મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.
મેગી આસનાની

ન કરો – ભગવતીકુમાર શર્મા

ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!

જળ છે, ખારાશ છે, ભરતી છે, અજંપો પણ છે.
તો ય માઝામાં રહો, આંખોનો દરિયો ન કરો !

પાનખરની ય અદબ હોય છે; જાળવવી પડે,
જો કે વગડો છે, છતાં ચૂપ રહો, ટહૂકો ન કરો!

સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!

ભગવતીકુમાર શર્મા

આને ગદ્ય ગઝલ કહીશું?! કદાચ અગેય કહી શકાય તેવી આ ગઝલમાં ઉપરછલ્લી રીતે અકર્મણ્યતાનો સંદેશ આપણને લાગે,પણ સમતાથી સભર જીવન જીવવાનો બહુ જરૂરી સંદેશો આમાં કવિ આપણને આપે છે. જીવનના સૌથી મોટા ભય મૃત્યુનો પણ પરદો ન રાખવાની વાત કરી, કવિ આપણને અજાતશત્રુ બનવાની સલાહ આપે છે. ગીતાના ભારેખમ શ્લોકોનું આવું સરલીકરણ આપણા તનાવ અને મિથ્યા ખ્યાલોથી ભરેલા જીવનને એક હળવાશ આપી જાય છે.  

2 Comments »

  1. ધવલ said,

    February 7, 2007 @ 5:06 PM

    સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
    છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!

    – સરસ !

  2. વિવેક said,

    February 8, 2007 @ 6:07 AM

    આ ગઝલ નથી ગદ્ય ગઝલ કે નથી એ કોઈ રીતે અગેય. આ ગઝલ આ છંદબંધારણમાં લખાયેલી છે:

    ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા

    આ છંદનું ખેડાણ આપણી ભાષામાં ઓછું થયું છે એટલું જ. સંગીતાત્મકતાની વાત કરીએ તો ખૂબ જ વિખ્યાત દાદરા તાલમાં નિબદ્ધ થતા આ છંદમાં ઉપાડ તાલની બીજી માત્રાથી જ કરવાનો હોય છે… તમે આ ગઝલને ગાવા માંગો છો? ગણગણાવો આ ફિલ્મી ગીતોની પંક્તિઓ અને જુઓ કે આ ગઝલ પણ કેવી સંગીતમય થઈ શકે છે? –

    જિંદગી પ્યારકી દો ચાર ઘડી હોતી હૈ…

    ફિર વહી શામ વહી ગમ વહી તન્હાઈ હૈ…

    ગુજરાતીમાં આ જ છંદમાં લખાયેલી અમૃત ઘાયલની એક ગઝલ અહીં માણો:

    મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
    વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

    કહેવાય નહી – અમૃત ઘાયલ

    અને આજ શાયરની આ જ છંદમાં લખાયેલી એક બીજી ગઝલનો મહાન શેર:

    દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર

    મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment