દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
ગની દહીંવાલા

આપણી યાદગાર ગઝલો : ૧૫ : હસ્તાયણ – રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાંને સ્પર્શવાથી મેલા છે.

આ મારા હાથમાં દમયંતીપણું શોધું છું
મેં મૃત મત્સ્ય અહીં એકઠાં કરેલાં છે.

રેશમી વસ્ત્રની માફ્ક ઢળી પડયાં નીચે
હાથને ખીંટીએ ટિંગાડવા ક્યાં સહેલા છે?

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો
તો થાયઃ મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે

આ મારા હાથને હમણાં જ ગિરફ્તાર કરો
કે તેણે તોપનાં મોં જીવતાં કરેલાં છે

આ હાથ છે ને એના પૂર્વજોય હાથ હતા
આ વંશવેલા ઠેઠ મૂળથી સડેલા છે

ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર આ હાથ
હાથ હોવાનો અભિનય કરી રહેલા છે

હે મારા હાથ, આ દમયંતીવેડા ફોગટ છે
મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે

આ હાથ સૌથી ખતરનાક બૉમ્બ છે તોપણ
એ સાવ કાચની પેઠે ફૂટી ચૂકેલા છે

રમેશ, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

-રમેશ પારેખ

રમેશ પારેખની ગઝલોમાંથી એક જ ગઝલની પસંદ કરવાનું કોઈ કહે એ તો સ્વર્ગમાં જાવ ને ઈન્દ્ર તમને એક જ અપ્સરા પસંદ કરવાનું કહે એવી વાત છે 🙂 ખેર, આ ‘અન્યાય’ની વાત જવા દઈને આપણે ગઝલની વાત કરીએ.

દેવોનું રામાયણ હોય, માનવીઓનું હસ્તાયણ હોય. રામાયણ એ આદર્શની કથા છે; હસ્તાયણ એ વાસ્તવની વ્યથા છે.

ર.પા. આ ગઝલમાં હાથના રૂપકનો ઉપયોગ કરીને જે રીતે માનવ સ્વભાવની બારીકીઓનું ચિત્રણ કરે છે એ ગઝલને અનેક સ્તરે જુદા જુદા અર્થઆયામો પ્રદાન કરે છે. (વિજ્ઞાનની નજરે જુઓ તો ઉત્ક્રાંતિમાં સૌથી છેલ્લે જ્યારે હાથનો વિકાસ થયૌ ત્યારે જ વાનરમાંથી માણસ બન્યો. હાથ એ રીતે માણસ માટે બહુ ઉપયુક્ત રૂપક છે!)

ઝાંઝવાને સ્પર્શવા – એટલે કે અપ્રાપ્યની પાછળ દોડવા- થી થાકેલા, મેલા થયેલા માણસને તમે તમારી આજુબાજુ જોયો જ હશે. સપનાંને સપનાં રહેવા દેવાનુ માણસના સ્વભાવમાં નથી. સપનાંને વાસ્તવમાં ખેંચી લાવવની જીદને લીધે જ આપણે એમને ચારે તરફથી ઉઝરડી નાખીએ છીએ. ત્રીજા શેરમાં પાંચ છિનાળ પુત્રીઓ – એટલે કે આપણને પરવશ બનાવતી પાંચ ઈન્દ્રિયો – ને લીધે સતત બદનામ થયા કરવાના માનવજાતના શાપની વાત અદભૂત રીતે કરી છે. માણસના પોતાની બધી મર્યાદાઓને અતિક્રમિ જવાના એકમાત્ર રસ્તા – એટલે કે પ્રેમ – ની વાત એના પછીના શેરમાં બહુ નાજુક રીતે આવે છે. વારંવાર નસીબનો ટેકો લેવા દોડી જતા – હસ્તરેખા પરવશ – તકલાદી માણસો પ્રત્યે કવિએ જરા કટાક્ષ કરી લીધો છે. મેલા મનને સાફ કરવાનો રસ્તો ઝટ હાથ આવતો નથી એ તરફ ઈશારો કરીને કવિ ગઝલને સમેટી લે છે.

ર.પા.ની ગઝલોમાં આ ગઝલ એક સિમાચિહ્ન છે.

– ધવલ શાહ

(નોંધ: 2008માં ધવલે આ ગઝલ પોસ્ટ કરી ત્યારે એણે છ જ શેર પોસ્ટ કર્યા હતા, પણ મૂળ ગઝલમાં તેર શેર છે. ગઝલ સાથેની ધવલની ટિપ્પણી યથાવત્ રાખી આજે ૧૦-૦૮-૨૦૨૬ના રોજ આખી ગઝલ પોસ્ટ કરું છું.
– વિવેક)

9 Comments »

  1. અનામી said,

    December 12, 2008 @ 3:25 AM

    સરસ.

  2. વિવેક said,

    December 12, 2008 @ 6:43 AM

    મેં વાંચેલા યાદગાર ગઝલ-આસ્વાદોમાંનો નિઃશંક એક….

  3. ઊર્મિ said,

    December 12, 2008 @ 7:51 AM

    આ સુપર્બ ગઝલ વિશે કંઈ કહેવાનું ગજુ તો નથી મારું, પણ-
    અરે વાહ ડોક્ટરસાહેબ, શું મજાનો આસ્વાદ કરાવ્યો છે?!
    હાચ્ચે જ મજ્જા આવી ગઈ…

  4. Dr.Vinod said,

    December 12, 2008 @ 8:52 AM

    અતિસુંદરગઝલ..!
    રમેશ પારેખ વિશે કાંઇ કહેનાનું નથી.. રમેશ્પારેખ એટલે રમેશ પારેખ

  5. "koik" said,

    December 12, 2008 @ 10:22 AM

    મજા આવી ગઈ

  6. ડૉ. મહેશ રાવલ said,

    December 12, 2008 @ 12:40 PM

    ર.પા.એ જે રીતે આ ગઝલમાં “હાથ”ની વાત વણી છે,હું નથી માનતો કે ગુજરાતી કાવ્યવિશ્વમાં કોઇએ કરી હોય….જુઓ તો ખરા…!

    આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
    સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

    આ લેવલે નજીકના ભવિષ્યમાં મને નથી લાગતું કે કોઇ પ્હોંચી શકે….!!!!!!

  7. sagar said,

    April 11, 2013 @ 8:28 AM

    વાહ

  8. Kajal kanjiya said,

    July 18, 2021 @ 3:00 AM

    ખૂબ સરસ ગઝલ

  9. લયસ્તરો – Layastaro.com » હસ્તાયણ -રમેશ પારેખ said,

    August 10, 2026 @ 7:49 AM

    […] https://layastaro.com/?p=1425 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment