સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શાહ હુસેન

શાહ હુસેન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ચરખો – શાહ હુસેન – અનુ. હરીન્દ્ર દવે

ચરખો ચાલે ને મારાં નયણાં ઝરે
પાસેનું ધુમ્મસ થઇ ધૂંધળું દેખાય
ઓલી આઘેની સૂની વાટ લોચન ઠરે.

ચરખાનો તાર વારે વારે તૂટે છે
મારે નયણે અખંડ વહે ધાર,
ચરખે આવે છે જાદુ-પાતળું સૂતર
મારાં આંસુનો એકધારો તાર.

આજકાલ આવવાનો વાયદો વ્હાલાનો
હવે વીતી ગઈ આખી બારમાસી,
આંગણાથી સીમ સુધી લંબાતી વાટે
મારો પથરાયો જીવ આ ઉદાસી.

કોટડીમાં એક તો દીવો નથી ને
વળી પ્રીતમ પણ ઢૂંકડો ન ક્યાંય
મોતની હવા આ ધીરે-ધીરે સમેટે
મારા જીવનની રહીસહી ઝાંય.

-શાહ હુસેન

શાહ હુસેન પંદરમી સદીના પંજાબી સૂફી સંત-કવિ હતા. તેઓ ‘કાફી’ શૈલીના જનક ગણાય છે. આબિદા પરવીન,નુસરત ફતેહ અલી ખાન અને નૂરજહાન એ તેઓને વિસ્તૃત રીતે ગાયા છે.
સૂફી પંથ પ્રિયતમ સાથે એકત્વ પામવાના ઝૂરાપાને વાચા આપતો પંથ છે. વિરહ વેદના એટલી તીવ્ર હોય છે કે ભાષા-વ્યાકરણ ઈત્યાદિની ગુલામી વગર સીધું હૃદયથી જ કવિનું ગાન નીકળે છે. પ્રતીકો સરળ હોય છે પણ ગૂઢાર્થ અદભૂત હોય છે. અહી ચરખો એટલે ભૌતિક જીવન. નયણાં એટલે આંતરચક્ષુ જેઓને પિયા-મિલન સિવાય કશું જ ખપતું નથી. જીવન અંત તરફ ધસી રહ્યું છે પણ સાક્ષાત્કાર છેટો ને છેટો જ રહી ગયો છે…..

Comments (5)