નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!
સંદીપ પૂજારા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજેશ હિંગુ

રાજેશ હિંગુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(પી ગયો છું) – રાજેશ હિંગુ

દર્દ ઘોળી પી ગયો છું,
એટલે જીવી ગયો છું.

આપ તો સપનું હતા, બસ!
હું હવે જાગી ગયો છું.

પગ હજીયે છે ધરા પર,
આભને આંબી ગયો છું.

તું ભલેને ના બતાવે,
વેદના વાંચી ગયો છું.

એટલે મસ્તી ચડી છે,
પ્રેમરસ ચાખી ગયો છું.

– રાજેશ હિંગુ

ટૂંકી બહેરમાં સ-રસ કામ…

Comments (15)

(એ ગયાં છે) – રાજેશ હિંગુ

મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!

કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે!
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે.

આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.

છે ખાતરી કે ચુસકી ભૂલી નહીં શકે એ,
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે.

કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે.

– રાજેશ હિંગુ

કેવી સરસ સંઘેડાઉતાર રચના! કવિ પુરુષ છે એટલે જનાર વ્યક્તિ સ્ત્રી છે એ તો તરત સમજાઈ જાય પણ ગુજરાતી ભાષામાં અનુસ્વારનો ખરો મહિમા શું છે એ આ ગઝલ વાંચતા ખ્યાલ આવે છે. કવિ ‘એ ગયા છે’ એમ પણ લખી શક્યા હોત. પણ કવિએ ગયાના માથે અનુસ્વાર મૂકવાનું પસંદ કર્યું છે. સ્ત્રીને ‘ગયા’ કહીએ એમાં પણ એના માટેનું માન તો દેખાઈ જ આવે છે પણ જ્યારે આ જ વાત માથે અનુસ્વાર મૂકીને કરવામાં આવે ત્યારે સ્ત્રી માટે કથકના હૃદયમાં રહેલો ઊંડો આદર વધુ પ્રભાવકતાથી છતો થાય છે. જો કે મારા જેવા સોમાંથી નેવુ-પંચાણું ગુજરાતીઓને અનુસ્વાર વાપરતાં જ આવડતું નથી. આપણે તો’મા’ના સ્થાને પણ ‘માં’ લખીએ છીએ, પણ એમાં મા પરત્વેનો આદર ઓછો અને આપણું અનુસ્વાર-અજ્ઞાન વધુ છતુ થાય છે.

બંને મત્લા લાજવાબ. પ્રિયજન માત્ર દિલમાં નહીં, નસે-નસમાં ઘર કરી ગયાં છે એ વાત કવિએ જે રીતે વ્યાપી-સ્થાપીના ચુસ્ત કાફિયાઓ વડે કહી છે એ કાબિલે-સલામ છે. એ જ રીતે સાની મત્લામાં શ્રાપી પણ બેમિસાલ છે. જનાર તો ગયાં, પણ કદી મરણ ન પામનાર સ્મરણોની પીડા આપીને ગયાં છે. હવે જીવનભર એની યાદોના સહારે જ રહેવાનું. આ તે કેવો શ્રાપ! કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં…

બાકીના ત્રણેય શેર પણ નિરવદ્યપણે આસ્વાદ્ય છે. ‘ચા પીને’માં કાફિયાના બે ટુકડા કરવાનું જે કવિકર્મ થયું છે, એ નવું તો નથી, પણ અહીં જે રીતે કરવામાં આવ્યું છે એની ફ્લેવર સાવ જ મૌલિક છે…

Comments (16)

દ્વિભાષી ગઝલ – રાજેશ હિંગુ

ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।

એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।

ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।

મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।

હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।

– રાજેશ હિંગુ

કવિતા આત્માની માતૃભાષા છે. એટલે જ કવિતાનો આત્મા કોઈ એક ભાષાની કાયામાં પૂરાઈને રહેવામાં માનતો નથી. કવિ રાજેશ હિંગુ ગુજરાતી ગઝલમાં સંસ્કૃતને જે રીતે વણી લાવ્યા છે એ આ વાતની પ્રતીતિ કરાવે છે. જેની ભીતર હું જ શિવ છું નો નાદ ગૂંજે છે, એના માટે બધું જ મધુરુ છે. કવિએ નાદ ગૂંજવાની વાત કરી છે એ શબ્દપ્રયોગ ધ્યાન માંગી લે છે, કેમ કે નાદ હંમેશા ગુંબજ જેવી પોલી વસ્તુમાં જ ગૂંજી શકે છે. જ્યારે અહંકાર વગેરેથી ભીતર ખાલી થઈ જાય ત્યારે જ એમાં નાદગૂંજ જન્મી શકે છે. બીજા શેરમાં બુદ્ધની ચાર ભાવનાઓ सर्वं क्षणिकं क्षणिकम्, सर्वं दुःखं दुःखम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम्, અને सर्वं शून्यं शून्यम् માંથી પહેલી બે નજરે ચડે છે. બધું જ ક્ષણભંગુર છે, પછી દુઃખનુંય દુઃખ શું? ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાતી તો ગળથૂથીમાં જ મળી પણ સંસ્કૃતનું પાન કર્યું એટલે ખરું બ્રાહ્મણત્વ (દ્વિજ-બે વાર જન્મેલો, બ્રાહ્મણ) મળ્યું. કેવો ઉમદા શેર! મિત્રો, મહેફિલ અને ચાની ચુસ્કી જ પોતાનું ખરું ઐશ્વર્ય છે એમ કવિ કહે છે ત્યારે એમની મહેફિલમાં સામેલ થવાની ઇચ્છા અનાયાસ થઈ આવે છે. અને અંતે કવિ બહુ મોટી વાત કરે છે. વ્યાસ જે કહી ગયા એમાં બધું જ આવી ગયું એમ માહાભારતના સંદર્ભમાં આપણે કહીએ છીએ. એવું કશું છે જ નહીં, જે વ્યાસે કહેવાનું બાકી રાખ્યું હોય. તો કવિ નવું ક્યાંથી લાવે?

આવી મજબૂત ગઝલ ભાગ્યે જ મળતી હોય છે. કવિને સો સો સલામ..

Comments (13)