આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાનુપ્રસાદ ત્રિવેદી

ભાનુપ્રસાદ ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વ્યથા – ભાનુપ્રસાદ ત્રિવેદી

(હરિણી)

મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા.
અસહ બનતું આ એકાકીપણું જીરવાય ના.
અવર સથવારો તો એવો સહ્યો વળી જાય ના.

વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!

સમજી શકું છું તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાને આ મુકાય પ્રપંચના,
કૃપણ, ખલ હે, કુલ્ટા આવી અચાનક જો મળી-
અનુભવ કરું તો કેવો ફરી ફરી જિંદગી!

દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયું યે છે, અને વળી છે વ્યથા!

– ભાનુપ્રસાદ ત્રિવેદી

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા… માટી તો એની એ જ છે, પણ હાથોનો કસબ એમાંથી અલગ-અલગ પ્રકારનાં પાત્ર સર્જે છે. પૂરું બળ્યા વિના ધુમાતાં લાકડા પૂરાં બળેય નહીં ને બળતાં બંધ પણ ન થાય એ રીતે વ્યથા અંતરને પૂરું બળવા પણ નથી દેતી અને ઠરવા પણ નથી દેતી. એકાકીપણું પણ સહેવાતું નથી અને બીજા કોઈનો સથવારો પણ સહી શકાતો નથી. દુન્યવી વ્યવહારો વ્યર્થ હોવાનું જ્ઞાન હોવા છતાં કદાચ એના શરણે જવાથી સ્વયંથી છૂપાઈ શકાયએવી ભ્રામક આશામાં દાસ બની એમના શરણે જવું પડે છે. ચારે તરફથી ક્ષતવિક્ષત અપંગ જિંદગીનું આલંબન લઈ મનુષ્ય હજીય જાતને છેતરી રહ્યો છે. દુર્યોધને કહ્યું હતું: ‘जानामि धर्मं न च मे प्रवृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः।‘ જીવનની વંચના અને પ્રપંચનાથી પૂર્ણતયા વાકેફ હોવા છતાં આપણે એનાથી આઝાદ થઈ શકતા નથી એ કેવી વિડંબના! જિંદગી કંજૂસ છે, દુષ્ટ છે, કુલ્ટા છે પણ તોય આપણે ફરી ફરીને એનો અનુભવ કરવો છોડી શકતાં નથી. હૈયું હોય એટલે સંવેદના હોવાની જ અને સંવેદના હોય એટલે વેદના. બધું જ જાણવા છતાંય એનાથી મુક્ત ન થઈ શકવાની લાચારીની કથા પછી કેટલી લંબાવ્યે રાખવી?

Comments (4)

આકડે ય મધુ – ભાનુપ્રસાદ ત્રિવેદી

(વસંતતિલકા)

મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

આ ભૂમિમાંથી પ્રગટે રૂપ ભિન્નભિન્ન,
ઝેરી ક્યહીંક, ક્યહિ અમૃત, તો ય છન્ન
એની સુધા વિલસતી સહુમાં પ્રસન્ન !

હું તાહરા પ્રણયપદ્મપરે ભમેલ
ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
એ આકડે ય મધુ હું ભમરો લહંત !

-ભાનુપ્રસાદ ત્રિવેદી

કુમાર, જુન-૧૯૫૨ના અંકમાં પ્રગટ થયેલું આ કાવ્ય. શ્રી બચુભાઈ પોપટભાઈ રાવતના તંત્રીપદે પ્રગટ થતા કુમારના રંગ-રૂપ જ કંઈ ઓર હતા. એ જમાનામાં કુમારમાં કવિતા છપાય એટલે કવિને કવિ હોવાનું પ્રમાણપત્ર મળેલું ગણાતું. કુમારના એ અંકોમાં કવિતાની સાથે ટૂંકાણમાં કાવ્યાસ્વાદ પણ કરાવાતો (લયસ્તરોની જેમ જ સ્તો!). આ કવિતાની સાથે કુમારના ૫૬ વર્ષ જૂના અંકમાં કરાવાયેલો આસ્વાદ શબ્દશઃ કુમારમાંથી આજે સાભાર:

“વિરોધી ભાવોમાંથી રસનિષ્પત્તિ એ પણ કવિતામાં સૌંદર્ય લાવવાની એક રીત છે. આ કાવ્ય એનું ઉદાહરણ છે: અહીં કવિએ આકડામાં મધુનું દર્શન કરાવ્યું છે! આકડાનો તો ખ્યાલ જ નવો છે. એ કાવ્યમાં કવિના હૃદયસંક્ષોભનું કારણ તો ભલે નિષ્ફળ ગએલા પ્રેમમાં છે, (જેને પ્રણયપદ્મ માન્યું તે આકડો નીકળ્યો,) પણ પછી પ્રિયતમાની એ અવહેલનામાં પણ તે મધુરતા શોધી રહે છે. ઝેરી મનાતા આકડા જેવા પુષ્પમાં પણ પૃથ્વીના અમૃતરસનો અંશ હોવો જોઈએ, નહિતર ભમરો ત્યાં ગુંજે નહિ; તદનુસાર માનવતાની ભૂમિમાંથી પાકેલા માણસમાં યે થોડો પણ સુભગ અંશ હોવાનો જ. એટલે આકડે પણ ભ્રમરને જવું રહ્યું જ; તેમાંથી યે મધ તો મળવાનું જ”.

(ઊર્વિ=પૃથ્વી, છન્ન=ઢંકાયેલું, સુધા=અમૃત)

Comments (4)