જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અદી મિરઝા

અદી મિરઝા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ -અદી મિરઝાં

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

અદી મિરઝાં (જન્મ: ૨૬-૧૦-૧૯૨૮) હવે આપણી વચ્ચે નથી રહ્યા (મૃત્યુ: ૦૧-૦૩-૨૦૦૭). એમની એક લોકપ્રિય ગઝલ અહીં રજૂ કરી લયસ્તરો ટીમ તરફથી એમને શબ્દ-સુમન અર્પણ કરીએ છીએ. એમની અન્ય એક ગઝલ આપ અહીં માણી શકો છો. ગઝલસંગ્રહ: ‘સાદગી’.

Comments (3)

ગઝલ – અદી મિરઝા

તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !

મારા હાથોમાં હવે શક્તિ નથી !
તું મને સંભાળ મારા સારથી !

આ તરફ પણ ઝાઝાં તોફાનો નથી
આવ તું આ પાર પેલે પાર થી !

તું હજી પણ નીચે ઊતરતો નથી ?
વાટ જોઉં છું હું તારી ક્યારથી !

જિંદગીનું સત્ય સમજાઈ જશે !
સાંભળો એકવાર અમને પ્યારથી !

સાર એમાંથીય નીકળી આવશે !
જે મળે લઈ લે હવે સંસારથી !

જિંદગીભર જે રડાવે છે ‘અદી’,
જાન લઈ લે છે એ કેવા પ્યારથી

– અદી મિરઝા

Comments (5)