જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નર્મદ

નર્મદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સુરતથી મુંબઈ આવતાં દરિયામાં ચંદનીની શોભા – નર્મદ

(રેખતો)

આહા પૂરી ખીલી ચંદા, શિતળ માધુરી છે સુખકંદા.            આહા0
પાણી પર તે રહી પસરી, રૂડી આવે લેહર મંદા.              આહા0 ૦૧
શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા.                 આહા0 ૦૨
ઊંચે ભૂરું દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા.             આહા0 ૦૩
નીચે ગોરી ઠારે નૈનાં, રસે ડૂબ્યા નરમદ બંદા.               આહા0 ૦૪

આજે શરદપૂર્ણિમા. શીતળ ચાંદનીમાં સપરિવાર બેસીને દૂધ-પૌંઆ ખાવાની રાત અને આવતીકાલના ઘારી-ભૂંસાની જ્યાફતની તૈયારી કરવાનો દિવસ. સુરતથી મુંબઈ આવતાં કવિ નર્મદે દરિયામાં નિહાળેલી ચાંદનીની શોભા માત્ર પાંચ પંક્તિમાં બહુ સ-રસ રીતે અભિવ્યક્ત થઈ છે.

પૂનમની રાત્રે શીતળ, મધુરી અને સુખદાયક ચાંદની પૂર્ણપણે ખીલી છે. પાણી ઉપર એનું પ્રતિબિંબ ઝીલી ધીમેધીમે આવતી દરિયાની લહેરો રૂડી લાગે છે. પાણી પર ચાંદની પડે ત્યારે જે તેજલીટી દેખાય એને કવિએ શશિલીટીનું નામ આપ્યું છે. પાણી પર થતું આ પ્રકાશલીટીનું હળવું હળવું કંપન ઉરને આનંદ આપનારું છે. ભૂરા આકાશ અને ભૂરા સમુદ્ર વચ્ચે રેલાતી ચાંદની જાણે એની મરજી મુજબ વર્તતી હોય એમ રંગો બદલતી દેખાય છે. કોઈ સુંદરી મનોહર દૃશ્ય નિહાળી નેણ ઠારી રહી છે, અને નર્મદ પણ પ્રકૃતિના રસપાનમાં ડૂબી ગયા છે…

*
નર્મદે પોતે પાદટીપમાં આપેલ અર્થવિસ્તાર:

ચંદા – ચંદની.
સુખકંદા – સુખનું મૂળ એવી.
મંદા – ધીમી ધીમી.
શશીલીટી – ચંદ્રના પ્રકાશનો પાણી ઉપર વધારે ચળકતો જે સેડ્ડો પડે છે તે (એ સેડ્ડો તથા એ સેડ્ડાનાં પાણી ભરતીથી ઉતાવળાં ઊંચાં નીચાં થયાં કરતાં-કુદતાં હોય છે તે)
આનંદા – આનંદ આપનારી (શશિલીટી.)
સ્વછંદા – (આસમાન અને જમીન એ બેની વચમાંની ચાંદની હવામાં ધ્રુજતી ચાંદની પોતાની ઇચ્છામાં આવે તેવી જાય છે– વખતે ઘણી સફેત, વખતે ફીકી લીલી અને વખતે ભુરી-હવાની હાલત પ્રમાણે દેખાય છે.)
બંદા – પોતે (રસે ડુબ્યા-કુદરતના વિચારમાં ઘૂમ થઇ ગયા.)

Comments (3)

અવસાનસંદેશ – નર્મદ

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું ! ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.

Comments (6)

વર્ષા – નર્મદાશંકર

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.

-નર્મદાશંકર

વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.

પ્રોષિતભર્તૃકા

(દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)

Comments (4)

યાહોમ કરીને પડો – કવિ નર્મદ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…

Comments (4)

આ તે શા તુજ હાલ, સુરત…. – કવિ નર્મદ

આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

કવિ નર્મદાશંકર લાલશંકર

12 નવેમ્બર 1865ના રોજ નર્મદે લખેલ આ લબ્ધપ્રતિષ્ઠ કાવ્યનો એક અંશ લગભગ દોઢસો વર્ષ પછી પણ આજે એટલો જ પ્રસ્તુત લાગે છે. કાવ્ય પરથી એટલું તરત જ સમજી શકાય છે કે સુરત સતત કુદરતી આપત્તિઓના હાથે પીંખાતું જ આવ્યું છે. આવા નષ્ટ-ધ્વસ્ત થઈ ગયેલા સુરતના એક સુરક્ષિત ખૂણામાં બેસીને હું આ લખી રહ્યો છું ત્યારે થતાં આંગળીઓના કંપન ઈચ્છું છું કે આપને ન હચમચાવે. મહારાષ્ટ્રમાંથી પૂર્વસૂચના વગર અધધધ પાણી છોડાતા ઉકાઈ ડેમ છલકાઈ ગયો… સુરત માટે જો કે પૂર એ નવી વાત નથી. શાસકોની વ્યવહારદક્ષતાના પ્રતાપે દર વર્ષે ઉકાઈ બંધ છેક છલકાવાની અણીએ ન આવે ત્યાં સુધી પાણી છોડાતું નથી અને એ સમજ બહારની ફિલસૂફીના કારણે લગભગ દર વર્ષે સુરતમાં નાનું-મોટું પૂર આવે જ છે. બંધની સપાટી ભયજનક સ્તરની નજદીક પહોંચતી હોય ત્યાં સુધી શાહમૃગની પેઠે માથું નાસમજણની રેતમાં ખોસીને બેસી રહેતી સરકારને શું કહેવું? અને માણસ હોય તો એક ઠોકરમાંથી શીખી લે એવી આશા પણ રાખીએ…. આ તો સરકાર છે!!!

ઉકાઈ બંધ છેક છલકાવાની પરિસ્થિતિએ આવી ઊભો ત્યારે પૂનમની નજીક આવી ઊભેલો સાગર કેટલું પાણી સમાવી શકશે એનો કશો ય પૂર્વવિચાર કર્યા વિના આજદિન સુધી ન છોડાયેલી માત્રામાં પાણી છોડવામાં આવ્યું… ચોવીસ કલાકથીયે ઓછા સમયમાં આખું સુરત જળબંબાકાર થઈ ગયું. છેલ્લા બસો વર્ષની સૌથી મોટી રેલમાંથી સુરત અત્યારે પસાર થઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે. પણ આજે જ્યારે રાંદેર મિત્રોના ઘરે મદદ પહોંચાડવા હું નીકળ્યો ત્યારે રસ્તામાં લક્ઝરી બસો, ગાડીઓ, રીક્ષાઓના આડા પડેલા વિરૂપ આકારો જોઈ ધ્રુજી જવાયું. મરેલા જાનવર રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યાં છે. લાઈટના તૂટેલા થાંભલા, ડૂબેલા ટ્રાંસફોર્મરો અને કાદવના એક-એક ફૂટ જેટલા થર- આ શહેરને તો પડી-પડીને ઊભા થવાની ટેવ છે પણ આ આખરે કોનું પાપ કોના માથે?

Comments (4)

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-કવિ નર્મદ

આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન. આજના દિવસે જનની જન્મભૂમિના ચરણે કવિ નર્મદનું સુંદર શબ્દફૂલ અર્પણ કરું છું. જય ગુજરાત.

Comments (1)

સંયોગવર્ણન – નર્મદ

સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;
ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.
આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;
જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.
વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;
અતીસ જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.
ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;
એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.
ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;
જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.
આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં ઈ;
પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ કરેછ હેતે.
બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ માંડે પછિ મોટ ઘેલાં;
નાના પ્રકારે રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.
આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;
વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા વિટલાય ગાલે.
ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;
પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

આખી કવિતા અર્થ સાથે કોમેન્ટ વિભાગમાં જુઓ.

સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. આજે નર્મદની પુણ્યતિથિ છે ત્યારે એક રતિકાવ્ય અહીં રજૂ કર્યું છે. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)

Comments (3)