બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

આકડે ય મધુ – ભાનુપ્રસાદ ત્રિવેદી

(વસંતતિલકા)

મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

આ ભૂમિમાંથી પ્રગટે રૂપ ભિન્નભિન્ન,
ઝેરી ક્યહીંક, ક્યહિ અમૃત, તો ય છન્ન
એની સુધા વિલસતી સહુમાં પ્રસન્ન !

હું તાહરા પ્રણયપદ્મપરે ભમેલ
ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
એ આકડે ય મધુ હું ભમરો લહંત !

-ભાનુપ્રસાદ ત્રિવેદી

કુમાર, જુન-૧૯૫૨ના અંકમાં પ્રગટ થયેલું આ કાવ્ય. શ્રી બચુભાઈ પોપટભાઈ રાવતના તંત્રીપદે પ્રગટ થતા કુમારના રંગ-રૂપ જ કંઈ ઓર હતા. એ જમાનામાં કુમારમાં કવિતા છપાય એટલે કવિને કવિ હોવાનું પ્રમાણપત્ર મળેલું ગણાતું. કુમારના એ અંકોમાં કવિતાની સાથે ટૂંકાણમાં કાવ્યાસ્વાદ પણ કરાવાતો (લયસ્તરોની જેમ જ સ્તો!). આ કવિતાની સાથે કુમારના ૫૬ વર્ષ જૂના અંકમાં કરાવાયેલો આસ્વાદ શબ્દશઃ કુમારમાંથી આજે સાભાર:

“વિરોધી ભાવોમાંથી રસનિષ્પત્તિ એ પણ કવિતામાં સૌંદર્ય લાવવાની એક રીત છે. આ કાવ્ય એનું ઉદાહરણ છે: અહીં કવિએ આકડામાં મધુનું દર્શન કરાવ્યું છે! આકડાનો તો ખ્યાલ જ નવો છે. એ કાવ્યમાં કવિના હૃદયસંક્ષોભનું કારણ તો ભલે નિષ્ફળ ગએલા પ્રેમમાં છે, (જેને પ્રણયપદ્મ માન્યું તે આકડો નીકળ્યો,) પણ પછી પ્રિયતમાની એ અવહેલનામાં પણ તે મધુરતા શોધી રહે છે. ઝેરી મનાતા આકડા જેવા પુષ્પમાં પણ પૃથ્વીના અમૃતરસનો અંશ હોવો જોઈએ, નહિતર ભમરો ત્યાં ગુંજે નહિ; તદનુસાર માનવતાની ભૂમિમાંથી પાકેલા માણસમાં યે થોડો પણ સુભગ અંશ હોવાનો જ. એટલે આકડે પણ ભ્રમરને જવું રહ્યું જ; તેમાંથી યે મધ તો મળવાનું જ”.

(ઊર્વિ=પૃથ્વી, છન્ન=ઢંકાયેલું, સુધા=અમૃત)

4 Comments »

  1. પંચમ શુક્લ said,

    July 31, 2008 @ 3:54 AM

    ધરબાયેલું ગોતીને લોકો સામે મુકવા બદલ ખૂબ ખૂબ આભાર.

  2. pragnaju said,

    July 31, 2008 @ 9:47 AM

    સુંદર કાવ્ય અને તે માણવાની વધુ મઝા આવે તેવું રસદર્શન્
    ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
    આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
    તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
    એ આકડે ય મધુ હું ભમરો લહંત !
    વિચારતાં કરી દે તેવી પંક્તીઓ…
    આ સરળ કહેવાતા શબ્‍દોમાં ગહનતા અને ગાંભીર્યની સહજતામાં તેઓના સરળતા અને મૌલિક વિચારણાની સાથોસાથ ઈશ્વર તરફનો પ્રેમ, સંદેશ પ્રતિપાદિત થતો રહે છે.

  3. ધવલ said,

    July 31, 2008 @ 9:42 PM

    બહુ સરસ ગીત !

  4. Pravin Shah said,

    July 31, 2008 @ 11:44 PM

    મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
    ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

    સુંદર રચના!
    http://www.aasvad.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment