કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
વિવેક મનહર ટેલર

ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી

હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ?

આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું ?
પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું ?

હું પ્રતીતિનો પ્રતાપી રાજવી,
રાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું ?

સાચવ્યા છે તો ય પરપોટા, સ્વજન !
ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું ?

એકદંડી વક્ષની કથની લઈ
હોઠમાં અબરખ લઈ ક્યાં ક્યાં ફરું ?

ક્યાં સુધી આ ધાન્ય ને આ ધન્યતા ?
આ ચરણ ને ચખ લઈ ક્યાં ક્યાં ફરું ?

કેમ ઊતરે સ્પર્શ વિષકન્યાઓના ?
હું ત્વચામાં વખ લઈ ક્યાં ક્યાં ફરું ?

વિષ વિષય ઋતુઓ રૂંવાટી કંપનો,
કોટિ તેત્રીસ દખ લઈ ક્યાં ક્યાં ફરું ?

એક પળને પણ ન હું પામી શકું,
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?

– લલિત ત્રિવેદી

એક રચનામાં કલ્પનો અને અર્થછાંયાઓની જાણે આખી ફોજ !

(ધખ=ધગશ, ખખ=જીર્ણ (શરીર), રખરખ=તલસાટ, ચખ=ચક્ષુ, વખ=ઝેર)

8 Comments »

  1. વિવેક said,

    February 22, 2012 @ 6:50 AM

    અદભુત ગઝલ… સાવ નવા કાફિયાઓ અને આટલી પ્રદીર્ઘ હોવા છતાં સાદ્યંત સુંદર !!

    વાહ, કવિ!

  2. nehal said,

    February 22, 2012 @ 9:03 AM

    હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ?
    આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ?

    સાચવ્યા છે તો ય પરપોટા, સ્વજન !
    ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું ?

    એક પળને પણ ન હું પામી શકું,
    ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?

    વેદાંત ફિલોસોફી અને આવી સરળ ગઝલ સ્વરુપે….મઝા પડી..ગઈ

  3. Darshana Bhatt. said,

    February 22, 2012 @ 9:15 AM

    Marm sparshi gazal.

  4. manilal.maroo said,

    February 23, 2012 @ 2:42 AM

    heart feeling gazhal. i like it manilal.m.maroo

  5. jigar joshi 'prem said,

    February 23, 2012 @ 11:11 AM

    બહુ જ સુઁદર રચના…..

  6. Sudhir Patel said,

    February 24, 2012 @ 9:55 AM

    વાહ! કાફિયાઓને ધન્ય કરતી સુંદર ગઝલ!!
    સુધીર પટેલ.

  7. bharat vinzuda said,

    February 25, 2012 @ 9:58 AM

    નવા જ રદીફ અને કાફિયા અને અનોખો જ મિજાજ
    વાહ…

  8. pragnaju said,

    February 26, 2012 @ 5:08 AM

    ક્યાં સુધી આ ધાન્ય ને આ ધન્યતા ?
    આ ચરણ ને ચખ લઈ ક્યાં ક્યાં ફરું ?

    કેમ ઊતરે સ્પર્શ વિષકન્યાઓના ?
    હું ત્વચામાં વખ લઈ ક્યાં ક્યાં ફરું ?
    વાહ્
    આમ્રપાલી વૈશાલીની અને વસંતસેના ઉજ્જૈનની હતી. ત્યારે તેમનો ઉપયોગ જાસૂસી કાર્યોમાં કરવામાં આવતો. જ્યારે જાસૂસી કરતી ત્યારે તેઓ વિષકન્યાઓ કહેવાત
    હાલમા વિષકન્યાઓ પોતાના રક્ષણ માટે હમેશા આ વિષ પોતાની સાથે રાખે છે તેઓ જાતે જ જંગલમાંથી સાપ પકડી ઝેર કાઢે છેઝારખંડના સંથાલ પરગણા વિસ્તારમાં ઘણી બધી નાગકન્યાઓ રહે છે. આ સંથાલી આદિવાસી બાળકીઓને અહીંયા નાગકન્યા તરીકે માનવામાં આવે છે. આ બાળાઓ પોતાના દુશ્મનો માટે એટલી જ ખતરનાક છે, જેટલી ચોટ ખાધેલી નાગણ હોય.આ આદિવાસી યુવતીઓ પાસે ઝેર પણ હોય છે. આ ઝેરના સહારે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment