નગીન મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 5, 2008 at 1:19 AM by વિવેક · Filed under અછાંદસ, નગીન મોદી
મડદાંના ઢગ પર બેસી
નીરો ફીડલ વગાડતો હતો
તેમ, તારો વધ કરી, તારા લાકડાના
માવામાંથી બનાવેલા કાગળ પર
હું કવિ, તારા ગુણગાન ગાઉં છું !
-નગીન મોદી
આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે શ્રી નગીન મોદીની વધુ એક વૃક્ષ-કવિતા. કવિપણાના કોઈપણ ભાર વિના લખાયેલી આ કવિતા જેટલી ટૂંકી છે એટલી જ વેધક પણ છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો એ ઐતિહાસિક ઘટનાને નિરંકુશ થતા વૃક્ષછેદન સાથે સાંકળી કવિ સરસ ચોટ સર્જે છે…
Permalink
May 23, 2008 at 1:24 AM by વિવેક · Filed under અછાંદસ, નગીન મોદી
મારો પહેલો પ્રેમ
વૃક્ષ
ને બીજો પ્રેમ
પુસ્તક
પણ કઠિનાઈ એવી કે
એક વૃક્ષ છેદાય ત્યારે
એક પુસ્તક પેદા થાય
ભલા, કોને ચહું
ને
કોને મૂકું.
-નગીન મોદી
સાવ નાનું અમથું આ અછાંદસ કદાચ એમાં વ્યક્ત થયેલા ઉદાત્ત ભાવના કારણે વાંચતાની સાથે જ સોંસરવું ઊતરી ગયું. સુરતના ડૉ. નગીન મોદી જાણીતા વિજ્ઞાન લેખક અને પર્યાવરણશાસ્ત્રી પણ ખરા. સરળ ભાષામાં એમણે બાળકો માટે જે વિજ્ઞાનકથાઓ, પ્રયોગ-પુસ્તિકાઓ અને પર્યાવરણને લગતી ઢગલાબંધ પુસ્તિકાઓ લખી છે એ માટે ગુજરાતી સાહિત્ય એમનું સદૈવ ઋણી રહેશે કેમકે કવિતા-નવલકથાઓ લખનારા તો હજારો મળી રહેશે.. એમના સેંકડો પુસ્તકોમાં પૃથ્વી અને પર્યાવરણ માટેનો એમનો પ્રેમ ઉનાળામાં મબલખ મહોરતા ગરમાળાની જેમ ઊડીને આંખે વળગે એવો છે. આ નાનકડું કાવ્ય એમના ‘તરુરાગ’ કાવ્યસંગ્રહમાંથી લીધું છે. આ આખા સંગ્રહમાં ફક્ત વૃક્ષ વિશેની કવિતાઓ જ છે…
(લયસ્તરોને તરુરાગ ભેટ આપવા બદલ નગીનકાકાનો આભાર… )
Permalink