક તર્ફિ ગયન ગાયુ ત્યરે વ્રુક્શ વિશે તો વિચર જ નોહોતો કર્યો.

  15. Deepak said,

    August 14, 2012 @ 1:27 PM

    શ્રી ચન્દ્રેશ મકવાણાનું આ ગીત એમની જેમ મારું પણ પ્રિય ગીત છે અને હું એને ગુજરાતી ભાષાના કેટલાંક શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક માનું છું.
    વાહ કવિ વાહ….સરસ ગીત…. કોઇ પણ સાજ-શણગાર વિનાની ભાષા અને છતાં કેટલી સ-ચોટ..!! ગીત નો ઊઘાડ જેટ્લો સુંદર છે, એટલુંજ સુંદર એનું કલેવર છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment