આયનામાં તું તને દેખે અને,
થાય એવું હું તને વચમાં નડું.
ભાવિન ગોપાણી

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને – કિશોર મોદી

024_24
(મોરારીબાપુ…..    ….અસ્મિતાપર્વ, મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને
થાકી ગિયા.
પેલા મોરારીબાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’ છે.
પણ આપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો
છે ને… મગજમાં મારું બેટું કંઈ ઊતરતું નથી.

એ તો વળી એમ પણ કે’ છે કે
અમે તો વરહોવરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ
પણ એલીમીનના વાહણને કંઈ કલ્લઈ થતી ઓહે,
વીહલા ?

– કિશોર મોદી

વરસોથી અમેરિકા રહેતા કિશોર મોદીના લોહીમાંથી સચીન (સુરત) નજીક આવેલા એમના ગામ કનસાડનો કણસાટ ઓગળ્યો નથી. એમના તાજા ‘એઈ વીહલા !’ કાવ્યસંગ્રહમાં અડધોઅડધ કાવ્ય સુરતી ભાષામાં (સૉરી, હુરતી ભાહામાં !) છે. આટલી વિપુલ માત્રામાં સુરતી કાવ્યોનો થયેલો આ કદાચ પહેલો સંચય હશે ! કવિતાના શબ્દે-શબ્દમાં પહેલા વરસાદના સંવનને ઘરતીમાંથી સોડમ ઊઠે એમ ઊઠતી ગામડાંની તળપદી મહેંક સૂંઘી શકાય છે.

કાલ્પનિક મિત્ર વીહલાને સંબોધીને કવિ આપણને સુંદરકાંડનો સંદર્ભ આપી રામાયણમાં પાત્રપ્રવેશ કરાવે છે. નાવિક કેવટનો પ્રસંગ તો યાદ હશે જ. રામને જ્યારે સરયૂ નદી પાર કરવાનો વખત આવે છે ત્યારે કેવટ પગ ધોવાની જીદ કરે છે. રામ પગ ધોવા દેવાના મતના નથી પણ કેવટ મક્કમ છે. તમારા ચરણસ્પર્શથી તો શીલા પણ સ્ત્રી (અહલ્યા) બની ગઈ હતી. મારી નાવડી જો સ્ત્રી બની જાય તો એક તો મારી આજીવિકા જાય, ઉપરથી મારે એનું ભરણપોષણ કરવાનું આવે. રામના સ્પર્શથી જડ પણ ચેતન બની જાય એ સંદર્ભ લઈને કવિ એક પ્રસંગમાંથી કાવ્યનું સર્જન કરવાનું કવિકર્મ આદરે છે.

મોરારીબાપુની કોઈક કથામાં સાંભળ્યા પ્રમાણે કવિ રોજ રામાયણનું પઠન કરી જાત મઠારવાની મથામણ કરે છે પણ લૂણો લાગી ગયેલ સમજણમાં કંઈ ઉતરતું નથી. મોરારીબાપુએ કદાચ વારંવાર કથા સાંભળવાનું અને રોજેરોજ રામાયણ વાંચવાનું માહાત્મ્ય સમજાવતા કહ્યું હશે કે આ તો દર વરસે પિત્તળના વાસણને જેમ કલાઈ કરીને આપણે ચમકાવીએ છીએ એવું કામ છે. પણ માત્ર મિત્રની સમક્ષ જ હૈયું ખોલીને જે નબળાઈ છતી કરી શકાય એ છતી કરતાં કવિ નિઃસાસો નાંખી કહે છે કે વાસણ પિત્તળનું હોય તો એને ચમકાવી શકાય, ઊજાળી શકાય પણ આપણી તો કાઠી જ મૂળે એલ્યુમિનિયમની છે. એને કેમ કરીને કલાઈ કરવી?

14 Comments »

  1. jayesh upadhyaya said,

    May 31, 2008 @ 4:02 AM

    છેલ્લી પંક્તી ચીસ થઇ કાળજાની આરપાર થઇ જાય છે

  2. pragnaju said,

    May 31, 2008 @ 9:15 AM

    અસ્મીતા પર્વ ,મોરારી બાપુનો ફોટો્,સુંદર કાંડ અમારા સાગર ખેડુની વાત !
    “પણ એલીમીનના વાહણને કંઈ કલ્લઈ થતી ઓહે,
    વીહલા ?” સોંસરવવું,ઉતર્યું !
    વ્હાલું લાગે ટેવું હુરટી અછાંદસ- મારા મનની વાત…
    – યાદ આવી સેન્ટ જ્હોન, કેનેડા બંદરે લાંગરેલ સ્ટીમર અને તેમાના આપણા ખારવા ભાઈઓ અને ઘોઘારી ખારવાઓ ! ખબર પૂછી ત્યાં તો ગળગળા થઈ ગયા.ઘરની યાદ અપાવે તેવું અમારું બનાવેલ ખાવું આપ્યું ત્યાં તો ઝળઝળીઆ!! એક તો અમારો ઓળખીતો ! તેને ત્યાં બુમલાનાં કોથળા પર બેસી ચા પીધી હતી અને તેણે પ્રેમથી તાજા લેવટા (નેવટા)નો આગ્રહ કરેલો…

  3. ધવલ said,

    May 31, 2008 @ 12:15 PM

    ત્રેવડો નશો !

    એક તો સૂરતી ભાષાનો નશો ! બીજો વીજળીના ઝબકાર જેવી અંતિમ પંક્તિના ‘ઝાટકા’ નો નશો ! અને છેલ્લો, પ્રજ્ઞાબેને પરદેશમાં અનાયાસ ભાંડુઓ સાથે ભેળા થવાની વાત માંડી એનો નશો ! (પરદેશમાં રહેનારા જ એ સમજી શકે કે દેશભાઈઓને મળવાનો ને કેટલીક વાર તો માત્ર ‘કેમ છો ?’ કહી શકવાનો કેવો નશો છે !)

    પણ જ્યારે મન વિચારવા બેઠું ત્યારે ત્રણે નશા પલક વારમાં ઊતરી ગયા. ‘રામાયણ’ જેવા મહાન ગ્રંથની (અને આજે પણ પ્રેરક ગણાતી) કથા એવું શીખવાડે કે સ્ત્રી એક નાવડી કરતા પણ વધારે નકામી ? ઉપરથી એના ‘ભરણપોષણની જવાબદારી’ આવે ? – અને મારા ‘સાંસ્કૃતિક વારસા’ પર શરમથી માથું ઝૂકી ગયું. દહેજને કારણે સળગાવાયેલી અને પરંપરાગતરીતે ‘નકામી’ ગણાયેલી બહેનોના દમનમાં વાલ્મિકીનો પણ ભાગ ખરો જ…

  4. Maheshchandra Naik said,

    June 1, 2008 @ 9:57 AM

    કિશોરભાઇને હુરતના માણહના અભિનદન!!!!!!!!!!!!!!!!
    ‘એઇ વિહલા’નુ પ્રાપ્ર્તિસ્થાન જણાવશઓ તો ખુબ આનન્દ થહે!!!!!!!!!!!!!!!!
    આભાર!!!

  5. ઊર્મિ said,

    June 1, 2008 @ 10:41 AM

    વાહ વાહ…. આ તો હારી મારી વારતાની હાથે અદ્દલ મલતી આવે છે જો… 🙂

    ધવલભાએ પરદેશમાં અનાયાસ ભાંડુઓ ભેળા થવાવાળી વાત પણ બઉ મજાની કરી… હાવ હાચુ, કે એ નશો તો પરદેશમાં રે’વાવારા જ હમજી હકે…

    પણ તમારી છેલ્લી વાતે મને ખૂબ જ વિચારતી કરી મૂકી… એ સમય, સ્થળ અને યુગ એકદમ જૂદા હતા તોય…

  6. Dr Pankaj Gandhi said,

    June 1, 2008 @ 11:26 AM

    એક દમ જ હુરતિ ટેસ્ટ્ મજા આવિ ગઈ ભાઇ

    એવુ લાગે કે કોઇએ ફાફડા હાટે ચટ્ની ખવડાવી

    અઇલા એવુ લાગે કે હજુ પન મારુ હુરત વિદેસ મા જ)વે ચ્

  7. Hasmukh Bulsara said,

    June 1, 2008 @ 3:06 PM

    કિશોરભાઇ
    તમારુ અય વિહ્લલા વાઇચુ.મજા આવિ ગેય્.તિરગામા આવેલિ કવિતા પન વેબ પર મુકો તો હારુ.

  8. ઊર્મિ said,

    June 1, 2008 @ 4:02 PM

    વિહલા ને સંબોધીને કિશોરભાઈની બીજી એક કવિતા દીપઅંકલનાં બ્લોગ પર માણો…
    http://vishwadeep.wordpress.com/2007/05/14/ek-kaavya/

  9. chetan framewala said,

    June 2, 2008 @ 1:34 PM

    ચ્હેરો ચમકાવીને શું થાય , માંહ્યલો જ્યારે જડ થઈ ગયો હોય ત્યારે ચાહે જેટલા કલઈના થર ચડાવો, એ ચેતન તો ન જ થઈ શકે.
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  10. Pinki said,

    June 3, 2008 @ 2:59 AM

    સુંદર રચના…….

    ધવલભાઈ સાથે સહમત –
    રામાયણ સમજમાં આવ્યું ત્યારથી વિચારું –
    પણ આપણા બિનસાંપ્રદાયિક દેશની
    સાંપ્રદાયિકતા આ કડવું સત્ય સ્વીકારી શકશે ?

  11. gopal parekh said,

    June 4, 2008 @ 8:10 AM

    હુરતી ભાષામાઁ ભૈલા મજા પડી ગૈ.
    ગોપાલ

  12. Kishore Modi said,

    September 8, 2008 @ 10:58 AM

    તમારો સૌનો આભાર પુસ્તક નિચેના સ્થલેથિ મલશે
    સાહિત્ય સન્ગમ
    બાવાસિદિ,ગોપિપુરા,સુરત-૩૯૫ ૦૦૧

  13. લયસ્તરો » નખે કંઇ બોલતો (હુરતી ગઝલ) -કિશોર મોદી said,

    October 26, 2008 @ 2:02 AM

    […] વર્જિનિયામાં રે’તા ને અવે રિટાયર થેઈ ગેયલા કિશોરભાઈ ખાલી કવિતા ને ગઝલ જ નથી લખતા, પણ હાથે હાથે આપણા જેવાની જનમકુંડળી હો બનાવે છે હોં… અરે બાબા, ઉં એકદમ હાચ્ચું કઉં છું, એ તો જ્યોતિસી હો છે… ને પાછું હાંભળ્યું છે કે બો હારા બી છે. અઈંયા આગળ મૂકેલી એમની એક હુરતી કવિતા તો તમે વાંચલી જ અહે ને?!! અરે પેલી… એ વીહલા વાળી. કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે… એકદમ જક્કાસ કવિતા છે હારી એ બી! આ હુરતી ગઝલમાં બી ‘નખે કંઇ બોલતો’ બોલી બોલીને કેટલું બધું આપળાને બોલી ગ્યા છે, નીં ?!! […]

  14. login said,

    May 20, 2009 @ 9:59 AM

    Lovely. Made my day (which is saying something)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment