પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે..
નરસિંહ મહેતા

કવિતા વિશે ત્રણ રચનાઓ – જયન્ત પાઠક

(૧)
મારી પોથીનાં પાનાંમાં છે
મેં લખેલી કવિતા; ને
એનાં વચવચ્ચેનાં કોરાં પાનાંમાં છે
મેં નહીં લખેલી કવિતા – જે
વાંચશો તો
મારી લખેલી કવિતાને વધુ પામશો;
કદાચ તમને એમ પણ થાય
કે
મેં લખેલી કવિતા ન લખી હોત તો સારું
મેં નહીં લખેલી કવિતા લખી હોત તો સારું.

(૨)
કવિતા !
એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
ભાવક એને સુધારીને વાંચે છે
વાંચીને સુધારે છે
ત્યારે જ તે પૂરી થાય છે !

(૩)
જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
દોડવામાં ક્ષોભ નથી;
હવે મજા આવે છે – આગળ આગળ
દરિયામાં ડૂબકી દઈને
પાતાળલોકમાં પહોંચી જવાની !

– જયન્ત પાઠક

જેમ ઈશ્વરની, એમ કવિતાની વિભાવનાના મૂળમાં જવાની મથામણ માણસ સતત કરતો રહેવાનો. જેમ ઈશ્વર, એમ કવિતા વિશેનું સત્ય પણ દરેક કવિનું સાવ નોખું હોઈ શકે. એક જ કવિનું કવિતા વિશેનું સત્ય પણ અલગ અલગ સમયે અલગ હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ સાથે ફરીથી માણવા જેવા છે.

6 Comments »

  1. vijay joshi said,

    October 28, 2011 @ 8:02 AM

    અતિ સુંદર કલ્પના લપેટી છે સુંદર શબ્દોમાં.
    અહીં અમેરિકામાં આ દિવાળીમાં મેં એક હાઇકુ રચ્યું છે. પ્રસ્તુત કરું છું.
    આવી દિવાળી
    લાવી પુરાણી યાદો
    પરદેશમાં!

  2. pragnaju said,

    October 28, 2011 @ 8:57 AM

    ત્રણેય અછાંદસ ખૂબ સુંદર
    જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
    જ્યારે કાવ્યો ગીત બની જાય,
    તેમા ઠુમરી નો પ્રભાવ હોય તો માનવીની તમામ સંવેદનાઓનો સમન્વય થાય છે.
    મરશિયા જેવી ભક્તિભાવથી ભરેલી રચનાઓથી લઇને ઉત્તેજના જગાવતી રચનાઓ
    પણ સામેલ થાય . વળી ક્યારેક તેમાં શાસ્ત્રીય રાગના વિવિધ રંગોનો સમન્વય થાય
    પછી તો ગામડાંના અભણ લોકો પણ ગીતો ગાય !
    જેમાં ધાર્મિક અને સામાજિક રૂઢીગતતા સામે આંતરિક દૈવત્વ અને બળવાખોર પર ભાર
    મૂકે તો કવિતાઓએ ગુ ણ વ ત્તા ય…

    પછી

    હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
    દોડવામાં ક્ષોભ નથી;
    હવે મજા આવે છે – આગળ આગળ
    દરિયામાં ડૂબકી દઈને
    પાતાળલોકમાં પહોંચી જવાની !

  3. Dhruti Modi said,

    October 28, 2011 @ 4:18 PM

    કવિતાની જાદુગરી જાણવાની મઝા પડી. ત્રણે અછાંદસ સુંદર થયા છે.

  4. praheladprajapatidbhai said,

    October 29, 2011 @ 4:25 AM

    સરસ્

  5. Anal Shah said,

    November 15, 2011 @ 1:18 AM

    વિજય ભાઈ એ ખુબ સુન્દર હાયકુ લખ્યુ.

    એકલતા મા
    સામ્પડૅ સ્વજનની
    યાદો “વિજય”

  6. vijay joshi said,

    November 15, 2011 @ 1:33 PM

    આભાર, અનલ ભાઈ.

    ૨- કવિતા
    બહુ સુંદર,
    કવિતા એટલે મનના વિચારોનો શબ્દોમાં પુનર્જન્મ!
    દરેક બાળક તેના માં બાપને તો ઉત્તમ જ લાગે, એવું જ કવિતાનું
    મને એક મારું બીજું હાઇકુ યાદ આવે છે.
    કવિ અને પંખી ઉડે બંને
    એક પાંખથી બીજો આંખથી!

    વિજય જોશી ‘શબ્દનાદ’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment