સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વિવેક મનહર ટેલર

આ શબ્દ – માધવ રામાનુજ

આ શબ્દ હવે છૂટે તો સારું !
આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે-
વાટ ખૂટે તો સારું…

આ સંબોધનમાં,સંબંધોમાં
માયાની માયામાં,
આ પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે
એના પડછાયામાં !
આ મનમાં પળપળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું…

આ ક્યાં અધવચ્ચે,ક્યાં મઝધારે,
ક્યાં અંતરને આરે!
આ ભીતરથી કોઈ સાદ કરે છે :
પાછા ફરશું ક્યારે !
આ જીવતર જેવું જીવતર અટવાયું છે-
જાળ તૂટે તો સારું….
આ શબ્દ હવે છૂટે તો સારું !

– માધવ રામાનુજ

પગથિયા ઉપર પગ મૂકી ઉપર જતા પગથીયું જ પગની બેડી બની જાય તો શું થાય ?……. મૌનથી શરુ થતી યાત્રા શબ્દની પાંખે માંહ્યલાને ફરી મૌનના પ્રદેશમાં લઇ જતી હોય છે,પરંતુ ક્યાંક પાંખ થંભવાનું નામ જ નથી લેતી અને ચકરાવાઓનો કોઈ અંત જ નથી રહેતો….

7 Comments »

  1. pragnaju said,

    November 14, 2010 @ 8:03 AM

    ખૂબ સરસ
    યાદ આવી
    ચીનનો એક બાદશાહ સઘળાં તીર્થસ્થાનમાં જઈ આવ્યા પછી ત્યાંના સંત કોન્ફ્યૂશિયસ પાસે ગયો અને દુ:ખી અવાજે કહ્યું : ‘મહર્ષિ, જીવનનાં ત્રીસ વર્ષ તીર્થધામોમાં ગાળવા છતાં મને આનંદની પ્રાપ્તિ થઈ નથી. થાકીને આપની પાસે આવ્યો છું. મને માર્ગ બતાવવા કૃપા કરો. મારું મન અત્યંત વ્યગ્ર છે. કોઈ માર્ગ નહિ મળે તો હું આત્મહત્યા કરીશ.’ સંત કોન્ફ્યૂશિયસે પોતાના શાંત હાસ્ય સાથે કહ્યું : ‘રાજન ! અત્યારે હું કામમાં છું. તમે પંદર દિવસ પછી આવજો. હું તમને આનંદના સાગરકિનારે લાવી મૂકીશ. પણ એક શરત છે. આ પંદર દિવસ તમારે એકાંતમાં રહી મૌન પાળવું પડશે.’ રાજાને સુખ અને શાંતિ માટે સાચી લગની હતી એટલે તેણે એ પ્રમાણે કર્યું અને પંદર દિવસ પછી તે સંત પાસે ગયો અને પ્રશ્ન પૂછવાને બદલે બોલ્યો : ‘તમારી શરત મુજબ એકાંતમાં મૌન પાળવાથી જ હું અગાધ આનંદસાગરને કિનારે આવી પહોંચ્યો છું. હું ધન્ય બની ગયો છું. સો તીર્થએ મને જે સુખ ન આપ્યું તે મને માત્ર સો પ્રહરના મૌને આપ્યું છે.’

    મૌનાવસ્થામાં આપણી સઘળી પ્રવૃત્તિઓ અંતર્મુખી બને છે. એનો નાશ થતો નથી. એ પ્રાણના ઝરામાં જઈ નવજીવનના ઘૂંટ પીવા પડે છે. પ્રવૃત્તિઓ બહિર્મુખી હોય છે ત્યારે આપણને ક્ષીણ કરે છે અને અંતર્મુખી હોય ત્યારે પોષણ મેળવીને બળવાન બનાવે છે.

  2. Shruti said,

    November 14, 2010 @ 8:32 AM

    ખુબ જ સરસ રચના…. ખરેખર મૌન મ જે આનન્દ છે તે અલૌકિક અને અદભુત છે.

  3. Bharat Trivedi said,

    November 14, 2010 @ 9:26 AM

    આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે-
    વાટ ખૂટે તો સારું…

    The last line is worth its weight in gold !!!

    ભરત ત્રિવેદી

  4. DHRUTI MODI said,

    November 14, 2010 @ 2:28 PM

    મૌન જ તમને અંતર્મુખ કરી શકે, અને ઍક વાર અંતરની વીણાના તાર રણઝણી ઉઠે પછી કોઇ શબ્દો કે ગીતની જરુર પડતી નથી, બસ આનંદની હેલીમાં તરબોળ …… તરબોળ……. પણ આ મન શબ્દોથી વિમુકત થાય ત્યારેને?

  5. ડૉ.મહેશ રાવલ said,

    November 14, 2010 @ 10:30 PM

    સરસ રચના.

  6. AMIT N. SHAH. said,

    November 15, 2010 @ 1:04 AM

    it’s JAYMIT PANDYA ‘JIGAR’

    & NOT JAMIYAT

  7. kishoremodi said,

    November 15, 2010 @ 9:16 AM

    ખૂબ અર્થપૂર્ણ સરસ ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment