ઘરથી તે ઘર સુઘીના રસ્તાઓ છે વિકટ કે,
ભૂલો પડ્યો હું ઘરમાં ઘરનો પ્રવાસ થઇને.
– કરસનદાસ લુહાર

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૮ : અજંપાનું ફૂલ

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.

–ગની દહીંવાળા

(આમ તો ગનીચાચાની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીની સાત કડી પૂરી થઈ ગઈ છે પણ કેટલાંક ઈન્દ્રધનુષને આઠમો રંગ પણ હોય છે. એટલે આજે આ આઠમો રંગ મારા -ઊર્મિ- તરફથી…)

આમ તો ગઝલનું શિર્ષક જ ગઝલમાં આવતાં અજંપાનો નિર્દેશ કરી દે છે, પરંતુ ગનીચાચાએ અહીં ગઝલનું શિર્ષક માત્ર અજંપો નથી આપ્યું પણ અજંપાનું ફૂલ આપ્યું છે ! એ જોઈને મને તો એવો વિચાર આવ્યો કે… ફૂલ તો એકદમ સુકોમળ હોય, તો શું આ અજંપો પણ ફૂલ જેવો જ કોમળ હશે? તો પછી એની હયાતી આપણને કરવત જેવી કેમ લાગતી હશે? કે કદાચ અજંપાના મટવાની ઘટનાની હળવાશને લીધે પાછળથી એ કોમળ લાગતી હોય એવુંયે બને…?! ખેર, હું તો હજીયે કોશીશ કરું છું આ ગઝલની ભીતર ઘૂસવાની… તમે જો છેક અંદર સુધી પહોંચી જાવ તો મને સાદ દઈને રસ્તો બતાવજો હોં ! 🙂 ત્રીજા શેરમાં વેદનાની નીપજ વિના લાગણી ક્યાંય ઠલવાઈ જ ન શકે એ વાત વધુ સ્પર્શી ગઈ…!

6 Comments »

  1. pragnaju said,

    October 5, 2008 @ 8:30 AM

    આદિથી એજ આગના સંચયથી લાલસા,
    સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.
    ખણી ગમતી પક્તી

  2. Vijay Shah said,

    October 5, 2008 @ 9:52 AM

    વાહ્!
    બહુ સરસ કૃતિ

    એકે એક શેર સચોટ.

    મને વધુ ગમ્યો છેલ્લો શેર્

    સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
    વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.

  3. ધવલ said,

    October 5, 2008 @ 11:32 PM

    અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
    ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.

    ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
    ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

    – સરસ !

  4. Pinki said,

    October 6, 2008 @ 12:39 PM

    વાહ્.. ઊર્મિ સુંદર ગઝલ….!!

    બધાં શેર મજેદાર છે.
    હા, અજંપો ફૂલ જેવો કોમળ હોય તો તો સારું
    પણ આ તો બારમાસીના છોડ પર જેમ બારે માસ ફૂલ આવે એમ
    આપણે પણ બારે માસ અજંપાના જ ફૂલ !!!
    અને પછી વાવ્યા વિના ઊગી જતી મૂંઝવણની વેલ ?!!

    નીપજ વાળી વાત તો મને પણ ગમી ગઈ !!

  5. વિવેક said,

    October 7, 2008 @ 1:40 AM

    સુંદર ગઝલ…

     

    અજંપો અજંપો અજંપો નર્યો,
    સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.

    અમે વેદનાઓનો કાવો કર્યો,
    અને જિંદગીને એ પ્યાલો ધર્યો.

     

  6. vinod said,

    October 8, 2008 @ 11:57 AM

    ન્હા..વ્હા , આપણા ઘણાના સંતાપીયા જીવ વિશે કવિએ વાત કરી છે.ઠંદી હવા પણ ઠંડક આપતી નથી……બ્રેવો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment